- Business
- RBIએ ક્રિપ્ટોકરન્સીને ભારત માટે ખતરો ગણાવ્યો
RBIએ ક્રિપ્ટોકરન્સીને ભારત માટે ખતરો ગણાવ્યો
ભારતીય રિઝર્વ બેંક (RBI)એ સંસદની સ્થાયી સમિતિ સમક્ષ સ્પષ્ટપણે જણાવ્યું છે કે, ક્રિપ્ટોકરન્સી જેવી વર્ચ્યુઅલ ડિજિટલ એસેટ્સ (VDA) ભારત જેવા ઉભરતા અર્થતંત્ર માટે જોખમી છે અને આ તબક્કે તેને કાનૂની માન્યતા આપવી જોઈએ નહીં. કેન્દ્રીય બેંકનું કહેવું છે કે આ ડિજિટલ એસેટ્સનો ઉપયોગ આતંકવાદીને આર્થિક મદદ, માદક પદાર્થોની તસ્કરી અને અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓ માટે થઈ શકે છે.
ભાજપના સાંસદ ભર્તૃહરિ મહતાબની અધ્યક્ષતાવાળી સંસદીય નાણાં સંબંધિત સ્થાયી સમિતિની બેઠક 'વર્ચ્યુઅલ ડિજિટલ એસેટ્સ (VDA) અને આગળના માર્ગ' વિષય પર ચર્ચા કરવા માટે યોજાઈ હતી. બેઠકમાં RBI અધિકારીઓ સાથે-સાથે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા (ICAI)ના પ્રતિનિધિઓએ પણ પોતાના મંતવ્યો રજૂ કર્યા. સૂત્રોના જણાવ્યા અનુસાર, RBIએ સમિતિને જાણ કરી હતી કે ભારત જેવા વિકાસશીલ રાષ્ટ્ર માટે વર્ચ્યુઅલ ડિજિટલ એસેટ્સ ગંભીર જોખમો ઉભા કરી શકે છે.
કેન્દ્રીય બેન્કે જણાવ્યું હતું કે હાલમાં આમને કાનૂની માન્યતા આપવી યોગ્ય રહેશે નહીં. RBIએ એ પણ જણાવ્યું કે, ક્રિપ્ટોકરન્સી દ્વારા આતંકવાદને નાણાકીય પોષણ, ડ્રગ્સની તસ્કરી અને અન્ય ગેરકાયદેસર નાણાકીય વ્યવહારો કરવાની આશંકા રહે છે. ક્રિપ્ટો ટ્રેડિંગમાં સામેલ વિદેશી (ઓફશોર) સંસ્થાઓની દેખરેખ રાખવું અત્યંત મુશ્કેલ છે; આ નિયમનકારી એજન્સીઓ માટે મોટા પડકારો ઉભા કરે છે, જેના કારણે આવા વ્યવહારો પર અસરકારક નિયંત્રણ રાખવું સરળ નથી.
બેઠક બાદ સમિતિના અધ્યક્ષ ભર્તૃહરિ મહતાબે પત્રકારોને જણાવ્યું હતું કે RBI ભારતમાં વર્ચ્યુઅલ ડિજિટલ સંપત્તિઓને કાનૂની દરજ્જો આપવાના પક્ષમાં નથી. તેમણે એમ પણ જણાવ્યું હતું કે સમિતિ આવકવેરા કાયદા હેઠળ VDA સાથે સંબંધિત જોગવાઈઓની સમીક્ષા કરી રહી છે.
તો, ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા (ICAI)એ સમિતિ સામે VDA સંબંધિત વ્યાપક કાયદાના અમલીકરણની હિમાયત કરી હતી. સંસ્થાએ જણાવ્યું હતું કે તે રોકાણકારો અને અન્ય હિસ્સેદારો માટે નિયમોમાં વધુ સ્પષ્ટતા લાવવા માટે સિદ્ધાંતો આધારિત માળખું અને જરૂરી માર્ગદર્શિકા બનાવવામાં સરકારને મદદ કરી શકે છે.

