ગૌચર પર પશુઓ સાથે દેખાવો, વર્ષે 50 ગૌચર સરકાર ખાઈ જાય છે

ગૌચર પર પશુઓ સાથે દેખાવો, વર્ષે 50 ગૌચર સરકાર ખાઈ જાય છે

46 હજાર ચોરસ મીટર ગૌચરની જમીન જેટકો કંપનીને પાવર હાઉસ બનાવવા માટે કલેક્ટરે ફાળવી દેતા માલધારીઓએ ભારે વિરોધ કર્યો છે. ચરખા ગ્રામ પંચાયતે વિરોધ કરીને કહ્યું છે કે, આ જમીન ગૌચરની હોવાથી ફાળવી ન શકાય. માલધારીઓ તેમના હજારો પશુઓ સાથે ગૌચરની જમીન પર પહોંચી ગયા હતા. તેઓએ અહીં કામ અટકાવી દેવા માટે દેખાવો કર્યા હતા પણ પોલીસે લોકોને અટકાવી રાખ્યા હતા. 5 કરોડ ચોરસ મીટર ગૌચર પગ માફિયાઓએ દબાણ કરી દીધા હતા. હવે સરકાર અને કંપનીઓ માફિયા બનીને પંચાયત કાયદાનો ભંગ કરીને દબાણ કરી રહ્યા છે.

ગાયના નામે આંદોલન પણ ગાયને ગળે ટૂંપો

બાબરાના ચરખા ગામે ગૌચર જમીનને લઈને છેલ્‍લા ઘણા મહિનાઓથી જેટકો કંપની અને ગામના પશુપાલકો વચ્‍ચે વિવાદ ચાલી રહ્યો છે. પશુપાલકોએ ગૌચર જમીન પાછી આપોના નારા લગાવ્યા હતા. કંપનીને અન્ય સ્થળે જમીન આપો પણ ગૌચર ન આપો એવા સૂત્રો પોકારી ગાય બચાવો ભાજપ ભગાવોના નારા લગાવ્યા હતા. ગુજરાતની ભાજપ સરકાર ગૌમાતા બચાવો તેવા ગુણગાન ગાય રહી છે પણ આ ગામની ગાયો માટેની અનામત જમીન હડપ કરી રહી છે. 3 હજાર ગાયોને ચરવા માટેનું ઘાંસનું મેદાન અને પાણી પીવા માટે તળાવ જેટકો કંપનીએ હડપ કરી લીધું છે. જમીન પરત નહીં કરે તો આગામી દિવસોમાં મોટી સંખ્યામાં પશુપાલકો પોતાના માલઢોર લઈને ઉપવાસ પર બેસવાની ચીમકી ઉચ્ચારી હતી.

ઉદ્યોગપતિઓ ગૌચર જમીન હડપ કરી રહ્યા છે, ટાટા નેનો મોટું ઉદાહરણ

અહીં ગૌચરની જમીન પરત આપવા માટે ગામનો લોકો આંદોલન કરી રહ્યા છે. ગૌચરની જમીન સરકાર લઈ શકે નહીં. જો તે લેવી હોય તો ગામ લોકો અને ગ્રામ પંચાયતની મંજૂરી લેવી પડે છે પણ વજુભાઈ વાળા જ્યારે મહેસૂલ પ્રધાન હતા ત્યારે તેમણે ગૌચરની જમીન લઈ લેવા માટે સરકારી આદેશ કર્યો હતો ત્યાર પછી ગાયો માટે રાખેલી જમીનો ગુજરાતભરમાં છીનવીને ઉદ્યોગપતિઓને આપવામાં આવી રહી છે. ટાટા નેનોને આણંદ કૃષિ યુનિવર્સિટીની ગાયોના સંવર્ધન માટેની જમીન ભાજપ સરકારે આપીને ઉદ્યોગોને રાજ્યભરમાં જમીન આપવાનું શરૂ કર્યું છે.

