- Gujarat
- ચાંદખેડાની ખીરું ખાવાની ઘટના પર FSLનો રિપોર્ટ આવી ગયો, ‘બંને બાળકીના શરીરમાં કોઈ શંકાસ્પદ પદાર્થ મળ્...
ચાંદખેડાની ખીરું ખાવાની ઘટના પર FSLનો રિપોર્ટ આવી ગયો, ‘બંને બાળકીના શરીરમાં કોઈ શંકાસ્પદ પદાર્થ મળ્યો નથી’, હવે માતા-પિતાએ નવી થીયરી આપી
અમદાવાદના ચાંદખેડામાં ખીરું ખાવાથી બે બાળકીના શંકાસ્પદ રીતે જીવ જતાં રહ્યા હતા. આ ઘટનાનો FSLનો રિપોર્ટ સામે આવી ગયો છે. જેની વિગતો સોમવારથી મંગળવાર સુધીમાં જાહેર થશે. FSL રિપોર્ટમાં કોઈ શંકાસ્પદ પદાર્થ મળી આવ્યો નથી. FSLનો રિપોર્ટ આવતા પોલીસ માટે તપાસ વધુ અઘરી થઈ છે અને વધુ કોકડું ગુચવાઇ ગયું છે. જોકે હવે પોલીસ મોતનું કારણ જાણવા તપાસ કરશે.
ચાંદખેડા પોલીસ સ્ટેશનના PIએ જણાવ્યું કે, અત્યારે આ કેસમાં તપાસ ચાલી રહી છે અને FSL રિપોર્ટ આવી ગયો છે, પણ હજી એ રિપોર્ટ હોસ્પિટલમાં ડૉક્ટરોને સોંપવો પડશે. ડૉક્ટરોએ જે અમુક ટેસ્ટ કર્યા છે અને પોસ્ટમોર્ટમ રિપોર્ટના તારણો છે, એ બધું ધ્યાને લઈને જ તેઓ મૃત્યુનું ચોક્કસ કારણ આપી શકશે. હાલમાં હું ઝેર કે અન્ય કોઈ બાબતે કોઈ સ્પષ્ટતા કરી શકું તેમ નથી. જ્યાં સુધી ડૉક્ટરો પોસ્ટમોર્ટમમાં લેખિતમાં કારણ ન આપે ત્યાં સુધી ગુનો ડિટેક્ટ થયો છે કે નહીં તે નહીં કહી શકાય. ડૉક્ટરો આ બધી બાબતોનો અભ્યાસ કરી રહ્યા છે અને સોમવાર કે મંગળવાર સુધીમાં તેઓ આ અંગે પોતાનો અભિપ્રાય આપશે.
ગુજરાત સમાચારના અહેવાલ મુજબ, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ ખાતે મૃતક બાળકીઓના માતા પિતાની પૂછપરછ કરવામાં આવી હતી. બે કલાક જેટલી ચાલેલી પૂછપરછમાં માતા-પિતા બંને હવે ખીરુ બાદ અલગ થીયરી જણાવી રહ્યા છે. તેઓ હવે ખીચડી અને ચોકલેટ ખાધી હોવાની વાત કરી રહ્યા છે. એટલે કે હવે માતા-પિતાના નિવેદનો પણ બદલાઈ રહ્યા છે.
શું છે સમગ્ર ઘટના?
ચાંદખેડામાં મારુતિ પ્લાઝા સોસાયટીમાં રહેતા વિમલ પ્રજાપતિ, ધનશ્યામ ડેરીમાંથી ખીરું લાવ્યા હતા. તેમાંથી ઢોસા બનાવી ખાધા બાદ પરિવારની તબિયત લથડી હતી. જેમાં 3 મહિનાની રાહા અને 4 વર્ષની મીશ્રી નામની બાળકીએ જીવ ગુમાવ્યા હતા. ઘટના બાદ ચાંદખેડા પોલીસે અકસ્માતે મો*તનો ગુના દાખલ કરીને તપાસ શરૂ કરી છે. સાથે જ ખીરાની ક્વોલિટી જાણવા ઘનશ્યામ ડેરી પર FSLની ટીમે સેમ્પલ લીધા હતા.
તપાસ દરમિયાન પોલીસને એક ડાયરી મળી આવી હતી જેમાં પુત્ર પ્રાપ્તિ અંગેની વાતો લખેલી હતી. આ અંગે માતા ભાવનાબેનની પૂછપરછ કરતા તેમણે જણાવ્યું હતું કે, 'મને પહેલેથી જ એક દીકરી હતી, તેથી જો બીજું બાળક દીકરો આવે તો પરિવાર પૂર્ણ થાય તેવી દરેક મધ્યમવર્ગીય પરિવાર જેવી એક સામાન્ય ઈચ્છા હતી. આ બાબતને કોઈ અંધશ્રદ્ધા કે અન્ય શંકાસ્પદ એન્ગલ સાથે અત્યારે સાંકળવામાં આવી નથી.'
3 એપ્રિલે ઘટના બહાર આવ્યાના 15 દિવસ બાદ પણ આજે 18 એપ્રિલ સુધી અમદાવાદ પોલીસ બે માસૂમ બાળકીના શંકાસ્પદ મોતનું રહસ્ય શોધી શકી નથી. આખા દેશમાં 'હાઈટેક' ગણાતી અમદાવાદ પોલીસે શું આ કેસમાં હથિયાર હેઠા મૂકી દીધા છે? સ્થળ તપાસ અને પૂછપરછમાં પણ કંઈ ખાસ પ્રગતિ ન કરી શકેલી પોલીસ FSL રિપોર્ટ આવશે ત્યારે સત્ય બહાર આવશે, એવી વાત કરી રહી હતી. હવે 15 દિવસ બાદ FSLનો રિપોર્ટ પણ આવી ગયો છે. જેમાં બંને બાળકીઓની બોડીમાંથી કોઈ શંકાસ્પદ પદાર્થ ન હોવાનું સામે આવ્યું છે. ત્યારે જોવાનું એ રહેશે કે આગામી દિવસોમાં આ કેસમાં શું સત્ય બહાર આવે છે.

