- Gujarat
- મેઘરાજાએ વિરામ લેતા ધરતીપૂત્રો ચિંતાતૂર, ખેડૂત બોલ્યા- ‘10 કલાક વીજળી મળી પણ કૂવામાં 4 કલાક ચાલે એટલ...
મેઘરાજાએ વિરામ લેતા ધરતીપૂત્રો ચિંતાતૂર, ખેડૂત બોલ્યા- ‘10 કલાક વીજળી મળી પણ કૂવામાં 4 કલાક ચાલે એટલું પણ પાણી નથી’
ગુજરાતભરમાં ચોમાસાની સીઝનમાં શરૂઆતમાં સારો વરસાદ આવવાની આશા સાથે ખેડૂતોએ ભારે જોખમ ઉઠાવીને પોતાના ખેતરોમાં વાવણી કરી હતી. મોંઘા ભાવના બિયારણો, ખાતરો અને મજૂરી પાછળ ખર્ચ કરીને ખેડૂતોએ હોંશે-હોંશે સીઝનનું ચોમાસું વાવેતર શરૂ કર્યું હતું પરંતુ, વરસાદે અચાનક જ વિરામ લેતાં હવે ખેડૂતોના જીવ અધ્ધર થઇ ગયા છે. જળના અભાવે ચિંતા એવી છે કે, જો વરસાદ નહિ આવે તો, મગફળી સહિતનો પાક મુરઝાઇ જશે. એટલું જ નહી, ખેત ઉત્પાદન ખર્ચ માથે પડે તેમ છે.
દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ, ગુજરાતમાં ચોમસાનું આગમન થયાને 63 દિવસ વિતી ચૂક્યા છે. તેમ છતા 17 જિલ્લામાં હજી પણ 3 થી લઈ 87 ટકા વરસાદની ઘટ વર્તાઈ રહી છે. સૌથી ખરાબ હાલત દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર અને કચ્છની છે. ખેતરોમાં ઉભા પાક મૂરઝાતા અને કૂવાના પાણી તળિયે જતા જોવા મળ્યા.
આ અંગે વાત કરતા ખેડૂતો રડી પડ્યા હતા. ખેડૂત હેતલ કાકડીયાએ જણાવયું કે, અમે 25 વિઘામાં કરેલું માંડવીનું વાવેતર ફેલ થયું છે. અમારો ઘરખર્ચ કેમ નીકળશે તેની ચિંતા છે. અન્ય એક ખેડૂતે કહ્યું કે, ‘જે પૈસા હતા તેનું વાવેતર કર્યું. માલ સુકાઈ જતા અમને કોઈ ઉધાર પણ નથી આપતું.’ ભાવીન ગાજીપરા નામના ખેડૂતે જણાવ્યું કે, સરકારે 10 કલાક વીજળી આપવાની શરૂઆત કરી પણ કૂવામાં 4 કલાક ચાલે એટલું પણ પાણી નથી. ખેડૂતોને પોતાની સાથે-સાથે પશુઓના ઘાસચારાની પણ ચિંતા સતાવા લાગી છે.
ઉલ્લેખનીય છે કે, કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું કે, ખેડૂતોને પાક બચાવવા પૂરતી વીજળી મળી રહે તે માટે અમરેલી, પોરબંદર, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા,ગીર સોમનાથ, જામનગર અને કચ્છ જિલ્લામાં 10 કલાક વીજળી આપવાની શરૂઆત કરવામાં આવી છે. જરૂરિયાત મુજબ અન્ય જિલ્લાઓને પણ આ લાભ આપવામાં આવશે.
વરસાદની અછતના કારણે ઊભા પાક સુકાઈ ન જાય તે માટે સૌની યોજના અને સુજલામ-સુફલામ યોજના હેઠળ પાણી આપવાનું ચાલુ રાખ્યું છે. મહી કમાન્ડ વિસ્તારમાં પીવાના પાણીની જરૂરિયાત પણ પૂરી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત કડાણા ડેમમાંથી પાણી છોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં ઘાસચારાની અછત હોવાની વાતને સરકાર દ્વારા નકારી કાઢવામાં આવી છે.
ચોમાસાના બાકી રહેલા દિવસોમાં પણ જો વરસાદ ન વરસે તો ખેડૂતોની આવક પર આધારિત ગ્રામીણ અર્થતંત્રને પણ માઠી અસર પડી શકે. મગફળી સહિતના ઉત્પાદનમાં ઘટાડો થાય તો તેલ સહિતના ભાવમાં વધારો પણ થઈ શકે.
સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતના ડેમમાં હજી પણ 50 ટકા કરતા ઓછો જળસંગ્રહ છે. જો વરસાદ ન આવે તો આગામી દિવસોમાં આ જિલ્લાઓમાં પીવાના પાણીનો પ્રશ્ન વિકટ બનની ભીતિ સેવાઇ રહી છે.
ગુજરાત સમાચારના અહેવાલ મુજબ, સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ચોમાસું નબળું રહ્યું હોય તેવું જણાય છે. હવામાન વિભાગના મતે, ચાર ચાર સિસ્ટમ સક્રિય હોવા છતાંય ગુજરાતમાં ભારે વરસાદના એંધાણ નથી. ગુજરાતમાં સૌરાષ્ટ્ર-કચ્છના પ્રદેશ તેમજ સ્થાનિક સ્તરે સિંચાઈના પાણીની પૂરતી વ્યવસ્થા ન હોવાને લીધે ખેતરોમાં લહેરાતો ઊભો પાક હવે પાણી વિના મુરઝાવા લાગ્યો છે. સમયસર વરસાદ ન મળવાના કારણે ધરતીપૂત્રોને રોડવાનો વારો આવ્યો છે. મેઘરાજાએ વિરામ લેતા મગફળી, કપાસ, તલ, અડદ સહિત તૈલીબિયાં અને કઠોળને નુકસાન થાય તેવી સ્થિતિ છે.