2754 ગામમાં ગૌચર ગુમ

ભાજપ સરકાર આવી તે પહેલા 700 ગામડાઓમાં ગૌચર ન હતા પણ 2015મા રાજ્યના 2625 ગામોમાં ગૌચરની જમીન ન હતી. 2017મા તે વધીને 2754 ગામોનું ગૌચર પૈસાદાર સાંઢ ચરી ગયા હતા. આમ ત્રણ જ વર્ષમાં 129 ગામનું ગૌચર સરકારે કંપનીઓને વેચી માર્યું હતું. દર વર્ષે 50 ગામનું ગૌચર સરકાર કંપીનઓને આપી રહી છે. જ્યાં પહેલો હક્ક ગાયોનો હતો. આ માટે ભાજપના 2001 પછીના ત્રણ મુખ્ય પ્રધાનો અને મહેસૂલ પ્રધાનો જવાબદાર છે. 129 ગામોમાં ત્રણ વર્ષમાં જ ગૌચર ગુમ થઈ ગયા છે. ગુજરાતમાં દરેક ગામમાં ગૌચર હતા. હવે 15 ટકા ગામમાં ગાયોને ઘાસ ચરવા માટે જગ્યા નથી. તેમને તબેલામાં બંધાઈ રહેવું પડે છે. આમ ગાયો પર અત્યાચાર કરવા માટે ભાજપના આ નેતાઓ સૌથી વધુ જવાબદાર છે.

8.48 લાખ હેક્ટર જમીન ગૌચર હતા

1980 - 81મા 8,48,300 હેક્ટર ગૌચર હતા. 1990 - 91મા ઘટીને તેની 8,45,700 હેક્ટર થઈ ગઈ, જેમાં નવા ગૌચર પણ હતા. 2012મા 2.50 કરોડ પશુધનની સામે 8.50 લાખ હેક્ટર જમીન હતી. 2017મા વધુ જમીન ખરાબ થઈ જતા તે ગૌચર તરીકે જાહેર કરવામાં આવી છે. 2014મા 7.65 લાખ હેક્ટર ગૌચર જમીન રહી હતી. 9.33 કરોડ ચોરસ મીટર ગૌચર જમીન પર 2014મા દબાણો હતા. હાલ 2.71 કરોડ પશુઓને ચરવા માટે મેદાનો રહ્યા નથી.

4 લાખ હેક્ટર જમીન ઉદ્યોગોને

બીજી તરફ 2012 સુધીમાં ભાજપે 4.10 લાખ ચોરસ મીટર ગૌચર જમીન ઔદ્યોગિક હેતુઓ માટે સસ્તા ભાવે આપી દીધી હતી. 2017 સુધીમાં ગૌચરની 1.92 લાખ હેક્ટર જમીન ઉદ્યોગોને વેચવામાં આવી હોવાનાં આરોપો છે. 5 ઉદ્યોગપતિની ભાજપ સરકારે મુન્દ્રા પોર્ટ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન માટે અદાણી કંપનીને કરોડો રૂપિયાની 5.5 કરોડ ચો.મી. જમીન આપી તેમાં ગૌચર પણ હતું.

સર્વોચ્ચ અદાલતને ગણકારતા નથી

ગુજરાતમાં દેશની સર્વોચ્ચ અદાલતનો આદેશ છે કે ગૌચરની જમીન વેચવી નહીં પણ ગુજરાત સરકાર દ્વારા તે આદેશ ગણકારવામાં આવતો નથી. 2754 ગામ એવા છે કે જ્યાં ગૌચર રહ્યા નથી. 30 મહિનામાં જ 129 ગામમાં ગૌચરની મહામૂલી જમીન કોઈકને આપી દેવામાં આવી છે. ઓગસ્ટ 2015મા 2625 જે 2018મા અઢી વર્ષ પછી 129 ગામની ગાયોને ચરવા માટેની જમીન રાજકીય તાકાત ધરાવતા લોકોએ અથવા ઉદ્યોગોએ પડાવી લીઘી છે. રાજ્યના 3 હજાર ગામોમાં જો ગૌચર હોત તો પશુપાલકો તેના પર લગભગ 10 હજાર પશુ ચરાવીને રોજનું એક લાખ લીટર દૂધ મેળવતા હોત અને તેમાંથી ખેતી માટેનું કિંમતી ખાતર મેળવતા હોત.

