- Gujarat
- જંગલેશ્વર ડિમોલેશનના ફૂડ બિલ ચૂકવણીના મામલે મેયરે પલટી મારી, પહેલા બોલ્યા- કોન્ટ્રાક્ટ મુજબ થતી ચૂકવ...
જંગલેશ્વર ડિમોલેશનના ફૂડ બિલ ચૂકવણીના મામલે મેયરે પલટી મારી, પહેલા બોલ્યા- કોન્ટ્રાક્ટ મુજબ થતી ચૂકવણી લીગલી થાય છે. જેથી તેમાં કંઈ થઈ ન શકે
રાજકોટ મહાનગરપાલિકાએ હાથ ધરેલા જંગલેશ્વર ડિમોલેશનના ફૂડ બિલ મુદ્દે વિવાદ સર્જાયો છે. જેમાં કોર્પોરેશન અધિકારીઓ દ્વારા કોર્પોરેશન સમક્ષ રૂપિયા 27. 20 લાખનું અધધધ ફૂડ બિલ રજૂ કરતા ખળભળાટ મચી ગયો છે. મુંબઇ સમાચારના અહેવાલ મુજબ, આ ફૂડ બિલમાં અધિકારીઓએ રૂપિયા 231 રૂપિયાની એક નંગ કાજુ કતરી ખાધી હતી.
પાણીની બોટલના બજારભાવ કરતા પણ મહાનગરપાલિકા વધુ ચૂકવતી હોવાનું સામે આવી છે. ત્યારે મેયર અને કમિશનરે ખોટી રીતે ચૂકવાયેલા નાણાંની સ્ક્રુટિની કરી રિકવરીની વાત કરી હતી. પરંતુ, મેયરે બીજા જ દિવસે કહ્યું હતું કે, રેટ કોન્ટ્રાક્ટ મુજબ થતી ચૂકવણી લીગલી થાય છે. જેથી તેમાં કંઈ થઈ ન શકે. મેયરના આ યુ-ટર્ન અને વલણને કારણે વિપક્ષ સહિત સામાન્ય જનતામાં પણ અનેક સવાલો ઉભા થયા છે.
આ બિલની વધુ વિગતો મુજબ અધિકારીઓએ સમોસા, ખજૂર રોલ અને ખમણની માત્ર 150 નંગ પ્લેટનું બિલ જ રૂ. 34,650 રજૂ કર્યું છે. જ્યારે ચા-કોફી અને બિસ્કિટનું બિલ રૂ. 6,30,946 આવ્યું છે. જેમાં અધિકારીઓ અને સ્ટાફ 21,000 કપ ચા અને 4,000 બોટલ લીંબુ શરબત પીધી હતી. આ ઉપરાંત આ બિલમાં પ્રેમવતી રેસ્ટોરાંમાંથી મંગાવવામાં આવેલા જમવાનું બિલ રૂ. 20 લાખ 68 હજાર રૂપિયાનું મૂકવામાં આવ્યું છે. જોકે, રાજકોટ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને આ બિલની દરખાસ્તને મંજૂરી આપવાના બદલે હાલ પૂરતી પેન્ડિંગ રાખી દીધી છે. તેમજ અધિકારીઓ પાસે ખુલાસો પણ માંગવામાં આવ્યો છે.
દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ, 30 જૂનના રોજ મેયર નેહલ શુક્લએ ડિમોલિશન ખર્ચને લઇને જણાવ્યું હતું કે, જો ડિમોલિશનની આ કામગીરીમાં કોઈને પણ વધુ પૈસા ચૂકવાઈ ગયા હોય, તો તેને નિયત પ્રક્રિયા હેઠળ પરત મેળવી શકાય છે. મનપાના નાણાંનો દુરુપયોગ ચલાવી નહીં લેવાય અને રિકવરી માટે તમામ જરૂરી કાયદાકીય પ્રક્રિયા ઉપલબ્ધ છે. મેયરના આ કડક વલણને કારણે એવું લાગી રહ્યું હતું કે તંત્ર આ મામલે કોઈ બાંધછોડ કરવાના મૂડમાં નથી અને ખોટી રીતે ચૂકવાયેલા નાણાં વસૂલ કરવામાં આવશે. પરંતુ, આ નિવેદનના માત્ર 24 કલાક બાદ જ મેયર નેહલ શુક્લએ યુ-ટર્ન લઇ લીધું. તેમણે જણાવ્યું હતું કે, રેઈટ કોન્ટ્રાક્ટના ભાવ પ્રમાણે જે નાણાં ચૂકવાયા હોય તેમાં હવે કંઈ ન થઈ શકે. રેઇટ કોન્ટ્રાક્ટ એક સંપૂર્ણ લીગલ એટલે કે કાયદાકીય પ્રક્રિયા છે. આથી, ચૂકવાયેલા નાણાં કાયદાકીય પ્રક્રિયા અનુસરીને ચૂકવવામાં આવ્યા છે, જેથી રેઇટ કોન્ટ્રાક્ટ પ્રમાણે ચૂકવાયેલા નાણાં કોઈ પણ સંજોગોમાં પરત લઈ શકાય નહીં. મેયરના આ યુ-ટર્ન પાછળ કયું દબાણ કામ કરી રહ્યું છે તે હવે ચર્ચાનો વિષય બન્યું છે.
