- Sports
- સદી પર સદી... ડોમેસ્ટિક ક્રિકેટનો બાદશાહ સરફરાઝ ખાન! સિલેક્ટરો હજુ તેની પાસે શું ઇચ્છે છે?
સદી પર સદી... ડોમેસ્ટિક ક્રિકેટનો બાદશાહ સરફરાઝ ખાન! સિલેક્ટરો હજુ તેની પાસે શું ઇચ્છે છે?
ઘણી વખત તો ક્રિકેટની સાચી વાર્તાઓ સ્ટેડિયમની ફ્લડલાઇટ્સ નીચે નહીં, પરંતુ ઘર આંગણેના મેદાનોની ધૂળમાં લખેલી હોય છે. સરફરાઝ ખાન આજે તે વાર્તાનું નામ છે. તેના રન બોલી રહ્યા છે, આંકડા ચીસો પાડી રહ્યા છે, છતાં પણ પસંદગીકારો તરફથી મૌન છવાયેલું છે.
ભારતીય ક્રિકેટમાં ઘણીવાર એવું કહેવામાં આવે છે કે, ડોમેસ્ટિક ક્રિકેટ પ્રદર્શનનું પ્રથમ પગલું છે. પરંતુ સરફરાઝ ખાનની વાર્તા તે દાવાની સૌથી મુશ્કેલ કસોટી બની ગઈ છે. સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં, તેનું બેટ કોઈ ચેતવણીની જેમ ચાલ્યું હતું, જાણે તેની દરેક ઇનિંગ પૂછી રહી હતી કે, શું હજુ પણ તેણે કંઈક સાબિત કરવાનું બાકી છે.
100 (47), 52 (40), 64 (25), 73 (22)... આ ફક્ત સ્કોર નથી. તે એક બેટ્સમેનની માનસિકતાનો પુરાવો છે, જે T20 ક્રિકેટના ધબકારાને સમજે છે, ક્યારે જોખમ લેવાનું છે, ક્યારે સ્ટ્રાઇક ફેરવવાની છે અને ક્યારે એકલા હાથે મેચ પૂરી કરવી. સરફરાઝ દરેક ભૂમિકામાં પોતાને ફિટ બેસાડતો હોય તેવું લાગતું હતું. બોલરો પર દબાણ લાવવાની વાત હોય કે મેચને છેલ્લી ઓવર સુધી ખેંચવાની વાત હોય, તે ક્યારેય ગભરાયો નહીં કે પાછળ હટ્યો નહીં.
...અને હવે જ્યારે વાત 50 ઓવરના ક્રિકેટની આવી છે, ત્યારે વિજય હજારે ટ્રોફીમાં ચિત્ર વધુ સ્પષ્ટ થઇ ગયું. 55 (49), એક જવાબદાર, પરિસ્થિતિને અનુરૂપ થઈને રમાયેલી ઇનિંગ અને પછી 157 (75), એક ઇનિંગ જેમાં ધીરજ અને વિસ્ફોટકતા બંનેનો સમાવેશ થાય છે. આ તે સંતુલન છે, જે દરેક પસંદગીકાર અને દરેક કેપ્ટન ઇચ્છે છે. સરફરાઝે દર્શાવ્યું કે તે ફક્ત 'હાર્ડ-હિટર' નથી, પરંતુ રમતની સમજ ધરાવતો બેટ્સમેન છે, જે પરિસ્થિતિને અનુરૂપ થઈ શકે છે.
આ ફોર્મ જોઈને, રવિચંદ્રન અશ્વિન પણ ચૂપ રહી શક્યો નહીં. X પર તેની પ્રતિક્રિયા ફક્ત એક અભિપ્રાય નહોતો, પરંતુ સિસ્ટમ માટે એક ઈશારો પણ હતો. અશ્વિને સ્પષ્ટપણે કહ્યું કે, સરફરાઝને ચોક્કસપણે CSKની પ્લેઇંગ ઇલેવનમાં, અથવા ઓછામાં ઓછું એક પ્રભાવશાળી ખેલાડી તરીકે ધ્યાનમાં લેવો જોઈએ. તેમના મતે, તેના વર્તમાન ફોર્મમાં, 28 વર્ષીય બેટ્સમેન CSK માટે 'કિંમતી સંપત્તિ' સાબિત થઈ શકે છે. સરફરાઝ પાસે આધુનિક T20 ક્રિકેટનો અનુભવ અને સમજણ બંનેનો દુર્લભ સમન્વય છે.