વજુભાઈ વાળા જવાબદાર

ભાજપની સરકારના પૂર્વ મહેસૂલ પ્રધાન વજુભાઈ વાળાએ ગૌચર વેચવાની છૂટ આપતો આદેશ કર્યો ત્યારબાદ બે હજાર જેટલા ગામોની ગૌચરની જમીનો માફિયાઓએ કબજે કરીને સરકાર પાસેથી વેચાતી લઈ લીધી છે. છેલ્લા બે વર્ષમાં એક હજાર એકર ગૌચર પર માફિયાઓએ દબાણ કરી દીધા છે. સૌથી વધુ ગૌચરની જમીન રાજકોટ જિલ્લામાં દબાણ અને વેચાણ થયેલી છે. આમ રાજકોટમાં ગૌચર કૌભાંડ સૌથી મોટાપાયે આચરવામાં આવ્યું છે. હિન્દુ ધર્મના નામે મત લઈને લોકોને છેતર્યા હતા, હવે ગાયોના નામે મત લઈને ગાયોની જમીન વેચી દેવાઈ છે અથવા દબાણો થઈ ગયા છે. ગાયનું પૂંછડું પકડીને વૈતરણી તરવા નીકળેલા ભાજપનો આ અસલી ચહેરો હવે લોકો ઓળખી ગયા છે.

ગૌચર વગરના ગામ

અમદાવાદ જિલ્લાના 74 ગામમાં ગૌચરની જમીન પર રાજનેતાઓ અને બિલ્ડરોએ દબાણ કરી લીધા છે. ગુજરાત સરકારના નિયમ મુજબ 100 પશુએ 40 એકર ગૌચર જમીન હોવી જોઈએ, પણ એવું જોવા મળતું નથી.

જિલ્લામાં ગૌચર વગરના ગામ

અમદાવાદ - 74
કચ્છ - 103
છોટા ઉદેપુર - 318
ડાંગ - 310
દાહોદ - 120
નર્મદા - 204
પંચમહાલ - 163
બનાસકાંઠા - 197
મહિસાગર - 225
વલસાડ - 216
સાબરકાંઠા - 182
રાજકોટ - 50
ભાવનગર - 79
અરવલ્લી - 98
આણંદ - 46
ખેડા - 27

ગૌચરની કેટલી કિંમત સરકારે નક્કી કરી

કચ્છમાં 19,14,748 ચોરસ મીટર જમીન પર દબાણ થઈ ગયા છે. ગામના લોકો ફરિયાદ કરે છે પણ તેનો અમલ અધિકારીઓ કરતા નથી. કચ્છમાં 112 ગૌચરની જમીન પર દબાણ છે, જે મોટાભાગે મોટા ઉદ્યોગોના છે. સરકારે તેની બજાર કિંમત રૂ.17.61 કરોડ આંકી છે પણ જો એક મીટરના રૂ. 500 ગણવામાં આવે તો પણ રૂ. 95 કરોડ થાય છે. સરકારે નીચી કિંમત નક્કી કરી છે. અમદાવાદ જિલ્લાના દબાણોની બજાર કિંમત 7,000 કરોડ જેવી થવા જાય છે પણ દબાણની કિંમત નક્કી કરી નથી. ગાંધીનગરમાં 1207 જગ્યાઓ પર દબાણો થયા છે જેની બજાર કિંમત રૂ. 26.87 કરોડ ગણી છે. આણંદની 82 ગૌચરની જમીનની બજાર કિંમત રૂ. 17.79 કરોડ ગણી છે. મહેસાણમાં 2521 દબાણોની કિંમત રૂ. 14.06 કરોડ છે.

