- Business
- UPના યુવકે ઇન્ડોનેશિયન રાષ્ટ્રપતિની નજીકનો હોવાનો દાવો કરીને રૂ. 440 કરોડનો ખેલ કરી નાખ્યો
UPના યુવકે ઇન્ડોનેશિયન રાષ્ટ્રપતિની નજીકનો હોવાનો દાવો કરીને રૂ. 440 કરોડનો ખેલ કરી નાખ્યો
લખનૌમાં જન્મેલા ભારતીય-અમેરિકન ઉદ્યોગપતિ ગૌરવ શ્રીવાસ્તવ ચર્ચામાં છે. તેના પર આરોપ છે કે, પોતાને CIA સાથે જોડાયેલા અધિકારી તરીકે પોતાને રજૂ કરીને ઇન્ડોનેશિયાના તત્કાલીન સંરક્ષણ મંત્રી અને વર્તમાન રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્ટો અને તેમના નજીકના લોકો સુધી પહોંચ બનાવી. આ ભરોસાનો ઉપયોગ કરીને તેણે સંભવિત ખરબો ડોલરના સંરક્ષણ સોદા માટે પ્રારંભિક કરારો મેળવ્યા. જો કે, પછીની તપાસમાં જાણવા મળ્યું કે, કંપનીઓના નામ પર આ સોદાઓ હાંસલ કરવામાં આવ્યા, તે ફક્ત કાગળ પર અસ્તિત્વ ધરાવતી શેલ કંપનીઓ હતી.
આ ખુલાસાઓ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ એન્ડ કરપ્શન રિપોર્ટિંગ પ્રોજેક્ટ (OCCRP) અને ઇન્ડોનેશિયન મેગેઝિન ટેમ્પો દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસમાંથી બહાર આવ્યા છે. રિપોર્ટ અનુસાર, કથિત છેતરપિંડી 2020 અને 2022ની વચ્ચે થઈ હતી. આ સમયગાળા દરમિયાન, ગૌરવ શ્રીવાસ્તવ સાથે જોડાયેલી કંપનીઓને ઇન્ડોનેશિયાના સંરક્ષણ મંત્રાલય અને રાજ્યની માલિકીની એરોસ્પેસ કંપની, પીટી દિરગંતારા ઇન્ડોનેશિયા તરફથી સંરક્ષણ ક્ષેત્રમાં 5 લેટર ઓફ ઇન્ટેન્ટ (LOI) મળ્યા હતા.
એ નોંધવું મહત્ત્વપૂર્ણ છે કે લેટર ઓફ ઇન્ટેન્ટ એ અંતિમ કરાર નથી; તે ફક્ત એક પ્રારંભિક સંકેત હોય છે કે બંને પક્ષો સંભવિત સોદા અંગે ચર્ચાઓ આગળ વધારવા માંગે છે. પ્રસ્તાવિત પ્રોજેક્ટ્સમાં શામેલ છે:
36 F-15 ફાઇટર જેટ ખરીદવાની યોજના.
30 બ્લેક હોક હેલિકોપ્ટર ખરીદવાનો પ્રસ્તાવ.
C-130 હર્ક્યુલસ વિમાનના જાળવણી માટેનો પ્રોજેક્ટ.
આધુનિક કમાન્ડ-એન્ડ-કંટ્રોલ સેન્ટર સ્થાપિત કરવાની યોજના.
આ સોદાઓમાં સૌથી મોટામાં 36 F-15 ફાઇટર જેટનો સમાવેશ થાય છે, જેની અંદાજિત કિંમત $13.9 બિલિયન એટલે કે આશરે ₹1.19 લાખ કરોડ બતાવવામાં આવી.
આ પ્રારંભિક કરારો પાંચ કંપનીઓ ઓર્બિમો કોર્પોરેશન, ઝેગાસસ કોર્પોરેશન, કોન્સ્ટેન્ટિસ કોર્પોરેશન અને યુનિટી એસિપિટર કોર્પોરેશનના નામે કરવામાં આવ્યા હતા. જોકે, તપાસમાં દાવો કરવામાં આવ્યો હતો કે આ કંપનીઓને સંરક્ષણ ક્ષેત્રમાં કોઈ અનુભવ નહોતો. સૌથી ચોંકાવનારી વાત એ છે કે, આમાંની કેટલીક કંપનીઓ અમેરિકાના વ્યોમિંગ રાજ્યમાં તે જ દિવસે નોંધાયેલી હતી જે દિવસે તેમને ઇન્ડોનેશિયા તરફથી લેટર ઓફ ઇન્ટેન્ટ મળ્યો હતો એટલે કે જે કંપનીઓને અબજો ડોલરના સંરક્ષણ પ્રોજેક્ટ્સ મળવાની વાત ચાલી રહી હતી, તેમાંથી કેટલીક કંપનીઓ તે જ દિવસે અસ્તિત્વમાં આવી હતી. પાછળથી આમાંની ઘણી કંપનીઓ કર નિયમોનું પાલન ન કરવાને કારણે બંધ થઈ ગઈ.
