- Gujarat
- ભાવનગરમાં કાજલ સાથે ફૈઝલ ખાટકીએ એવું શું કર્યું કે પોલીસે જાહેરમાં ધૂલાઈ કરી, જાણો પોલીસે શું કહ્યું...
ભાવનગરમાં કાજલ સાથે ફૈઝલ ખાટકીએ એવું શું કર્યું કે પોલીસે જાહેરમાં ધૂલાઈ કરી, જાણો પોલીસે શું કહ્યું
ભાવનગર શહેરમાં સાતમ-આઠમના તહેવારો દરમિયાન બનેલી એક ગંભીર ઘટનાએ સમગ્ર રાજ્યમાં ભારે ચર્ચા જગાવી છે. એસટી બસ સ્ટેશન વિસ્તારમાં એક યુવતીને ઢોર માર મારીને મોતને ઘાટ ઉતારવાના ગુનામાં પકડાયેલા આરોપીને પોલીસે જાહેરમાં ડંડા ફટકાર્યા હોવાના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. આ મામલે અનેક લોકોએ આનું સમર્થન કર્યું છે, જ્યારે અમુક લોકોએ આને કાયદા વિરુદ્ધ બતાવ્યું છે.
https://twitter.com/aher_narendra/status/2096257659146219757
શું હતો સમગ્ર બનાવ?
રિપોર્ટ્સ મુજબ નીલમબાગ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા ભાવનગર એસટી બસ સ્ટેશન ખાતે ગત 3 સપ્ટેમ્બરના રોજ આ ઘટના ઘટી હતી. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં એક વ્યક્તિ બસ સ્ટેશન પર કાજલ નામની યુવતીને માર મારી રહ્યો હતો. વીડિયો સામે આવ્યા બાદ પોલીસે તપાસ હાથ ધરી હતી અને ગંભીર રીતે ઈજાગ્રસ્ત યુવતીને સારવાર અર્થે સર. ટી. હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જોકે, ટૂંકી સારવાર બાદ યુવતીનું કરુણ મોત નીપજ્યું હતું.

મૃતક યુવતીની 40 વર્ષીય માતાએ નોંધાવેલી પોલીસ ફરિયાદ મુજબ, તેમની પુત્રીના લગ્ન બાદ છૂટાછેડા થઈ ગયા હતા. ત્યારબાદ તે પરિવારથી અલગ થઈને ભાવનગર બસ સ્ટેશનના ફૂટપાથ પર રહેતી હતી અને પરિવાર સાથે કોઈ સંબંધ રાખતી નહોતી. આ દરમિયાન તેનો પરિચય ફૂટપાથ પર રહેતા આરોપી ફૈઝલ ઉર્ફે ખાટકી સાથે થયો હતો અને બંને છેલ્લા સાત વર્ષથી સાથે રહેતાં હતાં.

નીલમબાગ પોલીસ સ્ટેશનના Dy SP આર. આર. સિંઘાલે મીડિયાને આપેલી માહિતી મુજબ મૃતક યુવતીએ માત્ર આઠ દિવસ પહેલાં જ આરોપીને જામીન અપાવીને જેલમાંથી બહાર છોડાવ્યો હતો. આરોપી સામે અગાઉ લૂંટ સહિતના અનેક ગુનાઓ નોંધાયેલા છે. જેલમાંથી બહાર આવ્યા બાદ આરોપીને શંકા ગઈ હતી કે યુવતી તેના એક મિત્ર સાથે સંબંધ ધરાવે છે. આ બાબતના મનદુઃખમાં બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ અદાવતમાં આરોપીએ યુવતીને ગળા, માથા અને પીઠના ભાગે મૂઢ માર મારીને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી, જેના કારણે યુવતી બેભાન થઈ ગઈ હતી અને બાદમાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. પોલીસે મૃતકના માતાનો સંપર્ક કરીને નીલમબાગ પોલીસ સ્ટેશન ખાતે હત્યાનો ગુનો નોંધ્યો છે અને પોસ્ટમોર્ટમની કાર્યવાહી પૂર્ણ કરી છે.