બીજી તરફ, રાજકોટ મ્યુનિશિપાલ કમિશનર તુષાર સુમેરાએ પણ આ મામલે મીડિયા સમક્ષ દાવો કર્યો હતો કે, ડિમોલિશન કામગીરી સાથે જોડાયેલા દરેક બિલની ઝીણવટભરી સ્ક્રૂટિની એટલે કે ચકાસણી કરવામાં આવશે. કમિશનર તુષાર સુમેરાએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, જો બિલોની તપાસ દરમિયાન કોઈ ગેરરીતિ કે અતિશયોક્તિ જણાશે, તો ચૂકવાયેલા નાણાં ચોક્કસપણે પરત લેવામાં આવશે. કમિશનરના આ દાવા બાદ હવે મેયર અને કમિશનરના વિચારો તેમજ વલણમાં મોટો વિરોધાભાસ સ્પષ્ટ જોવા મળી રહ્યો છે, જેના લીધે જંગલેશ્વર ડિમોલિશન ખર્ચનો વિવાદ વધુ ઘેરો બન્યો છે.
આખો મામલો ગુજરાતી અખબાર દિવ્યભાસ્કરે પાણીના રૂ. 12 લાખના બિલ જાહેર કરતા સામે આવ્યો હતો. આ પાણીના કોન્ટ્રાક્ટર ઉમિયા મંડપ સાથે રેઈટ કોન્ટ્રાકટ વર્ષ 2023ના ઓગષ્ટ માસમાં થયો હતો. ઓગષ્ટ-2025માં આ કોન્ટ્રાકટ પૂરો થયો હોવા છતા આચારસંહિતને લઈ નવો કોન્ટ્રાકટ નહીં થતા કોન્ટ્રાક્ટરે નિયમ મુજબ આ ડિમોલિશન દરમિયાન પાણી સપ્લાય કર્યું હતું. જોકે વર્ષ 2023માં રેઈટ કોન્ટ્રાકટ થયો ત્યારે પણ હાલના મેયર ડો નેહલ શુક્લ સ્ટેન્ડિંગ કમિટીનાં સભ્ય હતા. તો ત્યારે જ તેમણે આ કોન્ટ્રાકટનો વિરોધ શા માટે ન કર્યો તેવા સવાલ પણ હાલ ઉઠી રહ્યા છે.
રાજકોટના જંગલેશ્વર ડિમોલિશન દરમિયાન આડેધડ ખર્ચાઓ કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું હતું. આ અંગે દિવ્યભાસ્કરે પાણીનાં બિલો જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં 3 રૂપિયામાં મળતી પાણીની બોટલોની મનપા દ્વારા 8 રૂપિયાના ભાવે ખરીદી થઈ હોવાનો પર્દાફાશ થયો હતો. આ ખર્ચ રેઈટ કોન્ટ્રાકટ અંતર્ગત કરાયો હોવાથી તેની સામે સવાલ ઉઠાવ્યા હતા. જેને લઈ આજની સ્ટેન્ડિંગની બેઠકમાં મેયર દ્વારા રેઈટ કોન્ટ્રાકટ અંગે અરજન્ટ દરખાસ્ત કરવામાં આવી હતી. જેમાં આ તમામ કોન્ટ્રાકટનો રિવ્યુ કરવાનો નિર્ણય લેવાયો છે. જે અંતર્ગત ચાલુ રેઈટકોન્ટ્રાકટમાં જો કોઈ પાર્ટી નીચા ભાવે કામ કરવા ઈચ્છશે તો જૂનો કોન્ટ્રાકટ રદ્દ કરી નવી પાર્ટી સાથે રેઈટ કોન્ટ્રાકટ કરવામાં આવશે.
મનપાના નિયમ મુજબ નવો રેઈટ કોન્ટ્રાકટ થાય નહીં ત્યાં સુધી જૂની પાર્ટી જૂના કોન્ટ્રકટ મુજબ વસ્તુ આપે છે. આ કારણે પણ મનપાને વધુ ખર્ચ થતો હોવાનું સામે આવ્યું છે. અખબારે જાહેર કરેલા બિલોમાં પણ જૂની પાર્ટીનો કોન્ટ્રાકટ પૂરો થયો હોવા છતા તેણે પાણી સપ્લાય કર્યું હોવાનું સામે આવ્યું હતું. આવા કિસ્સા માટે પણ જે કોઈ રેઈટ કોન્ટ્રાકટ પુરા થયા છે તેના તાત્કાલિક નવા ટેન્ડર કરવાનો આદેશ પણ આજે પદાધિકારીઓ દ્વારા આપવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, રાજકોટના વોર્ડ નંબર-16માં આવેલા જંગલેશ્વર વિસ્તારમાં આજી નદીના પટ અને TP રોડ પર કોર્પોરેશને ફેબ્રુઆરી-2026માં મેગા ડિમોલેશન હાથ ધર્યું હતું. આ વિસ્તારમાં 3 દિવસ સુધી ચાલેલી આ કાર્યવાહી અંતર્ગત અંદાજે 1,400 જેટલા ગેરકાયદે બાંધકામો તોડી પાડવામાં આવ્યા હતા. જેમાં મોટી સંખ્યામાં કોર્પોરેશનને સુરક્ષા માટે પોલીસ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા. આ ત્રણ દિવસ દરમિયાનનું ફૂડ બિલ રૂપિયા 27. 20 લાખ સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂ થતા વિવાદ સર્જાયો છે.