ખેડૂતો માટે વરસાદી પાણી હવે મૃગજળ સાબિત થઈ રહ્યું છે. ખેડૂતોની આંખો હવે આકાશ તરફ જ મંડાયેલી રહી છે કે, ક્યારે વરસાદ વરસે. રાજકોટ સહિત દ્વારકા, પોરબંદર, કચ્છ જિલ્લામાં તો મગફળીનો પાક નિષ્ફળ ગયો છે પરિણામે ખેડૂતો પાસે હવે કોઈ વિકલ્પ રહ્યો નથી. ખેડૂતો પોતાના ખેતરમાં ટ્રેક્ટર ફેરવી રહ્યા છે. ઘણાં ખેડૂતોએ તો ખેતરોમાં ભેંસો છૂટી મૂકી દીધી છે જેથી ખેતરોમાં પાકનો સફાયો થઇ જાય.
ઉલ્લેખનીય છે કે, આ વખતે દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં સારો વરસાદ વરસ્યો છે. જ્યારે નવસારી, સુરત, ભરૂચ, ડાંગમાં તો ભારે વરસાદ નોંધાયો હતો. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં લાંબા સમયથી વરસાદ ન પડવાને કારણે ખેડૂતોને હવે એ ચિંતા સતાવી રહી છે.
ગુજરાતમાં દ્વારકા, જામનગર, પોરબંદર અને કચ્છની સ્થિતિ ચિંતાજનક છે કારણકે, આ જિલ્લાઓમાં વરસાદની ઘટ વર્તાઇ રહી છે. સ્થાનિક ખેડૂતોનું કહેવું છે કે, 2020-21માં મુખ્યમંત્રી કિસાન સહાય યોજનામાં દુષ્કાળની વ્યાખ્યા નક્કી કરાઇ છે કે, ચાર અઠવાડિયા સુધી વરસાદ ન આવે તો, તે વિસ્તારને દુષ્કાળગ્રસ્ત જાહેર કરો. આ ચારેય જિલ્લામાં 60 દિવસથી વરસાદ જ વરસ્યો નથી. આ જોતાં સરકારે આ જિલ્લામાં દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા જોઇએ કારણકે, આ વિસ્તારોમાં માત્ર 17 ટકા સુધી જ વરસાદ વરસ્યો છે. મોટાભાગનો પાક સૂકાઇ રહ્યો છે. ઠેર ઠેર ખેડૂતો સિંચાઇનું પાણી આપવા પણ માંગ કરી રહ્યાં છે.
રાજ્યમાં સીઝનનો 75 ટકા વરસાદ વરસી ગયો. દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ જળબંબોળ થયા પણ સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં હજી પણ નોંધપાત્ર વરસાદની રાહ છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તો આખી સીઝનમાં માત્ર 2 ઈંચ જ વરસાદ વરસ્યો છે. અહીં સરેરાશની સામે 87 ટકા વરસાદની ઘટ વર્તાઈ રહી છે.
ચોમાસાની શરૂઆતમાં સારો વરસાદ થતા ખેડૂતોએ હોંશેહોંશે વાવણી કરી દીધી. પરંતુ, હવે જ્યારે મૂરઝાતા પાકને પાણીની તાતી જરુરિયાત છે ત્યારે વરસાદ છે નહીં અને કૂવાના તળિયા આવી ગયા છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખેડૂતોએ કહ્યું- વિઘા દીઠ કરેલો રૂપિયા 10 થી 20 હજારનો ખર્ચ માથે પડ્યો છે. ખેડૂતોને કંઈ ઉપજ થાય તેમ ન હોય હવે કોઈ ઉધાર માલ પણ આપતું નથી. જૂનાગઢ અને જસદણના ખેડૂતોએ પણ સરકાર પાસે મદદની માગ કરી છે.
દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત સહિતના 16 જિલ્લાઓમાં અત્યાર સુધીમાં નોંધપાત્ર વરસાદ વરસી જતા અહીં ચિંતાની સ્થિતિ નથી. સૌરાષ્ટ્રમાં જ્યાં 50 ટકાથી વધુ ઘટ વર્તાઈ રહી છે. તેની સામે દક્ષિણ ગુજરાતમાં જરુર કરતા 30 થી 60 ટકા વધુ વરસાદ વરસી ચૂક્યો છે. ગુજરાતમાં આ સીઝનમાં સૌથી વધારે વલસાડમાં 108 ઈંચ વરસાદ વરસ્યો. તેની સામે દેવભૂમિ દ્વારકામાં 108 મિમી પણ નથી વરસ્યો.
દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં નોંધપાત્ર વરસાદના કારણે રાજ્યના મહત્ત્વના ડેમમાં અત્યાર સુધીમાં 73 ટકા જળસંગ્રહ થઈ ચૂક્યો છે. નર્મદા પણ 85 ટકા ભરાઈ ગયો છે. હજી પણ ચોમાસું બાકી હોય જળસંગ્રહમાં વધારો થવાની આશા છે. દેવભૂમિ દ્વારકામાં ઓછા વરસાદના કારણે ડેમ પણ તળિયાઝાટક થઈ ગયા છે. જામનગર જિલ્લાના ડેમમાં પણ માત્ર 6.85 ટકા જ જળસંગ્રહ છે. જ્યાં સુધી વરસાદ ન વરસે ત્યાં સુધી આ બંને જિલ્લાની 20 લાખથી વધુની વસતીનો આધાર ભૂગર્ભ જળ અને નર્મદા પર જ રહે તેવી સ્થિતિ છે.

