- National
- પહેલા પુત્ર, પછી ભાણેજ-ભત્રીજીનું કાસળ કાઢી નાખ્યું... બાળકોની સુંદરતા જોઈ ન શકનારી પૂનમની કહાની
પહેલા પુત્ર, પછી ભાણેજ-ભત્રીજીનું કાસળ કાઢી નાખ્યું... બાળકોની સુંદરતા જોઈ ન શકનારી પૂનમની કહાની
હરિયાણાના પાણીપતમાં એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે, જ્યાં પોલીસે પૂનમ નામની એક મહિલાની ધરપકડ કરી છે, જે ઈર્ષ્યા અને માનસિક બીમારીના વિકારને કારણે માસૂમ બાળકોની દુશ્મન બની ગઈ હતી. આરોપી પૂનમ અત્યાર સુધીમાં તેના પોતાના પુત્ર સહિત 4 બાળકોનો જીવ લઈ ચૂકી છે. આરોપી મહિલાએ પહેલા તેના પુત્ર, પછી તેની ભાણેજ અને ભત્રીજીનું કાસળ કાઢી નાખ્યું. પોલીસના જણાવ્યા અનુસાર, તે ખાસ કરીને સુંદર અથવા આકર્ષક દેખાતા બાળકોને નિશાન બનાવતી હતી, દરેક વખતે તેમને ડૂબાડીને મારી નાખતી હતી.
1 ડિસેમ્બરના રોજ, નૌલથા ગામમાં એક લગ્ન દરમિયાન 6 વર્ષની બાળકી, વિધિ એક ટબમાં મૃત હાલતમાં મળી આવી હતી. છોકરીની ઊંચાઈ ટબ કરતા ખૂબ વધારે હતી, જેના કારણે અકસ્માત થવાની શક્યતા ખૂબ જ ઓછી હતી. બાથરૂમનો દરવાજો બહારથી બંધ જોવા મળ્યો હતો. આના કારણે પોલીસને આ મામલો શંકાસ્પદ લાગ્યો. CCTV ફૂટેજ તપાસતા જાણવા મળ્યું કે ઘટના સમયે બાથરૂમમાં માત્ર પૂનમ જ આવતી-જતી દેખાઇ રહી હતી. પરિવારની ફરિયાદ અને પૂછપરછ બાદ પૂનમ ભાંગી પડી અને તેણે કબૂલાત કરી કે તેણે અગાઉ પોતાના પુત્ર સહિત 3 બાળકોનો જીવ લઈ લીધો છે.
પાણીપતના પોલીસ અધિક્ષક ભૂપેન્દ્ર સિંહે જણાવ્યું કે, પૂનમ માનસિક રીતે અસ્થિર હતી. સુંદર બાળકો જોઈને ઈર્ષ્યા થતી હતી. તેને લાગતું હતું તેના કરતા કે તેના બાળકો કરતા વધુ સુંદર કોઈ ન હોવું જોઈએ. આ ઈર્ષ્યામાં તે બાળકોને પાણીમાં ડૂબાડી દેતી હતી. પૂનમે પહેલા તેની નણંદની સુંદર પુત્રીને પાણીની ટાંકીમાં ડૂબાડી દીધી. શંકા ન જાય તે માટે તેણે થોડા સમય બાદ પોતાના પુત્રનો એ જ રીતે જીવ લઈ લીધો. પરિવારે બંને મૃત્યુને અકસ્માત ગણાવ્યા.
પૂનમે પિયરમાં તેની એક માસૂમ ભત્રીજીને પણ ડૂબાડીને મારી નાખી હતી. પરિવારે તેને પણ અકસ્માત ગણાવીને મામલો થાળે પાડી દીધો. દરેક વખતે તે એક જ પ્રકારની રીત અપનાવતી હતી, બાળકોને ડૂબાડીને અને પછી તેને અકસ્માત ગણાવીને નીકળી જવું. પોલીસના જણાવ્યા અનુસાર, ગુના બાદ મહિલાનું વર્તન અત્યંત વિચિત્ર બની હતું. તે ખુશી વ્યક્ત કરતી, જે સામાન્ય નહોતું. કસ્ટડીમાં તેણે જણાવ્યું કે, સુંદર અને ધ્યાન ખેંચનારા બાળકોને જોઈને અસહ્ય ઈર્ષ્યા થતી હતી.
CIA ટીમે માત્ર 36 કલાકમાં આખો કેસ ઉકેલી નાખ્યો. પોલીસે જણાવ્યું હતું કે આરોપી પોતાના ગુનાઓ છુપાવવા માટે પોતાના બાળકની પણ હત્યા કરી શકતી હતી, જેનાથી કેસ વધુ સંવેદનશીલ થઈ ગયો. પૂનમની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ એ પણ તપાસ કરી રહી છે કે શું તે માનસિક રીતે બીમાર હતી. હરિયાણામાં આ આખો મામલો સનસનાટીભર્યો બની ગયો છે, કારણ કે ઈર્ષ્યા અને માનસિક બીમારીને કારણે એક મહિલા દ્વારા સતત 4 બાળકોનો જીવ લઈ લેવા અત્યંત દુર્લભ અને ભયાનક છે.