રૂ. 55 કરોડનું ગૌચર કૌભાંડ

ગુજરાતમાં ગાયના નામે રાજનીતિ કરાય છે, ગૌસેવકો હત્યા કરે છે, ગૌમાંસ વેચાય છે, લિન્ચિંગ કરાય છે. ગાયની સતત ઉપેક્ષા ગાયના નામે ચૂંટાયેલી રાજ્યની ભાજપ સરકાર કરતી આવી છે. ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડની યોજનામાં રૂ. 55 કરોડનું કૌભાંડ બહાર આવ્યું છે. ભાજપે ગાયને રાજનીતિ અને ભ્રષ્ટાચારનું હથિયાર બનાવી દીધું છે. વલ્લભ કથિરીયાની અધ્યક્ષતામાં ચાલતા ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડની ગૌચર સુધારણા યોજનામાં ગાયના નામે ભ્રષ્ટાચાર થયો છે. ગૌચર સુધારવા, નવા ગૌચર જાહેર કરવા, ગૌસેવા અને ગૌચર વિકાસ કરવાનો ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડનો ઉદ્દેશ્ય છે.

ગૌચર સુધારવા યોજના

ગૌચર સુધારણા યોજના હેઠળ હેક્ટર દીઠ રૂ. 1 લાખની સહાય 20 હેક્ટર અને રૂ. 20 લાખ સુધી મળી શકે છે, જેમાં ગૌચરમાંથી ઝાડી-ઝાંખરા હટાવવા, જમીન સમતલ કરવી, જમીનમાં તારની ફેન્સિંગ કરવી, જમીનમાં ઘાસચારાનું વાવેતર કરવું, તૈયાર ઘાસચારો ગામના પશુઓને આપવો અથવા ગૌશાળામાં આપવાનું તેનું કામ હોય છે પણ ગૌચર સુધારણા માટે ખાનગી એજન્સીને કામ આપવામાં આવે છે. આ કામ કર્યા વગર ખોટા બિલ મૂકીને રૂ. 55 કરોડનું કૌભાંડ થયું છે.

ગૌચર કૌભાંડ

ગાંધીનગરના એક જ સરનામે કુંડાસણ ગામે શુકન બિલ્ડિંગમાં રહેણાક મકાનમાં બે એજન્સીના બિલ બનાવાયા છે. તૈયાર ઘાસચારો ગૌશાળા કે પાંજરાપોળને અપાયો જ નથી. વડોદરાની દિપક ફાઉન્ડેશન ગૌચર સુધારણા યોજનાનું મૂલ્યાંકન કરે છે, જેણે આંખ આડા કાન કરી ગેરરીતિ થવા દીધી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ચોખંડા, ફતેપુરા અને ટંકારીયા ગામમાં અને જામનગરના માંડાસણ, ઉદેપુર અને વસંતપુરમાં નાણાં ચૂકવાયા છે. ભાણવડ તાલુકામાં લીલાપુર નામનું કોઈ ગામ નથી છતાં તે ગામના ગૌચર સુધારવા માટેના બિલ બનાવી ચૂકવણી થઈ છે. ભાણવડના ચોખંડા ગામ ખાતે ખોટા સરવે નંબરમાં કામ થયું છે. જામજોધપુર તાલુકામાં જયવડવાળા નામનો એગ્રો નથી છતાં એગ્રોના નામે ચૂકવણી થઇ છે.

6 વર્ષમાં 470 ટકા દબાણો વધ્યા

રાજ્યમાં 1 કરોડ ચોરસમીટર ગૌચર જમીન પર દબાણ થયેલા છે. રાજવીઓએ પશુઓની સંખ્યા મુજબ પશુદીઠ એક વીઘા લેખે જમીન ગૌચર તરીકે પડતર રાખવાનો નિર્ણય કર્યો હતો. આ રીતે ગુજરાતમાં કુલ 7,65,52,185 ચો.મી જમીન ગૌચર તરીકે અનામત રાખવામાં આવી હતી. વર્ષ 2012મા સરકારે કરેલી મોજણી મુજબ કુલ 99,333 લાખ ચોરસ જમીન પર દબાણ થયું હતું. 15 માર્ચ 2016મા 3700,77,77 હેક્ટર ચોરસમીટર જમીન પર દબાણો હતા. બે વર્ષમાં એક હજાર હેક્ટર જમીન પર દબાણો વધી ગયા છે. આમ હાલની ભાજપની સરકારમાં ગૌચરની જમીન પર દબાણો અગાઉ ક્યારેય ન થયા હોય એટલા બે વર્ષમાં થઈ ગયા છે, જે સરકારના આંકડા પરથી કહી શકાય છે. એક હજાર હેક્ટરની બજાર કિંમત એક હેક્ટરે રૂ. 30 લાખ ઓછામાં ઓછા ગણવામાં આવે તો એક જ વર્ષમાં રૂ. 300થી 600 કરોડ રૂપિયાનું ગૌચર જમીન કૌભાંડ થયું છે.

