- Gujarat
- ચાંદખેડા ઢોસાના ખીરાના કેસમાં 3 વર્ષીય મિસ્ટીના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મોટો ખુલાસો, બાળકીના શરીરમાં....
ચાંદખેડા ઢોસાના ખીરાના કેસમાં 3 વર્ષીય મિસ્ટીના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મોટો ખુલાસો, બાળકીના શરીરમાં...
એપ્રિલ મહિનામાં અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાંથી એક દુકાનમાંથી ખીરું લાવ્યા બાદ ડોસા બનાવવામાં આવ્યા હતા. તેને ખાધા બાદ પ્રજાપતિ પરિવારના સભ્યોની તબિયત બગડી હતી. જેમાં પરિવારની અઢી માસની રાહા અને 3 વર્ષની મિસ્ટી નામની બાળકીઓના મોત નીપજ્યાં હતા. દીકરીઓના માતા-પિતાની પણ તબિયત બગડતા સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે, આ કેસમાં આટલા દિવસો વીતી ગયા બાદ પણ બાળકીઓના મોતનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી. આ કેસમાં શનિવારે મિસ્ટીનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ પોલીસને મળ્યો હતો.
ન્યૂઝ18 ગુજરાતીના અહેવાલ મુજબ, પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મિસ્ટીના શરીરમાં ‘એશિનોબેક્ટર બૌમાની’ નામનો ખતરનાક બેક્ટેરિયા મળી આવ્યો હતો. આ બેક્ટેરિયાના કારણે બાળકીના શરીરમાં ગંભીર સંક્રમણ ફેલાયું હતું. રિપોર્ટમાં લખવામાં આવ્યું છે કે, મિસ્ટી ડૉ/ઓફ વિમલકુમાર પ્રજાપતિ, સ્ત્રી, ઉંમર આશરે 03 વર્ષની પોસ્ટમોર્ટમ નોટમાં મોતનું કારણ ‘CARDIORESPIRATORY FAILURE DUE TO SEPTICEMIA BY BACTERIA ACINOBACTER BAUMANII FOUND IN BODY. LUNG EDEMA FOUND.'
આ અંગે પોલીસને તબીબોએ જણાવ્યા મુજબ, જ્યારે સંક્રમણ આખા શરીરમાં ફેલાઈ જાય અને શરીરના અગત્યના અંગો પર ગંભીર અસર કરે, ત્યારે તેને ‘સેપ્ટિસેમિયા’ કહેવામાં આવે છે. બાળકીના કેસમાં પણ ગંભીર સંક્રમણને કારણે હૃદય અને શ્વાસ પ્રણાલીએ કામ કરવાનું બંધ શરૂ કરી દીધું હતું. તબીબી ભાષામાં આ સ્થિતિને ‘કાર્ડિયોરેસ્પિરેટરી ફેલ્યોર’ કહેવામાં આવે છે. આ ઉપરાંત બાળકીના ફેફસાંમાં પાણી ભરાઈ જવાની તેમજ સોજાની સ્થિતિ પણ જોવા મળી હતી. જેના કારણે તેને શ્વાસ લેવામાં ભારે મુશ્કેલી પડી હતી. આખરે ગંભીર સંક્રમણ અને શ્વાસ પ્રણાલીમાં થયેલી ખામીના કારણે બાળકીએ જીવ ગુમાવ્યો હોવાનું પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સામે આવ્યું છે.
આ કેસમાં પરિવારનું એક જ રટણ છે કે, ખીરામાંથી ઢોસા ખાધા બાદ જ બાળકીઓ અને માતા-પિતાની તબિયત બગડી છે. જ્યારે પોલીસનો જવાબ એ જ રહ્યો છે કે, બહારનું ખીરું ખાધા બાદ મોત થવાના કોઈ પુરાવા નથી મળી રહ્યા. નોંધનીય છે કે, ચાંદખેડામાં રાહા અને મિસ્ટી પ્રજાપતિ નામની બે બાળકીનાં શંકાસ્પદ મૃત્યુ મામલે પોલીસ આટલા દિવસો બાદ પણ તપાસ કરી રહી છે.
પોલીસે આ કેસમાં બાળકીઓના માતા-પિતા, દાદા-દાદી સહિત પરિવારની પૂછપરછ કરી હતી. જોકે, તમામ લોકોના નિવેદનોમાં એક જ વાત સામે આવી છે કે, બહારથી લાવેલા ખીરામાંથી ઢોસા બનાવ્યા બાદ જ પરિવારની તબિયત બગડી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ, પોલીસ હવે માતા-પિતાનો લાઈ-ડિટેક્શન ટેસ્ટ કરાવવા પર વિચાર કરી શકે છે.
એસિનેટોબેક્ટર બૌમાની શું છે?
ડૉક્ટરો એસિનેટોબેક્ટર બૌમાનીને અત્યંત જોખમી બેક્ટેરિયા ગણાવે છે. જે સામાન્ય રીતે હોસ્પિટલો, ખાસ કરીને ICU, વેન્ટિલેટર અને કેથેટર સાથે જોડાયેલા દર્દીઓમાં જોવા મળે છે. આ જીવાણુ ઘણી સામાન્ય એન્ટિબાયોટિક્સની તેના પર અસર ન થવા માટે જાણીતા છે. ડૉક્ટરોનું કહેવું છે કે આની સારવાર માટે ટાર્ગેટેડ એન્ટિબાયોટિક્સ, ઇન્ટેન્સિવ કેર સપોર્ટ અને ગંભીર કિસ્સાઓમાં વેન્ટિલેટરની જરૂર પડે છે.
કયા અંગોને સંક્રમિત કરી શકે છે
ફેફસાં
લોહીનો પ્રવાહ
સર્જરીના ઘા
મૂત્ર માર્ગ
જ્યારે આ બેક્ટેરિયા લોહીના પ્રવાહમાં પ્રવેશે છે અને આખા શરીરમાં ફેલાઈ જાય છે, ત્યારે તે સેપ્ટિસેમિયા અથવા સેપ્સિસ નું કારણ બની શકે છે.
સામાન્ય લક્ષણો:
સખત તાવ આવવો
શ્વાસ લેવામાં પરેશાની થવી
બ્લડ પ્રેશર (લોહીનું દબાણ) ઘટી જવું
મૂંઝવણ અનુભવવી અથવા બેભાન થઈ જવું
પેશાબનું પ્રમાણ ઘટી જવું.

