- National
- હડકાયા કૂતરાઓને કારણે 10 દિવસ શાળા બંધ કરવા આદેશ, ઓનલાઈન અભ્યાસ; લોકો ડંડો લઈને બહાર જાય છે!
હડકાયા કૂતરાઓને કારણે 10 દિવસ શાળા બંધ કરવા આદેશ, ઓનલાઈન અભ્યાસ; લોકો ડંડો લઈને બહાર જાય છે!
ઉત્તરાખંડના ચમોલી જિલ્લાના નારાયણબગડમાં, હડકાયેલા કૂતરાઓના હુમલાને કારણે અત્યાર સુધીમાં 11 લોકો ઘાયલ થયા છે. બાળકોની સુરક્ષાને લઈને 10 શાળાઓ બંધ રાખવાનું કહેવામાં આવ્યું છે. આ શાળાઓના 600થી વધુ વિદ્યાર્થીઓ ઓનલાઈન વર્ગોમાં હાજરી આપી રહ્યા છે. કૂતરાઓના ડરને કારણે, લોકો ઘરની બહાર નીકળતી વખતે હાથમાં ડંડાઓ લઈને નીકળી રહ્યા છે.
ચમોલી કલેક્ટર ગૌરવ કુમારની સૂચના પર, મુખ્ય શિક્ષણ અધિકારી (DEO) આકાશ સારસ્વતે શાળાની રજાઓનો આદેશ બહાર પાડ્યો છે. શરૂઆતમાં, 20 ઓગસ્ટથી 23 ઓગસ્ટ સુધી 4 દિવસની રજા જાહેર કરવામાં આવી હતી, જે ત્યાર પછી ઘટાડીને 2 દિવસની કરવામાં આવી હતી.
વન વિભાગની ક્વિક રિસ્પોન્સ ટીમ (QRT) હડકાયેલા કૂતરાઓને પકડવા માટે કાર્યવાહી કરી રહી છે. 3 કૂતરાઓને પકડવામાં આવ્યા છે.
સ્થાનિક લોકોનો દાવો છે કે એક હડકાયેલો કૂતરો અન્ય કૂતરાઓને કરડ્યો હતો, જેના કારણે વિસ્તારમાં ઘણા કૂતરાઓ આક્રમક બની ગયા હતા. આ દાવાની હજુ સુધી સત્તાવાર પુષ્ટિ થઈ નથી.
સ્થાનિકોના જણાવ્યા અનુસાર, રવિવાર અને સોમવારે કૂતરાઓએ 3 લોકો પર હુમલો કર્યો હતો. મંગળવારે કૂતરાઓ સ્કૂલના બાળકો સહિત 4 લોકોને કરડ્યા હતા. બુધવારે 3 સ્કૂલના બાળકો સહિત 4 વધુ લોકો પર હુમલો કરવામાં આવ્યો હતો. ગઈકાલે ઘાયલ થયેલા લોકો, દીપાંશુ બિષ્ટ, માનવી, વૈષ્ણવી, મજૂર પ્રકાશ અને પાંતી ગામની રહેવાસી લક્ષ્મીને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અને તે તમામને હડકવા વિરોધી ઇન્જેક્શન આપવામાં આવ્યું હતું.
ક્વિક રિસ્પોન્સ ટીમ (QRT)માં વન વિભાગના 5 કર્મચારીઓ, પશુપાલન વિભાગના 4 કર્મચારીઓ અને 4 તહેસીલ કર્મચારીઓનો સમાવેશ થાય છે. ટીમ સાથે 2થી 3 પોલીસ અધિકારીઓ પણ તૈનાત છે. SDM યાદવીર સિંહ કામગીરીનું નિરીક્ષણ કરી રહ્યા છે.
જાળની મદદથી કૂતરાઓને પકડવામાં આવી રહ્યા છે. પશુપાલન વિભાગે નારાયણબગડ પશુચિકિત્સા હોસ્પિટલમાં 2 કેમ્પ લગાવ્યા છે. પકડાયેલા કૂતરાઓને રસી આપવામાં આવી રહી છે. લોકોને તેમના કૂતરાઓને રસી આપવા માટે પણ પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે.
ચમોલી પશુચિકિત્સા અધિકારી દેવેન્દ્ર સિંહ બિષ્ટના જણાવ્યા અનુસાર, નારાયણબગડ વિસ્તારમાં અત્યાર સુધીમાં 22 કૂતરાઓને રસી આપવામાં આવી છે. 2 ગાય અને 1 વાછરડાને પણ રસી આપવામાં આવી છે.
ભારતમાં કદાચ આ બીજી વખત બન્યું હશે કે જ્યારે હિંસક કૂતરાઓના ત્રાસને કારણે શાળાઓ બંધ કરવામાં આવી હોય. અગાઉ, જમ્મુ અને કાશ્મીરના રાજૌરીમાં, કૂતરાઓના ત્રાસને કારણે 8 પંચાયતોમાં શાળાઓ 1 દિવસ માટે બંધ રાખવી પડી હતી. જાહેર સલામતી સુનિશ્ચિત કરવા માટે ત્યાં CRPFને પણ રસ્તાઓ પર ઉતરવું પડ્યું હતું.