12 માર્ચ 2018મા ભાજપ સરકાર દ્વારા વિધાનસભામાં જાહેર કરાયું હતું કે, રાજ્યના 31 જિલ્લાઓમાં કુલ 4.72 કરોડ ચોરસ મીટર (4724.92.03 હે.આરે.પ્ર.) ગૌચરની ગાયોની જમીન પર દબાણ છે. આમ માત્ર 6 વર્ષમાં જ 4.7 ગણા એટલે કે 470 ટકા દબાણો વધી ગયા છે. દબાણ થયેલી જમીનની કિંમત રૂ. 1400 કરોડ જેટલી થઈ શકે છે. બે વર્ષમાં સૌથી વધુ ગૌચરના દબાણો રાજકોટ જિલ્લામાં થયા છે. આ અત્યંત ગંભીર બાબત છે. જેમાં અબજો રૂપિયાની જમીન પડાવી દેવાનું રાજકીય કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું તેના પરથી જોઈ શકાય છે.

જિલ્લાદીઠ દબાણો(2018)

જિલ્લો દબાણ ચો.મી.

  • અમદાવાદ-1335972
  • અરવલ્લી-82952
  • આણંદ-1109478
  • ખેડા-235348
  • ગાંધીનગર - 953150
  • જૂનાગઢ - 1269175
  • પાટણ - 2681154
  • બનાસકાંઠા - 1129705
  • બોટાદ - 1211781
  • ભાવનગર - 4996959
  • મહિસાગર - 3207
  • મહેસાણા - 4360856
  • રાજકોટ - 17503657
  • સાબરકાંઠા - 12183
  • સુરત - 152376
  • કુલ - 4724.92.03

 

જિલ્લા દીઠ દબાણો(2016)

(હેક્ટર આરે. ચોરસ મીટર)

  • અમદાવાદ - 184.31.49
  • અમરેલી - 55.70.16
  • આણંદ - 215.30.70
  • અરવલ્લી - 26.28.01
  • બનાસકાંઠા - 222.81.68
  • ભાવનગર - 448.97.71
  • બોટાદ - 79.62.00
  • દાહોદ - 05.82.70
  • દેવભૂમિ દ્વારકા - 1.61.41
  • ગાંધીનગર - 22.18.31
  • સોમનાથ - 420.76.10
  • જામનગર - 932.45.00
  • જૂનાગઢ - 223.76.39
  • કચ્છ - 299.80.48
  • મહિસાગર - 0.07.98
  • મહેસાણા - 52.85.35
  • મોરબી - 5.94.84
  • નર્મદા - 0.31.30
  • નવસારી - 0.47.02
  • પાટણ - 91.08.78
  • પોરબંદર - 178.51.51
  • રાજકોટ - 66.00.66
  • સુરેન્દ્રનગર - 42.42.25
  • સાબરકાંઠા - 9.64.82
  • તાપી - 72.55.72
  • વડોદરા - 17.92.01
  • વલસાડ - 0.36.00
  • કુલ - 3700.77.77
  • (3700 હેક્ટર)