https://twitter.com/BCCIdomestic/status/2000844559161688316
અશ્વિને આ બહાને એક મોટી ચર્ચા શરૂ કરવા માટે હવા પણ આપી દીધી છે, ODI ક્રિકેટનું ભવિષ્ય. વિજય હજારે ટ્રોફીમાં રોહિત શર્મા અને વિરાટ કોહલીની અચાનક વાપસીથી દર્શકોમાં રસ જાગ્યો. અશ્વિનનો મુદ્દો સ્પષ્ટ હતો, રમત ભલે સિસ્ટમ કરતાં મોટી હોઈ શકે છે, પરંતુ ક્યારેક મોટા નામો રમતને જીવંત રાખે છે. સવાલ એ છે કે જ્યારે આ નામો ODI ક્રિકેટમાંથી નિવૃત્તિ લઇ લેશે, ત્યારે જવાબદારી કોણ લેશે? આ તે જગ્યા છે જ્યાં સરફરાઝ જેવા ખેલાડીઓનું મહત્વ સામે આવે છે, જે ભવિષ્ય છે, છતાં હાલમાં અવગણવામાં આવે છે.
દિલીપ વેંગસરકરે પણ આ ઉપેક્ષા પર ખુલ્લેઆમ પ્રશ્ન ઉઠાવ્યો. તેમણે પસંદગીકારોની ટીકા કરતા કહ્યું કે, સરફરાઝની વારંવાર ઉપેક્ષા સમજણ બહાર છે. ઘરેલુ ક્રિકેટમાં વર્ષ-દર-વર્ષ સાતત્ય અને ભારત માટે મળેલી મર્યાદિત તકોમાં માનનીય યોગદાન હોવા છતાં, તેણે હજુ પણ દરેક સિઝનમાં પોતાના સ્થાન માટે લડવું પડ્યું. તેણે 2024માં ઇંગ્લેન્ડ સામે ટેસ્ટ ડેબ્યૂ કર્યું, પરંતુ 2024-25 બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં એક પણ મેચ ન રમાડવામાં આવી, અને પછી ચુપચાપ ટીમમાંથી બહાર કરવામાં આવ્યો.
સરફરાઝે આ મૌનનો જવાબ ફરિયાદોથી આપ્યો નહીં. તેણે સોશિયલ મીડિયા પર પ્રશ્નો ઉઠાવ્યા નહીં, કે પ્રેસ કોન્ફરન્સમાં નારાજગી દર્શાવી નહીં. તેણે જીમ પસંદ કર્યું. તેણે પરસેવો પસંદ કર્યો. તેણે ફિટનેસ પસંદ કરી. તેણે વજન ઘટાડ્યું, પોતાને બદલી નાંખ્યો અને પોતાને ફરીથી ઘડ્યો, કારણ કે તેને કહેવામાં આવ્યું હતું કે તે તેની આ ખામી છે. પરંતુ જ્યારે ફિટનેસ પાછી આવી, ત્યારે પણ તેને તક મળી નહીં. વેસ્ટ ઇન્ડીઝ અને દક્ષિણ આફ્રિકા સામેની ઘરેલુ ટેસ્ટ શ્રેણીમાં તેની અવગણના ચાલુ રહી, જેના કારણે પસંદગી પ્રક્રિયા પર વધુ સવાલો ઉભા થયા.
આજે, સરફરાઝ ખાને ઘરેલુ ક્રિકેટ પર વર્ચસ્વ જમાવી દીધું છે. તેની પાસે રન છે, ફોર્મ છે અને જુસ્સો છે. સવાલ માત્ર એ છે કે, શું ભારતીય ક્રિકેટ સિસ્ટમ, દરવાજો ખટખટાવતા તેણે સાંભળશે? કે પછી આ વાર્તા પણ એ જ ધૂળમાં દબાવી દેવામાં આવશે, જેમાંથી સરફરાઝ હંમેશા રન બનાવીને તેમની સામે આવે પાછો છે?

