મહારાષ્ટ્રના આ શહેરમાં અધિક માસ એકાદશીને કારણે મુસ્લિમોએ બકરી ઈદ પર કુરબાની ટાળી
દેશભરમાં, બકરી-ઈદનો તહેવાર ખૂબ જ ઉત્સાહથી ઉજવવામાં આવી રહ્યો છે. આ દરમિયાન, મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લાના તીર્થસ્થળ પંઢરપુરથી ગંગા-જમુની તહઝીબ અને હિન્દુ-મુસ્લિમ ભાઈચારોનું એક હૃદયસ્પર્શી ઉદાહરણ સામે આવ્યું છે; જેનો પડઘો સમગ્ર દેશમાં અનુભવાઈ રહ્યો છે. આ વર્ષે, બકરી-ઈદ (ઈદ-ઉલ-અધા) અને અધિક માસ એકાદશીનો પવિત્ર હિન્દુ તહેવાર એક જ દિવસે પડવાને કારણે પંઢરપુરના મુસ્લિમ સમુદાયે એક ઐતિહાસિક અને સંવેદનશીલ નિર્ણય લીધો છે હિન્દુ ભાઈઓની ધાર્મિક લાગણીઓના સન્માનમાં, તેઓએ તે આ દિવસે બકરીની કુરબાની ન આપવાનું પસંદ કર્યું.
પંઢરપુર મહારાષ્ટ્રના સૌથી મોટા અને સૌથી અગ્રણી મંદિર નગરોમાં ગણાય છે. અહીં ભગવાન વિઠ્ઠલ (ભગવાન કૃષ્ણ)નું વિશ્વપ્રસિદ્ધ મંદિર આવેલું છે. આ વર્ષે, બકરી ઇદ અને અધિક માસ એકાદશી 2026નો સંયોગ એક જ દિવસે બની રહ્યો છે. અધિક માસ એકાદશી દર ત્રણ વર્ષમાં એકવાર આવે છે, અને આ ખાસ પ્રસંગે, લાખો હિન્દુ ભક્તો (વારકરી) ભગવાન વિઠ્ઠલના દર્શન કરવા માટે દેશના ખૂણે-ખૂણેથી પંઢરપુર આવે છે.
સ્થાનિક મુસ્લિમ સમુદાયના એક વરિષ્ઠ સભ્યએ જણાવ્યું કે, ‘હું વર્ષોથી પંઢરપુરમાં રહું છું અને અહીં મંદિરમાં ઉજવાતા વિવિધ તહેવારો સાથે ગાઢ રીતે સંકળાયેલો છું. ભગવાન વિઠ્ઠલના ભક્તોની શ્રદ્ધા અને લાગણીઓને માન આપવા માટે અમે સર્વાનુમતે નિર્ણય લીધો કે અમે એકાદશીના દિવસે બકરાની કુરબાની નહીં આપીએ. અમે બે દિવસ પછી આ ધાર્મિક વિધિનું પાલન કરીશું.’
ભગવાન વિઠ્ઠલમાં અતૂટ શ્રદ્ધા
આ પહેલી વાર નથી જ્યારે પંઢરપુરના મુસ્લિમોએ સાંપ્રદાયિક સૌહાર્દનું આટલું શાનદાર ઉદાહરણ સ્થાપિત કર્યું હોય. સ્થાનિક રહેવાસીઓના મતે, પંઢરપુરમાં રહેતા મુસ્લિમ સમુદાયના હૃદયમાં ભગવાન વિઠ્ઠલ પ્રત્યે ઊંડી શ્રદ્ધા અને આદર છે. આ અગાઉ પણ જ્યારે-જ્યારે બકરી ઇદ અને એકાદશી, અથવા અન્ય કોઈ મુખ્ય હિન્દુ તહેવાર એક જ દિવસે આવ્યા છે ત્યારે અહીંના સ્થાનિક મુસ્લિમ સમુદાયે ભાઈચારાની ભાવનાથી તેમના પોતાના તહેવારોની ઉજવણી થોડા દિવસો માટે મુલતવી રાખી છે જેથી કોઈ ભક્ત કે સ્થાનિક રહેવાસીને કોઈ ઠેસ ન પહોંચે.
એક તરફ જ્યાં, પંઢરપુરે ત્યાગ અને પરસ્પર આદરનો એક નવો અધ્યાય લખ્યો છે, ત્યારે સમગ્ર દેશમાં ઈદ-ઉલ-અધાનો તહેવાર ખૂબ જ આનંદ, ઉત્સાહ અને શાંતિ સાથે ઉજવવામાં આવી રહ્યો. દિલ્હીની ઐતિહાસિક જામા મસ્જિદથી લઈને રાજસ્થાનના અજમેર શરીફમાં ખ્વાજા ગરીબ નવાઝની દરગાહ સુધી, સવારની નમાજ દરમિયાન લાખો લોકોએ ખુદાની દરગાહમાં માથા નમાવ્યા.
મસ્જિદો અને ઇદગાહમાંથી ફક્ત એક જ સામૂહિક અવાજ ગુંજી ઉઠ્યો- દેશની પ્રગતિ, શાંતિ અને અટલ ભાઈચારો. દિલ્હીમાં નમાજ અદા કરવા પહોંચેલી યાત્રાળુએ કહ્યું કે, ‘અમે ઈચ્છીએ છીએ કે દરેક તહેવાર દેશને જોડવાનું કામ કરે. અમે અલ્લાહને પ્રાર્થના કરી છે કે પ્રેમ અને ભાઈચારોનો આ ગુલદસ્તો હંમેશા મહેકતો રહે. ઉત્તર પ્રદેશથી રાજસ્થાન સુધી, બધા સંવેદનશીલ પ્રદેશોમાં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી, જેથી તહેવાર શાંતિ અને ગરિમાપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ થાય.