દબાણનો કાયદો

સુપ્રીમ કોર્ટે 19 સપ્ટેમ્બર, 2009ના રોજ ગૌચર પરના દબાણો દૂર કરવા આદેશ કર્યો હતો. તેથી ગુજરાત સરકારના ગૃહ વિભાગે 22 જાન્યુઆરી, 2010ના રોજ ઠરાવ પાસ કરી દબાણ હટાવવા આદેશ આપ્યો હતો. તેમજ ગુજરાત પંચાયત ધારા 1993ની કલમ 105 હેઠળ દબાણ દૂર કરવા તાલુકા પંચાયત દ્વારા ગ્રામ પંચાયતોને નોટીસ અપાય છે. જો ગ્રામ પંચાયત દબાણ દૂર ન કરાવી શકે તો ગુજરાત પંચાયત અધિનિયમ - 57 - 1 કલમ મુજબ સરપંચને હોદ્દા પરથી દૂર કરવાની જોગવાઈ છે.

ક્યાં કેટલી ફરિયાદો આવી છે (15 માર્ચ 2016)

  • અમદાવાદ - 252
  • અમરેલી - 14
  • આણંદ - 3
  • અલવલ્લી - 39
  • બનાસકાંઠા - 2
  • ભરૂચ - 24
  • ભાવનગર - 74
  • બોટાદ - 135
  • છોટાઉદેપુર - 0
  • ડાંગ - 0
  • ખેડા - 0
  • દાહોદ - 2
  • દ્વારકા - 3
  • ગાંધીનગર - 635
  • સોમનાથ - 79
  • જામનગર - 1
  • જૂનાગઢ - 49
  • કચ્છ - 123
  • મહિસાગર - 1
  • મહેસાણા - 441
  • મોરબી - 17
  • નર્મદા - 1
  • પાટણ - 147
  • પોરબંદર - 4
  • રાજકોટ - 114
  • સુરેન્દ્રનગર - 1
  • સાબરકાંઠા - 7
  • સુરત - 21
  • તાપી - 5
  • વડોદરા - 1569
  • કુલ - 3763
  1. ચમારડીમાં મોટા રાજકીય દબાણના વિરોધમાં કચ્છના કલેક્ટરને ગામના લોકોએ આવેદનપત્ર આપ્યું હતું.
  2. કચ્છના ભૂજના જંગી ગામમાં માલધારીઓએ રેલી કાઢી ગૌરચના દબાણો હટાવવા કલેક્ટરને કહ્યું હતું.
  3. અમરેલીના મેણપુર, રામપર, મોણપર, મિયાં ખિજડીયા, લોન કોટડા, નંડાળા ગામના ગૌચરો દબાણ થયા હોવાથી ગામ લોકોએ સત્યાગ્રહ કર્યો હતો.
  4. કચ્છ - અબડાસાના કડુલી ગામની જમીન પર સુઝલોન કંપનીએ 2012થી દબાણ કર્યું હતું. ગામ લોકોએ મુખ્ય પ્રધાનનું ધ્યાન દોર્યું હતું.
  5. કચ્છના વાવડી તથા સૈયદપુર ગામની ગૌચર જમીન પર ખાનગી કંપનીના દબાણ મુદ્દે આવેદન.
  6. ભચાઉના જંગી ગામે દબાણ થયું છે. ગુજરાત સરકારના નિયમ મુજબ 100 પશુએ 40 એકર ગૌચર જમીન હોવી જોઈએ પણ જંગી ગામમાં 29,000 પશુધન સામે માત્ર 98 એકર ગૌચર છે એ પણ માત્ર ચોપડે બોલે છે.
  7. જામનગરના આમરણા ગામમાં ગૌચરની જમીન પર ગેરકાયદેસર બાંધકામ થઈ ગયા છે.
  8. અમરેલીમાં ગીર ગાયો રાખવા માટે એક ઉદ્યોગપતિએ 12 હેક્ટર ગૌચરની જમીન પર દબાણ કરી દીધા છે.
  9. ભાવનગરના વલભીપુર તાલુકાના ચમારડીમાં 1416 વીઘા (566 એકર) ગૌચર જમીન પર રાજકીય ઈશારે જમીન ભૂમાફિયાઓએ દબાણ કર્યું છે. બચાવ આંદોલન કરનારાં રેવાભાઇ ચોસલાનું મોત નિપજ્યું હતું.
  10. કચ્છના અબડાસાના 50થી પણ વધુ ગામોમાં એક લાખ એકર ગૌચર પર દબાણ થયું છે. કડુલી અને વાંકુ જેવા ગામોમાં પણ મોટા પાયે ગૌચર દબાવી દેવાઈ છે અને મોટા માથાઓ આ પ્રવૃતિમાં ઝુકાવીને ખેડે તેનું ખેતર સમજી સેંકડો એકર જમીન કબજે કરી લેવાઈ છે. ગૌચર જમીન સુઝલોન કંપનીએ હડપ કરી લીધી હોવાનું બહાર આવ્યું છે.
  11. મુન્દ્રામાં 17 ગામની ગૌચરની જમીન પશુઓને ચારીયાણ મળી રહે તે માટે અદાણી SEZ પાસેથી ૩૦૦ એકર ગૌચર પરત મેળવવા ગ્રામ પંચાયત દ્વારા ઠરાવ કર્યો હતો.
  12. અમદાવાદ નગરમાં 66 ગામો 8 વર્ષ પહેલાં ભેળવી દઈને મહાનગર બનાવ્યું હતું. તે ગામોનું ગૌચર ક્યાં ગયું? ગુજરાતમાં 270 ગામો શહેરમાં ભળી ગયા તેનું ગૌચર કોને વેચી નાંખવામાં આવ્યું તેનો કોઈ હિસાબ હજુ મળતો નથી.