બનાવના બે દિવસ બાદ પોલીસ આરોપીને ઘટનાસ્થળે રીકન્સ્ટ્રક્શન (ઘટનાનું પુનરાવર્તન) માટે લઈ ગઈ હતી. આ દરમિયાન પોલીસ ગાડીની પાછળ આરોપીને રાખીને જાહેરમાં ડંડા મારતી હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ કાર્યવાહી બાદ સોશિયલ મીડિયા પર મિક્સ રિએક્શન જોવા મળી રહ્યા છે.
અનુભવ શર્મા નામના એક વ્યક્તિએ સોશિયલ મીડિયા પર કહ્યું હતું કે, શું આ દેશમાં હવે કોર્ટની જરૂર છે? વર્દીમાં રહેલો માણસ કે કોઈ સ્થાનિક અસામાજિક તત્વ પોતે જ ન્યાયાધીશ અને સજા આપનાર બની જાય તે કાયદાકીય પ્રક્રિયાના સંપૂર્ણ પતન સમાન છે. ખાન અફરોઝ નામના વ્યક્તિએ કહ્યું હતું કે, ગુનેગારને ગાડી સાથે બાંધીને સતત 107 લાઠીઓ મારવામાં આવી. સજા કાયદા પ્રમાણે કોર્ટ આપશે, પોલીસ પાસે આ રીતે અંધાધૂંધ લાઠીઓ વરસાવવાની મંજૂરી હતી?

આ મુદ્દે MLA ગોપાલ ઈટાલિયાએ પોલીસનું સમર્થન કરતા કહ્યું હતું કે, આમ તો હું પોલીસ દ્વારા માત્ર રીલ બનાવવા માટે કાઢવામાં આવતા નકલી વરઘોડાનું બિલકુલ સમર્થન કરતો નથી. લગભગ કિસ્સામાં પોલીસ દ્વારા આરોપીઓને અગાઉથી સૂચના આપવામાં આવે કે તેણે કેમેરા સામે લંગડાતું લગંડાતું ચાલવાનું છે અને પછી રિકન્સ્ટ્રક્શનની રીલ બનાવી લીધા પછી આરોપીને ગાડીમાં બેસાડીને પાછો પોલીસ સ્ટેશન લઈ જવામાં આવે.
ગોપાલે કહ્યું કે માત્ર જનતાની આંખમાં ધૂળ નાખવા અને રીલ બનાવવા માટે કાઢવામાં આવતા વરઘોડા ઉર્ફે રિકન્સ્ટ્રક્શનનો હું બિલકુલ વિરોધી છે પરંતુ ભાવનગર એસટી ડેપોમાં થયેલી દીકરીની હત્યાના રિકન્સ્ટ્રક્શન સમયે કોઈ પીઆઈ દ્વારા આપવામાં આવેલી ટ્રીટમેન્ટ બિલકુલ વ્યાજબી છે. એ પીઆઈને હું નામથી કે ચહેરાથી ઓળખતો નથી પરંતુ એમણે ખૂનના આરોપીને જે સરભરા કરી છે એ એકદમ યોગ્ય છે અને આવી હિંમત કરનાર અધિકારીઓ હોવા જોઈએ. માત્ર ગરીબ આરોપીઓની રીલ બનાવવી, નકલી રીલ બનાવવી કે રાજકીય કનેક્શનવાળા આરોપીને પોલીસ સ્ટેશનમાં સુવિધા આપવાના બદલે ભાવનગરના પીઆઈની જેમ દરેક અસામાજિક તત્વોને ટ્રીટમેન્ટ આપવામાં આવે તો એમાં કાંઈ વિરોધ કરવા જેવું નથી. ભાવનગરના એ અજાણ્યા પીઆઈની યોગ્ય કામગીરી બદલ શુભેચ્છાઓ.

