- Entertainment
- 'દરેક ગલી-મોહલ્લામાં બતાવીશું ખાલડાની કહાની, શીખ સંગઠનની જાહેરાત
'દરેક ગલી-મોહલ્લામાં બતાવીશું ખાલડાની કહાની, શીખ સંગઠનની જાહેરાત
દિલજીત દોસાંઝની ફિલ્મ 'સતલુજ'ને ZEE5 પરથી દૂર કરવા અંગેનો વિવાદ વધતો જ રહ્યો છે. હવે, દિલ્હી શીખ ગુરુદ્વારા મેનેજમેન્ટ કમિટી (DSGMC) પણ ખુલીને મેદાનમાં ઉતરી આવી છે. સમિતિએ ફિલ્મ દૂર કરવા પર ભારે નારાજગી વ્યક્ત કરી છે અને જાહેરાત કરી છે કે તે પોતે લોકોને આ ફિલ્મ બતાવશે. સાથે જ, શાળાઓ અને કોલેજોમાં જસવંત સિંહ ખાલડાના જીવન પર સેમિનારનું આયોજન કરવામાં આવશે.
મંગળવારે, DSGMCના પ્રમુખ હરમીત સિંહ કાલકાએ જણાવ્યું હતું કે 'સતલુજ' માનવ અધિકાર કાર્યકર્તા જસવંત સિંહ ખાલડાના જીવન પર આધારિત ફિલ્મ છે. તેમાં બતાવવામાં આવ્યું છે કે તેમણે પંજાબમાં કથિત માનવ અધિકાર ઉલ્લંઘનોને વિશ્વના ધ્યાન પર લાવવાનો પ્રયાસ કર્યો હતો.
કાલકાએ કહ્યું કે, જસવંત સિંહ ખાલડાએ 25,000 મૃતદેહો અંગે પુરાવા એકત્રિત કર્યા હતા જેમને 'લાવારિસ' ગણાવીને અગ્નિસંસ્કાર કરી દેવામાં આવ્યા હતા. તેમણે આ મુદ્દો ફક્ત સ્થાનિક સ્તરે જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ પર પણ ઉઠાવ્યો હતો. તે સમયના સત્યને લોકો સુધી પહોંચતા અટકાવવાનું સંપૂર્ણપણે ખોટું છે. આનાથી સમગ્ર શીખ સમુદાયમાં રોષ ફેલાયો છે.
DSGMCએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે તે ફિલ્મને શક્ય તેટલા વધુ લોકો સુધી લઈ જશે. આ માટે, વિવિધ ગુરુદ્વારા સમિતિઓના સભ્યોને ફિલ્મ ડાઉનલોડ કરવા અને તેમના સંબંધિત વિસ્તારોમાં સ્ક્રિનિંગનું આયોજન કરવા કહેવામાં આવ્યું છે.
આટલું જ નહીં, સમિતિ ટૂંક સમયમાં તેની શાળાઓ અને કોલેજોના અધ્યક્ષો સાથે બેઠક કરશે. દરેક કોલેજમાં જસવંત સિંહ ખાલડાના જીવન અને કાર્ય પર સેમિનારનું આયોજન કરવામાં આવશે જેથી નવી પેઢી તેમના યોગદાન વિશે જાણી શકે. કાલકાએ કહ્યું કે, જો એક સામાજિક કાર્યકર્તા આટલું મોટું પરિવર્તન લાવી શકે છે, તો આપણે બધા સાથે મળીને સમાજ માટે ઘણું બધું કરી શકીએ છીએ.
શું છે સતલુજની કહાની?
હની ત્રેહાન દ્વારા દિગ્દર્શિત ફિલ્મ ‘સતલુજ’માં દિલજીત દોસાંઝ જસવંત સિંહ ખાલડાનું પાત્ર ભજવી રહ્યા છે. આ ફિલ્મમાં દર્શાવવામાં આવ્યું છે કે કેવી રીતે બેંક ક્લાર્કમાંથી માનવાધિકાર કાર્યકર્તા બનેલા ખાલડાએ1980 અને 1990ના દાયકા દરમિયાન પંજાબમાં કથિત ગેરકાયદેસર હ*ત્યાઓ અને ગુપ્ત અગ્નિસંસ્કારનો મુદ્દો ઉજાગર કર્યો હતો.
જસવંત સિંહ ખાલડા 1995માં રહસ્યમય રીતે ગાયબ થઈ ગયા હતા. લગભગ એક દાયકા પછી ચાર પંજાબ પોલીસ કર્મચારીઓને તેમના અપહરણ, ત્રાસ અને કથિત જીવ લેવા માટે દોષિત ઠેરવવામાં આવ્યા હતા; જોકે, તેમનો મૃતદેહ ક્યારેય મળ્યો નહીં.
ફિલ્મ વિવાદમાં કેમ ફસાઈ છે?
‘સતલુજ’નું મૂળ નામ પહેલેલા *પંજાબ 95* હતું. અહેવાલો અનુસાર, CBFCએ ફિલ્મની રીલિઝ પહેલા 120થી વધુ કટની માંગણી કરી હતી. નિર્માતાઓએ આ ફેરફારો સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો, જેના પરિણામે ફિલ્મની રીલિઝમાં ખૂબ વિલંબ થયો હતો.
તાજેતરમાં, આ ફિલ્મ ZEE5 પર નવા શીર્ષક સતલુજ હેઠળ કોઈપણ કાપ વિના રીલિઝ કરવામાં આવી હતી. જોકે, રીલિઝ થયાના બે દિવસ પછી જ ભારતમાં તેને પ્લેટફોર્મ પરથી દૂર કરી દેવામાં આવી હતી. ZEE5એ ફક્ત એટલું જ કહ્યું હતું કે ફિલ્મને અમુક તાજેતરના ઘટનાક્રમને કારણે દૂર કરવામાં આવી છે, જ્યારે કેટલાક અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે તેને IT નિયમોના કથિત ઉલ્લંઘનને કારણે દૂર કરવામાં આવી હતી. ફિલ્મમાં દિલજીત દોસાંઝ ઉપરાંત, ફિલ્મમાં અર્જૂન રામપાલ, કંવલજીત સિંહ, સુવિન્દર વિક્કી અને ગીતિકા વિદ્યા ઓહલ્યાન પણ મુખ્ય ભૂમિકાઓમાં છે.

