- Education
- ટીચરના 500 રૂપિયા ખોવાયા તો વિદ્યાર્થિનીઓના કપડા ઉતારાવ્યા, સસ્પેન્ડ
ટીચરના 500 રૂપિયા ખોવાયા તો વિદ્યાર્થિનીઓના કપડા ઉતારાવ્યા, સસ્પેન્ડ
રાજસ્થાનના સવાઈ માધોપુર જિલ્લાની એક સરકારી ઉચ્ચ માધ્યમિક સ્કૂલમાં વિદ્યાર્થીનીઓ પ્રત્યે અયોગ્ય વર્તનના આરોપો બાદ ગ્રામજનો અને વાલીઓએ બુધવારે શાળાની બહાર વિરોધ પ્રદર્શન કર્યું અને મુખ્ય ગેટને તાળું મારી દીધું હતું. એવો આરોપ છે કે એક શિક્ષિકાના પૈસા ખોવાઈ ગયા બાદ ધોરણ 9 અને 11ના વિદ્યાર્થીઓની તપાસ દરમિયાન તેમના કપડાં ઉતારાવ્યા હતા.
આ મામલાની તપાસ કર્યા પછી શિક્ષણ વિભાગે આરોપી શિક્ષિકાને સસ્પેન્ડ કરી દીધી છે. હિન્દી શિક્ષિકા સરસ્વતી મીણાના લગભગ 500 રૂપિયા ખોવાઇ ગયા હતા. આરોપ છે કે તેણે કથિત રીતે ધોરણ 9 અને 11ના વિદ્યાર્થીઓ પર શંકા વ્યક્ત કરતા તપાસ હાથ ધરી હતી. વિદ્યાર્થીઓ અને તેમના પરિવારજનોનો આરોપ છે કે તપાસ દરમિયાન વિદ્યાર્થિની પાસે કપડાં ઉતારાવ્યા, જેના કારણે તેઓ માનસિક રીતે પરેશાન થઈ હતી.
વિદ્યાર્થિઓએ ઘરે પરત ફર્યા બાદ તેમના પરિવારજનોને ઘટનાની જાણ કરી, જેના કારણે ગામમાં રોષ ફેલાઇ ગયો. ત્યારબાદ, મોટી સંખ્યામાં ગ્રામજનો અને વાલીઓ બુધવારે સવારે શાળામાં પહોંચ્યા અને મુખ્ય ગેટને તાળું મારીને વિરોધ પ્રદર્શન કર્યું.
માહિતી મળતા મુખ્ય બ્લોક શિક્ષણ અધિકારી (CBEO) પ્રતિભા મીણા ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તેમણે વિદ્યાર્થિઓ સાથે વ્યક્તિગત રીતે વાત કરીને ઘટનાની વિગતો એકત્રિત કરી અને ઉચ્ચ અધિકારીઓને આ બાબતની જાણકારી આપી હતી.
ભરતપુર વિભાગના સંયુક્ત શાળા શિક્ષણ નિયામક દલવીર સિંહે જણાવ્યું કે જિલ્લા શિક્ષણ અધિકારી (મુખ્ય મથક) દ્વારા રજૂ કરાયેલા અહેવાલ અને મળેલી ફરિયાદોના આધારે વરિષ્ઠ શિક્ષિકા સરસ્વતી મીણા સામે વિભાગીય તપાસ શરૂ કરવામાં આવી છે. રાજસ્થાન સિવિલ સર્વિસીસ (વર્ગીકરણ, નિયંત્રણ અને અપીલ) નિયમો, 1958ના નિયમ 13 હેઠળ તાત્કાલિક અસરથી વરિષ્ઠ શિક્ષિકાને સસ્પેન્ડ કરવામાં આવી છે.
દલવીર સિંહે જણાવ્યું કે સસ્પેન્શન સમયગાળા દરમિયાન તેમનું મુખ્ય મથક રાજાખેડા (ધોલપુર) સ્થિત CBEO ઓફિસમાં ખસેડવામાં આવ્યું છે. CBEO પ્રતિભા મીણાના જણાવ્યા અનુસાર, શાળાના વડા મનોજકુમાર મીણાએ સમયસર ઉચ્ચ અધિકારીઓને આ બાબતની જાણ પણ ન કરી અને તેને જરૂરી ગંભીરતાથી ન લીધી.
તેમણે જણાવ્યું હતું કે, આ બાબતને ધ્યાનમાં રાખીને, ઉચ્ચ અધિકારીઓને એક પત્ર મોકલીને તેમની સામે શિસ્તભંગના પગલાં લેવાની ભલામણ કરવામાં આવી છે. વાલીઓએ એવો પણ આરોપ લગાવ્યો હતો કે કેટલાક શિક્ષકોએ વિદ્યાર્થીઓ પર આ ઘટનાની વિગતો કોઈને ન જણાવવા દબાણ કર્યું હતું. CBEOએ નિયમો અનુસાર નિષ્પક્ષ તપાસ અને દોષિતો સામે કાર્યવાહી કરવાની ખાતરી આપી છે.
આચાર્ય મનોજ કુમાર મીણાએ કહ્યું કે, શિક્ષિકાએ વિદ્યાર્થિનીઓ પાસેથે માફી માંગી લીધી હતી. શાળા પ્રશાસન સાથે પણ ભવિષ્યમાં આવી ઘટના ફરી ન બને તે માટે લેખિત ખાતરી મેળવવાની વાત થઈ હતી. તેથી જ આ બાબતની તાત્કાલિક ઉચ્ચ અધિકારીઓને જાણ કરવામાં આવી નહોતી.
આરોપોને નકારી કાઢતા શિક્ષિકા સરસ્વતી મીણાએ કહ્યું કે, મારા 500 રૂપિયા ગુમ થઇ ગયા હતા. તેને શોધવા માટે વિદ્યાર્થિનીઓની પૂછપરછ કરવામાં આવી હતી. વિદ્યાર્થિનીઓના કપડાં ઉતારાવવાના આરોપો પાયાવિહોણા છે. એક મહિલા શિક્ષિકા તરીકે મેં ફક્ત વિદ્યાર્થિનીઓની જ પૂછપરછ કરવાનું યોગ્ય માન્યું હતું.

