- Gujarat
- સંસ્કારી નગરીમાં ખાખી કલંકિત! PSIએ વાહનચાલકને લાફો ઝીંકી દીધો, જાણો શું છે આખો મામલો
સંસ્કારી નગરીમાં ખાખી કલંકિત! PSIએ વાહનચાલકને લાફો ઝીંકી દીધો, જાણો શું છે આખો મામલો
સંસ્કારી નગરી વડોદરામાંથી પોલીસની દાદાગીરીનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેણે ખાખી વર્દીને ફરી એકવાર કલંકિત કરી છે. વડોદરાના સમા કેનાલ રોડ પાસે ફરજ પર તૈનાત ટ્રાફિક PSI દ્વારા એક વાહનચાલકને ટ્રાફિક નિયમોના ભંગ બદલ રોકવામાં આવ્યો હતો. વાહન રોક્યા બાદ ટ્રેનિંગ અને શિસ્ત ભૂલીને પોલીસ કર્મચારી અને વાહનચાલક વચ્ચે કોઈ બાબતે ઉગ્ર બોલાચાલી અને વાકયુદ્વ શરૂ થઈ ગયું હતું. આ સામાન્ય બોલાચાલી જોતજોતામાં મોટા વિવાદમાં ફેરવાઈ ગઈ હતી. બાદમાં હાજર PSIએ વાહનચાલકને લાફો ઝીંકી દીધો હતો. આ સમગ્ર મામલો હવે સમા પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગયો છે.
આ સમગ્ર શરમજનક ઘટનાનો ત્યાં હાજર કોઈ નાગરિકે પોતાના મોબાઈલ કેમેરામાં લાઈવ વીડિયો ઉતારી લીધો હતો, જે હવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વીડિયો વાયરલ થતા જ વડોદરા પોલીસ પ્રશાસનની કામગીરી અને શિસ્ત સામે જનતામાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓ સુધી આ મામલો પહોંચ્યા બાદ, સત્તાના નશામાં ચૂર થઈને કાયદો હાથમાં લેનારા ઉપરોક્ત ટ્રાફિક PSI સામે તાત્કાલિક અસરથી સસ્પેન્શન સહિતના કડક અને વિભાગીય પગલાં લેવામાં આવે તેવી લોક માંગ ઉઠી રહી છે.
દિવ્ય ભાસ્કરના અહેવાલ મુજબ, વડોદરાના સમા પોલીસ મથક હદ વિસ્તારમાં સમા કેનાલ પાસે એક વાહન ચાલક પોતાનું વાહન લઈને પસાર થઈ રહ્યો હતો. આ દરમિયાન વાહન ઓવરલોડ હોવાથી ટ્રાફિક પોલીસે તેને રોક્યો હતો. બાદમાં ચલણ ફાડ્યા પછી તેની ગાડી ડિટેઇન કરવાની વાત કરવામાં આવતા મામલો ગરમાય છે અને ઉગ્ર બોલાચાલી થાય છે. બાદમાં અમને સામે આક્ષેપ-પ્રતિઆક્ષેપનો દૌર ચાલે છે.
આ દરમિયાન હાજર PSI દ્વારા વાહન ચાલકને લાફો ઝીંકી દેતા મામલો બીચકે છે અને બાદમાં આ મામલો સમા પોલીસ મથકમાં સામ સામે ફરિયાદ લેવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. વાહન ચાલકે જણાવ્યું કે, અમે ચલણ ભરવા તૈયાર હતા છતા અમારી ગાડી ડિટેઇન કરવાનું કહ્યું હતું. મને 4-5 લાફા માર્યા છે, એક જ લાફાનો વીડિયો સામે આવ્યો છે. તેમની સામે કાર્યવાહી થાય તે જરૂરી છે.
હાલમાં આ બનાવને લઈ સમા પોલીસ મથકમાં સામસામને ફરિયાદ લેવાની કાર્યવાહી ચાલી રહી છે. ત્યારે હવે ટ્રાફિક પોલીસના PSI દ્વારા કરવામાં આવેલા આ વર્તનને લઈ ઉચ્ચ અધિકારીઓ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે તે જોવું રહ્યું. ACP જે.આઈ. વસાવાએ આ મામલે જણાવ્યું હતું કે આ મામલે મને જાણ થઈ છે. હાલમાં હું મીંટિંગમાં છું, બાદમાં તપાસ કરી જણાવીશ.