1 કરોડ મીટર ગૌચર પર દબાણ વધીને 5 કરોડ થયું

ગુજરાતમાં ગૌચર જમીન નામશેષ થઈ રહ્યા છે. આજે રાજ્યમાં ભાગ્યે જ એવુ ગામ હશે જ્યાં ગૌચર જમીન પર દબાણ નહીં થયું હોય પરંતુ ખાટલે મોટી ખોટ એ છે કે જ્યાં વાડ જ ચીભડા ગળે ત્યાં ફરીયાદ કરવી કોને. રાજ્યમાં 1 કરોડ ચોરસમીટર ગૌચરની જમીન પર દબાણ થયેલા છે. એક પશુએ એક વીઘા જમીન ગૌચરની હોવી જોઈએ. આ રીતે ગુજરાતમાં કુલ 7,65,52,185 ચોરસ મીટર જમીન ગૌચર તરીકે અનામત રાખવામાં આવી હતી. આઝાદી પછી ગૌચર ગુમ થવા લાગ્યા છે. ભાજપનું રાજ આવ્યું ત્યારથી તે પ્રમાણ વધી ગયું છે. 2012મા 99,333 લાખ ચોરસ જમીન પર દબાણ હતું. સર્વોચ્ચ અદાસતના હુકમ બાદ 22 જાન્યુઆરી 2010ના રોજ ઠરાવ કરી ગુજરાત સરકારે દબાણ હટાવવા આદેશ આપ્યો હતો. 2017મા તે દબાણ વધીને 4.72 કરોડ ચોરસ મીટર જમીન પર દબાણ હતું. જે હાલ 5 કરોડ થઈ ગયું હોવાનો અંદાજ છે.

ક્યાં કેટલું દબાણ

જિલ્લો – ચોરસ મીટર

  • રાજકોટ - 1.75 કરોડ
  • અમદાવાદ – 13.35 લાખ
  • અરવલ્લી - 83 હજાર
  • આણંદમાં - 12 લાખ
  • ખેડા – 2.35 લાખ
  • ગાંધીનગર – 9.53 લાખ
  • જૂનાગઢ – 12.69 લાખ
  • પાટણ – 26.81 લાખ
  • બનાસકાંઠા – 11.29 લાખ
  • બોટાદ – 12.11 લાખ
  • ભાવનગર – 49.97 લાખ
  • મહેસાણા – 43.61 લાખ
  • સુરત – 1.52 લાખ

પંચાયત અધિનિયમ મુજબ ગૌચરના જમીનના દબાણો દૂર કરવાની જવાબદારી ગ્રામ પંચાયતની છે. ગૌચર પરના દબાણો દૂર કરાવવા માટે જિલ્લા વિકાસ અધિકારીઓ અને સંબંધિત મીટિંગમાં આ બાબતે સમીક્ષા પણ કરવામાં આવે છે પરંતુ દબાણો દૂર કરવાની કોઇ જ નક્કર કાર્યવાહી નથી થતી.

