- Business
- મહારાષ્ટ્ર સરકારે અદાણી ગ્રૂપના બે પ્રોજેક્ટ્સ માટે 83,700 ચોરસ ફૂટ વન જમીનને આપી મંજૂરી
મહારાષ્ટ્ર સરકારે અદાણી ગ્રૂપના બે પ્રોજેક્ટ્સ માટે 83,700 ચોરસ ફૂટ વન જમીનને આપી મંજૂરી
મહારાષ્ટ્ર સરકારે અદાણી ગ્રૂપની કંપનીઓના બે મોટા પ્રોજેક્ટ્સ માટે આશરે 83,700 ચોરસ ફૂટ જેટલી વન જમીનના બિન-વનીય ઉપયોગ (ડાયવર્ઝન) માટે લીલી ઝંડી આપી દીધી છે. સરકારી અધિકારીઓ દ્વારા મળતી માહિતી મુજબ, રાયગઢ અને અમરાવતીમાં સ્થિત આ પ્રોજેક્ટ્સમાં અલીબાગ ખાતે પ્રસ્તાવિત સિમેન્ટ ટર્મિનલ માટે અનામત વન જમીન ઉપરાંત ચેરના જંગલો (મેંગ્રોવ) ધરાવતી જમીનનો પણ સમાવેશ થાય છે.
ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર, મહારાષ્ટ્રના વન વિભાગ દ્વારા સોમવારે (10 ઓગસ્ટ) આ અંગે બે અલગ-અલગ સરકારી પ્રસ્તાવ બહાર પાડવામાં આવ્યા હતા. આ મંજૂરીઓ હેઠળ અદાણી સિમેન્ટેશન લિમિટેડ અને અદાણી ટોટલ ગેસ લિમિટેડને પોતપોતાના પ્રોજેક્ટ્સ માટે વન જમીનનો બિન-વનીય હેતુ માટે ઉપયોગ કરવાની પરવાનગી આપવામાં આવી છે. કુલ જમીનમાંથી સૌથી મોટો હિસ્સો એટલે કે 0.6497 હેક્ટર (આશરે 69,933 ચોરસ ફૂટ) જમીન અદાણી સિમેન્ટેશન લિમિટેડને ફાળવવામાં આવી છે. આ જમીન રાયગઢ જિલ્લાની અલીબાગ તહસીલના શાહાપુર અને શાહબાજ ગામોમાં આવેલી છે, જેમાં અનામત વન, નાળા મેંગ્રોવ અને ખાડી વિસ્તારના મેંગ્રોવ જંગલોની જમીનનો સમાવેશ થાય છે.
કંપની આ જમીનનો ઉપયોગ પોતાના રાયગઢ સિમેન્ટ બલ્ક ટર્મિનલ માટે જહાજોના બર્થિંગ જેટી, બેકઅપ સુવિધાઓ ધરાવતા કન્વેયર કોરિડોર તેમજ પહોંચ માર્ગના નિર્માણ માટે કરશે.
સરકારી આદેશમાં આ મંજૂરીને કેટલીક ચોક્કસ શરતોને આધીન રાખવામાં આવી છે. આ શરતો મુજબ, વન વિભાગના અધિકારીઓને ડાયવર્ટ કરાયેલી જમીનમાં કોઈપણ જાતની અડચણ વગર પ્રવેશવાની પૂર્ણ સ્વતંત્રતા રહેશે. જો કંપની વન અધિકારીઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકશે કે તેમના કામકાજમાં કોઈ બાધા ઊભી કરશે, તો વન જમીન વાપરવાની આ પરવાનગી તાત્કાલિક અસરથી પાછી ખેંચી લેવામાં આવશે.
બીજા આદેશ હેઠળ, સરકારે 0.1281 હેક્ટર (આશરે 13,788 ચોરસ ફૂટ) અનામત અને ચિહ્નિત વન જમીન અદાણી ટોટલ ગેસ લિમિટેડને સોંપવાની મંજૂરી આપી છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, કંપની આ જમીનનો ઉપયોગ ભૂગર્ભમાં સ્ટીલ પાઇપલાઇન પાથરવા માટે કરશે. આ પાઇપલાઇન મારફતે અમરાવતી શહેર અને આસપાસના વિસ્તારોમાં પાઇપ્ડ નેચરલ ગેસ (PNG) વિતરણ નેટવર્ક ઊભું કરવામાં આવશે.
બંને સરકારી આદેશો મળીને કુલ આશરે 0.78 હેક્ટર વન જમીનનો સમાવેશ થાય છે. જોકે, આ આદેશોમાં ક્ષતિપૂર્તિ વનીકરણ માટે હાથ ધરવામાં આવનારા પગલાં કે અન્ય સંબંધિત શરતોની વિગતવાર માહિતી આપવામાં આવી નથી. સરકારી આદેશમાં માત્ર એ જ શરતોનો ઉલ્લેખ કરાયો છે જે મંજૂરીઓ સાથે સીધી રીતે જોડવામાં આવી છે.

