- National
- નબળી ગુણવત્તાથી ગુસ્સે થઈ મેયરે છીણી-હથોડીથી રસ્તો ખોદી નાખ્યો; અધિકારીને ફોન કરીને કહ્યું, 'લોકોએ મ...
નબળી ગુણવત્તાથી ગુસ્સે થઈ મેયરે છીણી-હથોડીથી રસ્તો ખોદી નાખ્યો; અધિકારીને ફોન કરીને કહ્યું, 'લોકોએ મને ઘેરી લીધી છે'
કાનપુરના મેયર પ્રમિલા પાંડે ગુરુવારે ખુબ જોશમાં દેખાતા હતા. તેઓ છીણી અને હથોડી લઈને રસ્તા પર આવ્યા અને તેમણે જાતે રસ્તાનો થોડો ભાગ ખોદી નાખ્યો. પછી, ત્યાં હાજર સ્થાનિક લોકોને પેચવર્ક ખોદી નાખવા કહ્યું, ત્યારે તેમને ખબર પડી કે પેચવર્ક ફક્ત 1 થી 2 સેન્ટિમીટર જ જાડું હતું. માન્ય ધારા ધોરણ મુજબ, પેચવર્ક ઓછામાં ઓછું 1 ઇંચ જાડું હોવું જોઈતું હતું.
કામની નબળી ગુણવત્તા જોઈને, મેયરે ગુસ્સે થઈને PWD અધિકારીઓને સ્થળ પર ફોન કરીને બોલાવ્યા અને તેમને લોકોની સામે ખખડાવી નાખ્યા. મેયરે કહ્યું, 'લોકોએ મને અટકાવી દીધી અને તેમની આ સમસ્યા વિશે કહ્યું અને મને ઘેરી લીધી. હું PWD અધિકારીઓ વિશે સીધી CM યોગી આદિત્યનાથને ફરિયાદ કરીશ. વિભાગોની બેદરકારી ને કારણે સરકારની છબી કલંકિત થઇ રહી છે.' આ મામલો સંગીત ટોકીઝ નજીક ભન્નનાપુરવામાં રોડ પેચવર્કની નબળી ગુણવત્તાનો છે.

ચોમાસા પછીના ખાડા દૂર કરવાના અભિયાનના ભાગ રૂપે રાજ્યભરના રસ્તાઓ પર પેચવર્ક કરવામાં આવી રહ્યું છે. આ જ ક્રમમાં, PWDએ બે દિવસ પહેલા કાનપુરના જરીબ ચોકી ચાર રસ્તાથી ડેપ્યુટી પડાવ સુધી પેચવર્ક પૂર્ણ કર્યું.
મેયર પ્રમિલા પાંડેએ કહ્યું, "ગુરુવારે, જ્યારે હું ચંદ્રિકા દેવી રોડ પર ગાડી ચલાવી રહી હતી, ત્યારે જનતાએ મારી કાર રોકી. મેં JEને ફોન કર્યો અને અધિકારીઓને બોલાવ્યા. રસ્તાને જોતાં જ સ્પષ્ટ થઈ ગયું કે, PWDએ ખૂબ જ ખરાબ પેચવર્ક કર્યું છે. હું CM યોગીને ફરિયાદ કરીશ. આટલા સંઘર્ષ કર્યા પછી, PWDએ રસ્તાનું બાંધકામ શરૂ કર્યું, અને હવે તેઓ આવું ખરાબ કામ કરી રહ્યા છે.'
મેયરે કહ્યું, 'બે દિવસની અંદર જ, રસ્તો તૂટવા લાગ્યો. રસ્તા પર કપચીની કાંકરી ફેલાઈ ગઈ હતી. અમે IIT દ્વારા તેની તપાસ કરાવીશું. હું સવારે 9 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી રસ્તા પર રહેતી હોવ છું. જનતાએ મને ઘેરી લીધી. લોકો કહી રહ્યા છે કે BJP સરકારમાં આ જ પ્રકારનું ખરાબ કામ થઈ રહ્યું છે. ખરાબ કામમાં સંડોવાયેલા લોકો સામે ચોક્કસ કાર્યવાહી કરવામાં આવશે.'
9 ઓક્ટોબરના રોજ, કાનપુરના મેયર પ્રમિલા પાંડેએ એક મેટ્રો અધિકારીને ખેંચીને પાણીથી ભરેલા ખાડામાં ધકેલી દીધા હતા. તેમણે તેમને કહ્યું, 'હવે તમને સમજમાં આવ્યું. આખા શહેરને નર્ક જેવું બનાવી દીધું છે. જનતા દરરોજ આ સમસ્યાનો સામનો કરી રહી છે. મેયરનો ગુસ્સો જોઈને, મેટ્રોના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો ઘટનાસ્થળેથી ભાગી ગયા. આ દરમિયાન મ્યુનિસિપલ કમિશનર સુધીર કુમાર પણ હાજર હતા.