ભાજપના નેતા શંકર ચૌધરીની મેડિકલ કોલેજ ગૌચરની જમીન

બનાસ મેડિકલ કોલેજ જમીન મામલે કલેક્ટર સહિત બનાસ મેડિકલ કોલેજના ટ્રસ્ટીઓને ગુજરાત વડી અદાલતનું તેડું આવ્યું છે. તમામને દસ્તાવેજો સાથે 12 ડિસેમ્બર, 2018ના દિવસે હાજર રહેવા આદેશ કરાયો છે. ગૌચરની જમીન મામલે હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી થઈ હતી. જમીનમા શરત ભંગ થતો હોઈ ગૌચરની જમીન ફાળવી શકાય નહીં. આ કોલેજ ભાજપના વિવાદાસ્પદ નેતા શંકર ચૌધરી સાથે જોડાયેલી છે. PILમા ગૌચર અને શરત ભંગના દસ્તાવેજ રજૂ કરાયા હતા.

(દિલીપ પટેલ)

Related Posts

Top News

કેન્દ્રના નિયમના ભાજપના નેતાએ જ ધજાગરા ઉડાવ્યા, RTEના વિદ્યાર્થીઓ પાસે ફી લીધી

કોઇ પણ ગરીબમાં ગરીબ પરિવારના સંતાનો પૈસાના અભાવે શિક્ષણથી વંચિત ન રહી જાય તેના માટે કેન્દ્ર સરકારે વર્ષ 2009માં...
Education 
કેન્દ્રના નિયમના ભાજપના નેતાએ જ ધજાગરા ઉડાવ્યા, RTEના વિદ્યાર્થીઓ પાસે ફી લીધી

કાર્યકરે કહ્યું- મોટા નેતાઓએ ગુજરાતમાં કોંગ્રેસની ઘોર ખોદી છે, રાહુલે માંગ્યું કાર્ડ

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી શનિવારે ગુજરાતની એક દિવસની મુલાકાત આવ્યા હતા. આણંદમાં કોંગ્રેસના એક પ્રશિક્ષણ કાર્યક્રમનું તેમણે ઉદઘાટન કર્યું. રાહુલ...
Politics 
કાર્યકરે કહ્યું- મોટા નેતાઓએ ગુજરાતમાં કોંગ્રેસની ઘોર ખોદી છે, રાહુલે માંગ્યું કાર્ડ

આ લોકોને બાબા કંઈ રીતે કહેવા? કહે છે- 25 વર્ષની છોકરીનું ચારિત્ર્ય સારું નથી હોતું

ઉત્તર પ્રદેશના વૃંદાવનમાં આવેલા ગૌરી ગોપાલ આશ્રમના સ્થાપક, કથાવાચક અને આધ્યાત્મિક સંત અનિરુદ્ધચાર્યના એક નિવેદનને કારણે ઉત્તર પ્રદેશમાં ભડકો...
National 
આ લોકોને બાબા કંઈ રીતે કહેવા? કહે છે- 25 વર્ષની છોકરીનું ચારિત્ર્ય સારું નથી હોતું

ગડકરીએ કેમ કહ્યું કે, 'ગરીબો વધી રહ્યા છે, પૈસા અમુક લોકોના હાથમાં સરકી રહ્યા છે'

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ સંપત્તિના કેન્દ્રીકરણ પર ચિંતા વ્યક્ત કરી છે. એક કાર્યક્રમમાં બોલતા તેમણે કહ્યું...
National 
ગડકરીએ કેમ કહ્યું કે, 'ગરીબો વધી રહ્યા છે, પૈસા અમુક લોકોના હાથમાં સરકી રહ્યા છે'
Copyright (c) Khabarchhe All Rights Reserved.