અહેવાલો અનુસાર, ગૌરવ શ્રીવાસ્તવે પ્રબોવો સુબિયાન્ટોના નાના ભાઈ હાશિમ દજોયોહાદિકુસુમો અને તેમની કંપની, આર્સારી ગ્રુપ સાથે પણ વ્યવસાયિક સંબંધો સ્થાપિત કર્યા. વોલ સ્ટ્રીટ જર્નલના 2024ના અહેવાલમાં જણાવાયું છે કે ગૌરવે તેના ડચ બિઝનેસ પાર્ટનર નીલ્સ ટ્રોસ્ટને દાવો કર્યો હતો કે તેના CIA સાથે મજબૂત સંબંધો છે, જેના કારણે તેની કંપનીને મોટા સરકારી પ્રોજેક્ટ્સ મળે છે. ટ્રોસ્ટે આ દાવાઓ પર વિશ્વાસ કર્યો, અને તેમની કંપનીએ અરસારી ગ્રુપને $51 મિલિયન (આશરે ₹440 કરોડ)ની લોન આપી.
બાદમાં ટ્રોસ્ટે પાછળથી આરોપ લગાવ્યો કે આ રકમનો લગભગ અડધો ભાગ ગૌરવ સાથે જોડાયેલી કંપનીઓમાં પાછો પહોંચી ગયો. તેમનો દાવો છે કે આ પૈસાનો ઉપયોગ અમેરિકાના લોસ એન્જલસમાં આશરે ₹215 કરોડની કિંમતની વૈભવી હવેલી ખરીદવા માટે કરવામાં આવ્યો હતો.
પ્રશ્ન એ ઊભો થાય છે કે, ગૌરવ શ્રીવાસ્તવને આટલી મોટી પહોંચ કેવી રીતે મળી? ટેમ્પોના અહેવાલ મુજબ, નીલ્સ ટ્રોસ્ટે જણાવ્યું હતું કે 2022માં, ગૌરવ તેમને સીધા પ્રબોવો સુબિયાન્ટોના નિવાસસ્થાને લઈ ગયા હતા. રસ્તામાં, તેમને સરકારી સુરક્ષા એસ્કોર્ટ આપવામાં આવ્યો હતો, જેનાથી તેઓ કોઈપણ ટ્રાફિક વિલંબ વિના ગંતવ્ય સ્થાન પર પહોંચી શક્યા.
ટ્રોસ્ટે કહ્યું કે, આનાથી તેમને ખાતરી થઈ ગઈ કે ગૌરવને ઇન્ડોનેશિયાના સૌથી પ્રભાવશાળી વ્યક્તિઓ સુધી પહોંચ હતી. મુસાફરી દરમિયાન, ગૌરવે દાવો કર્યો કે તે વારંવાર પ્રબોવોના ઘરે આવતો-જતો હતો અને ઘણી વાર ત્યાં જ રોકાતો હતો. તેમણે એ પણ ઉલ્લેખ કર્યો કે બાલી બોમ્બ વિસ્ફોટના ગુનેગારોને પકડવામાં મદદ કરવામાં તેની ભૂમિકા માટે પ્રબોવો તેમને ખૂબ સન્માન કરે છે.
એટલું જ નહીં ગૌરવે દાવો કર્યો હતો કે તેણે જ પ્રબોવોનું નામ અમેરિકાની બ્લેકલિસ્ટમાંથી દૂર કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. નોંધનીય છે કે માનવાધિકાર ઉલ્લંઘનના આરોપોને કારણે પ્રબોવોને લગભગ બે દાયકા સુધી અમેરિકાના વિઝા આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો. અહેવાલો અનુસાર, ગૌરવ રાષ્ટ્રપતિના અંગત જીવન વિશેની વિગતો પણ જણાવતો હતો. જે ફક્ત તેમના નજીકના લોકો જ જાણતા હતા. ઉદાહરણ તરીકે, તેણે કહ્યું હતું કે પ્રબોવો તેમના ઘરમાં રહેલા કરોળિયાના જાળાને પ્રકૃતિનો ભાગ માને છે અને તેમને સાફ કરતા નથી.
નીલ્સ ટ્રોસ્ટો અમેરિકન કોર્ટમાં ગૌરવ શ્રીવાસ્તવ સામે અનેક સિવિલ કેસ પણ દાખલ કર્યા છે. આ કેસોમાં છેતરપિંડી, બળજબરીપૂર્વક વસૂલી અને ખોટી માહિતી આપીને નાણાકીય લાભ મેળવવાનો આરોપ છે. કેસમાં રેકોર્ડ કરેલી વાતચીતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેમાં ગૌરવને કથિત રીતે CIA માટે કામ કરવાનો દાવો કરતા સાંભળવામાં આવે છે.
જો કે, ગૌરવ શ્રીવાસ્તવ સ્પષ્ટપણે આ બધા આરોપોને નકારે છે. તેનું કહેવું છે કે તેના ભૂતપૂર્વ બિઝનેસ પાર્ટનર, નીલ્સ ટ્રોસ્ટો તેની પ્રતિષ્ઠાને કલંકિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. ગૌરવે દાવો કર્યો છે કે તેણે ક્યારેય પોતાને CIA અધિકારી તરીકે ઓળખાવ્યો નથી અને દાવો કરે છે કે કોર્ટમાં રજૂ કરાયેલા ઓડિયો રેકોર્ડિંગ્સ નકલી છે.
ઇન્ડોનેશિયાની નાણાકીય ગુપ્તચર એજન્સી PPATK આ મામલાની તપાસ કરી રહી છે. એજન્સીનું કહેવું છે કે તે અન્ય દેશોની સંબંધિત એજન્સીઓ સાથે મળીને નાણાકીય વ્યવહારોની તપાસ કરી રહી છે. જો તપાસમાં મની લોન્ડરિંગ અથવા અન્ય નાણાકીય ગુનાઓના પુરાવા બહાર આવે છે, તો કેસ પોલીસ અને અન્ય તપાસ સંસ્થાઓને મોકલી શકાય છે.