પાણી ભરાવાની ફરિયાદનો જવાબ આપવા માટે પ્રમિલા પાંડે ગોવિંદનગર પહોંચ્યા હતા. તેમણે મેટ્રોના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોને ઘટનાસ્થળે બોલાવ્યા. મેયરે મેટ્રોના અધિકારીઓ સાથે દલીલ કરવાનું શરૂ કર્યું, ત્યારે જ તેમણે તેમાંથી એક ઓફિસરને ખેંચીને ધક્કો માર્યો હતો.
12 જૂન, 2024ના રોજ, કાનપુરમાં સમીક્ષા બેઠક દરમિયાન મેયર પ્રમિલા પાંડે ગુસ્સે થયા હતા. તેમણે ઇજનેરને ડ્રેનેજની સફાઈ અંગે રિપોર્ટ માંગ્યો. ઇજનેરે ખોટો રિપોર્ટ રજૂ કર્યો. તે ડ્રેનેજ સફાઈ દરમિયાન નિરીક્ષણ કર્યાનો એક પણ ફોટો બતાવી શક્યા નહીં.
જવાબમાં, મેયર પ્રમિલા પાંડેએ એન્જિનિયરે આપેલી ફાઇલ ફેંકી દીધી. તેમણે કહ્યું, 'જો આ વખતે વરસાદ દરમિયાન પાણી ભરાયુ, તો તમે તેમાં ડૂબશો.' તેમણે એમ પણ પૂછ્યું, 'શું તમે ક્યારેય ACમાંથી બહાર નીકળો છો? એક પણ એન્જિનિયર તડકામાં સ્થળ પર જવાનું જરૂરી માનતો નથી. બધા ખુરસી પર બેઠા બેઠા નોકરી કરી રહ્યા છે.'

કાનપુરના મેયર બીજી વખત ચૂંટાયા છે. તેઓ તેમની કાર્યશૈલી માટે સતત સમાચારમાં રહે છે. તેમણે કાનપુરમાં મંદિરો પર ગેરકાયદેસર અતિક્રમણ સામે એક મોટું અભિયાન શરૂ કર્યું. તેમણે શહેરની અંદર અતિક્રમણ સામે કડક કાર્યવાહી પણ કરી. તાજેતરમાં, તેમણે રસ્તો ખોદવા બદલ કેસ્કોના એન્જિનિયરોની ધરપકડ કરી અને તેમને પંખા કે એર કન્ડીશનર વિના તેમની ઓફિસમાં બેસાડ્યા.
પ્રમિલા પાંડે મૂળ જૌનપુરના રહેવાસી છે, પરંતુ તેમનું કાર્યસ્થળ કાનપુર છે. તેમના પતિ રજિસ્ટ્રાર ઓફિસમાંથી નિવૃત્ત થયા છે. 12મા ધોરણ સુધી અભ્યાસ કર્યા પછી, પ્રમિલા પાંડે લાંબા સમયથી RSS સાથે સંકળાયેલા હતા. આ પછી, તેઓ સિવિલ લાઇન્સ વોર્ડ 52માંથી બે વાર કોર્પોરેટર તરીકે ચૂંટાયા હતા. તેમણે મહિલા મોરચાના જિલ્લા પ્રમુખ તરીકે પણ સેવા આપી છે. તેઓ કોઈપણ BJPના વિરોધ પ્રદર્શનમાં હંમેશા મોખરે રહે છે, તેમના સ્કૂટર પર પાર્ટીના ચાર ઝંડા લગાવીને સૌથી આગળ રહે છે. નવરાત્રિ દરમિયાન, તેઓ પુરા નવ દિવસ ખુલ્લા પગે કામ કરે છે. લોકો તેને 'કાકી', 'યુવાન દાદી' અને 'દીદી' કહે છે. તેની પાસે એક પોતાની અંગત બંદૂક અને રિવોલ્વર છે, જ્યારે તેમના પતિ પાસે પણ બંદૂક અને રિવોલ્વર છે.

