ઉત્તર પ્રદેશના રાજ્યપાલ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ ગુરુવારે સુરતની મુલાકાતે આવ્યા હતા. તેમના દીકરી અનાર પટેલના ક્રાફ્ટ રૂટ એક્ઝિબિશન પ્રસંગે આવેલા આનંદીબેને જ્ઞાતિવાદના નામે રાજકારણ કરનારાઓને ચાબખાં માર્યા હતા.
આનંદીબેને કહ્યું કે, આપણે ક્યાં સુધી લેઉઆ પટેલ અને કડવા પટેલના નામે વ્હેંચાયેલા રહીશું? જ્ઞાતિવાદના વાડામાંથી બહાર નિકળીને ભારતીય કે હિંદુસ્તાની તરીકે ગર્વ લેવું જોઇએ. હું પટેલ છું પરંતુ મારા લોહીમાં ક્યાંયે પટેલવાદ નથી. તેમણે કહ્યુ કે, જ્ઞાતિના નામે થતા રાજકારણ અને નેતૃત્વના દાવેદારોએ હવે માનસિકતા બદલવાની જરૂર છે.
તેમણે કહ્યુ કે, આપણે ધીમે ધીમે નીચે ઉતરી રહ્યા છીએ. સાચું નેતૃત્વ એ છે જે બધા સમાજને સાથે લઇને ચાલે.