- Gujarat
- એક ગુગલની સર્ચ લાંચિયા કલેક્ટર રાજેન્દ્ર પટેલને ભારે પડી, જામીન ન મળ્યા
એક ગુગલની સર્ચ લાંચિયા કલેક્ટર રાજેન્દ્ર પટેલને ભારે પડી, જામીન ન મળ્યા
જમીન એનએ કરવાના કેસમાં કરોડો રૂપિયાની લાંચ લેવાના આરોપસર જેલવાસ ભોગવી રહેલા કલેક્ટર રાજેન્દ્ર કુમાર પટેલને સ્પેશિયલ પીએમએલએ કોર્ટે જામીન આપવાનો ઇન્કાર કર્યો છે. જજે કહ્યું કે તેમની સામે પૂરતા પુરાવા છે કે તેમમે 3. 12 કરોડની લાંચ લીધી હતી. આ સમગ્ર પ્રક્રિયામાં બીજા બધા પુરાવા તો સીધા તેમનો ગુનો પુરવાર કરે તેવા નથી પરંતુ એક ગુગલ સર્ચનો પુરાવો બહુ જ સ્ટ્રોંગ છે.
અમદાવાદની વિશેષ PMLA કોર્ટએ સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર અને સસ્પેન્ડ થયેલા IAS અધિકારી રાજેન્દ્રકુમાર પટેલને મની લોન્ડરિંગ કેસમાં જામીન આપવાનો ઈનકાર કર્યો છે.

એનફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ આરોપ મૂક્યો છે કે જ્યારે રાજેન્દ્રકુમાર પટેલ સુરેન્દ્રનગરના કલેક્ટર હતા ત્યારે જમીનના ઉપયોગમાં ફેરફાર (Change of Land Use) અને નોન-એગ્રીકલ્ચરલ (NA) મંજૂરીઓ માટે લાંચ લેવાની ગેરરીતિ થઈ હતી. EDએ તેમની 2 જાન્યુઆરી 2026ના રોજ ધરપકડ કરી હતી. તપાસ દરમિયાન એક સહાયક અધિકારી પાસેથી ₹67.5 લાખ રોકડ મળ્યા હતા. જપ્ત કરાયેલા એક “હિસાબ” દસ્તાવેજ મુજબ પટેલને લાંચ રૂપે લગભગ ₹3.12 કરોડ મળ્યા હોવાનો આરોપ છે. વોટ્સએપ ચેટ, નાણાકીય રેકોર્ડ અને સહઆરોપીઓના નિવેદનો પણ તપાસમાં સામેલ છે.
વિશેષ PMLA જજ કે.એમ. સોજિત્રાએ કહ્યું કે કેસમાં ઉપલબ્ધ પુરાવાઓના આધારે પ્રાથમિક દ્રષ્ટિએ આરોપ ગંભીર છે અને આરોપી નિર્દોષ છે એવું માનવા પૂરતો આધાર નથી. તેથી જામીન અરજી નકારી દેવામાં આવ્યા છે. બચાવ પક્ષનું કહેવું હતું કે તેમની દસ વર્ષથી વધુની કારકિર્દી નિષ્કલંક રહી છે આ ઉપરાંત તેમના વિરુદ્ધ સીધો પુરાવો નથી. તેમણે એવી પણ દલીલ કરી કે જીમીન એનએ કરવાની પ્રક્રિયા તેઓ કલેક્ટર તરીકે સુરેન્દ્રનગર આવ્યા તે પહેલાથી ચાલી રહી હતી. એજન્સીએ બીજા કલેક્ટરો ઉપર કોઇ કાર્યવાહી નથી કરી જ્યારે એકલા તેમને જ ફંસાવવામાં આવ્યા છે.

જોકે, કેટલીક બાબતો રાજેન્દ્ર કુમારની વિરુદ્ધમાં ગઇ હતી તે છે રોકડ પકડાવી અને ડાયરીમાં જે નોંધ છે તે. આ ઉપરાંત એક મહત્ત્વનો પુરાવો એ પણ મળ્યો હતો કે તેમની ધરપકડ પહેલા રાજેન્દ્ર કુમારે ગુગલમાં સર્ચ કર્યું હતું કે હાઉ ટુ રીસેટ સેમસંગ એસ 24 અલ્ટ્રા. આ સર્ચ તેમણે ધરપકડની પહેલા જ કરી હોવાથી એજન્સીએ કહ્યું કે તેઓ પુરાવાનો નાશ કરવા માટે પોતાનો ફોન રીસેટ કરવા માગતા હતા. આમ તેઓ જાણતા હતા કે તેમણે તેમની ધરપકડ થવાની છે એટલે ફોન રીસેટ કરવા માગતા હતા. ફોન રીસેટ કરવાથી અગાઉનો જે પણ ડેટા ફોનમાં હોય તે ડિલિટ થઇ જાય અને કોઇ પુરાવા ન મળે. જોકે, જાણકારો કહે છે કે ફોન રીસેટ કરી દો તો પણ ડેટા નાશ થતો નથી. ફોરેન્સિક દ્વારા તે ડેટા રીકવર થઇ શકે છે.

