- National
- પિતાના અંતિમ સંસ્કાર પહેલા દીકરાએ પિતાના શવના અંગૂઠાથી કાગળ પર નિશાન લીધા
પિતાના અંતિમ સંસ્કાર પહેલા દીકરાએ પિતાના શવના અંગૂઠાથી કાગળ પર નિશાન લીધા
ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં એક વ્યક્તિ દ્વારા પોતાના પિતાના અંતિમ સંસ્કાર પહેલાં તેમના મૃતદેહના અંગૂઠાની છાપ કોરા કાગળો પર લેવામાં આવી હોવાની બાબત સામે આવી છે. વ્યક્તિ પર આરોપ છે કે તેણે આ કામ મિલકત વિવાદ સાથે જોડાયેલા કોઈ આશયથી કર્યું છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો છે, જે બાદ પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી દીધી છે.
લખનૌના રહીમાબાદ સ્થિત ખડૌહા ગામમાં 75 વર્ષીય વૃદ્ધના મોત બાદ તેમના પુત્ર પર જમીનની લાલચમાં મૃત પિતાના કોરા કાગળો પર અંગૂઠાની છાપ લેવડાવવાનો ગંભીર આરોપ લાગ્યો છે. ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં કેટલાક લોકો મૃતકના અંગૂઠાની છાપ કાગળ પર લેવડાવતા દેખાઈ રહ્યા છે. ગામના લોકોએ આ ઘટનાનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી દીધો હતો. જોકે, પોલીસનું કહેવું છે કે હજુ સુધી આ મામલે કોઈ લેખિત ફરિયાદ મળી નથી અને વાયરલ વીડિયોની તપાસ કરવામાં આવી રહી છે.
https://twitter.com/gaurav5pandey/status/2087918843163471985
પરિવારજનોના જણાવ્યા અનુસાર, છત્રપાલ અને તેમના પત્ની શિવદેવીને તેમનો પુત્ર મહેન્દ્ર અને પુત્રવધૂ લક્ષ્મી કથિત રીતે લાંબા સમયથી હેરાન-પરેશાન કરી રહ્યા હતા. આરોપ છે કે વર્ષ 2023માં વૃદ્ધ દંપતીને તેમના પેતૃક ઘરમાંથી બહાર કાઢી મૂકવામાં આવ્યા હતા. ત્યારબાદ બંનેએ સંબંધીઓને ત્યાં રહીને દિવસો વિતાવ્યા હતા.
વર્ષ 2024માં છત્રપાલ પોતાની મોટી પુત્રી સુમન અને અન્ય બે પુત્રીઓ પાસે રહેવા લાગ્યા હતા. પુત્રીઓએ વૃદ્ધ માતા-પિતાની સારી રીતે સંભાળ રાખી હતી. પરિવારજનોના જણાવ્યા મુજબ, પુત્રીઓની સેવાથી ખુશ થઈને છત્રપાલે પોતાની આશરે સાડા છ વીઘા જમીનમાંથી એક-એક વીઘો જમીન ત્રણેય પુત્રીઓના નામે કરી દીધી હતી.
પરિવારજનોનો દાવો છે કે પુત્ર અને પુત્રવધૂના કથિત ત્રાસથી કંટાળીને છત્રપાલે અખબારમાં જાહેર નોટિસ આપીને મહેન્દ્ર અને તેની પત્નીને પોતાની ચલ-અચલ મિલકતમાંથી બેદખલ કરી દીધા હતા. આરોપ છે કે આ જ નિર્ણયને કારણે મહેન્દ્ર તેના પિતાથી નારાજ હતો.
મૃતકની પુત્રી સુમનના જણાવ્યા મુજબ, 7 જુલાઈના રોજ પિતાની તબિયત લથડતાં તેણે પોતાના ભાઈ મહેન્દ્રને આ અંગે જાણ કરી હતી. આ પછી મહેન્દ્ર પરિવારના સભ્યો સાથે લખનૌ પહોંચ્યો હતો. આરોપ છે કે બહેન સાથે વિવાદ થયા બાદ તે પિતાની સારવાર કરાવવાના બહાને તેમને પોતાની સાથે ગામ લઈ ગયો હતો. સુમનનો દાવો છે કે ગામ લઈ ગયાના માત્ર ત્રણ જ દિવસમાં 9 જુલાઈના રોજ છત્રપાલનું અવસાન થયું હતું.

પિતાના અવસાનના સમાચાર મળતાં જ પુત્રીઓ ગામ પહોંચી હતી. સુમનનો આરોપ છે કે અંતિમ સંસ્કાર દરમિયાન મહેન્દ્રએ તેની અને તેની બહેનો સાથે ગાળાગાળી કરી કુંવ્યવહાર કર્યો હતો. આ જ દરમિયાન સામે આવેલા એક વીડિયોએ સમગ્ર મામલાને વધુ ગંભીર બનાવી દીધો છે. વીડિયોમાં મૃત પિતાના હાથના અંગૂઠાની છાપ કાગળ પર લેવાઈ રહી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. ગામલોકોએ આ ઘટનાનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી દીધો હતો, જે જોતજોતામાં ઝડપથી વાયરલ થઈ ગયો હતો.
વીડિયો વાયરલ થયા બાદ સૌથી મોટો સવાલ એ ઉભો થાય છે કે મૃત પિતાના અંગૂઠાની છાપ કોરા કાગળો પર કેમ લેવામાં આવી રહી હતી અને આ કાગળોનો ઉપયોગ કયા હેતુ માટે થવાનો હતો? હાલમાં આ સવાલોના જવાબ પોલીસ તપાસ બાદ જ મળી શકશે, પરંતુ ગેરકાયદેસર રીતે પુત્ર મહેન્દ્ર પર જમીન અને મિલકત પોતાના નામે કરાવી લેવાના અત્યંત ગંભીર આરોપો લાગ્યા છે, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ છે.
રહીમાબાદ પોલીસ સ્ટેશનના પ્રભારીના જણાવ્યા અનુસાર, આ મામલે હજુ સુધી કોઈ લેખિત ફરિયાદ મળી નથી. વાયરલ વીડિયોની તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ તપાસમાં સામે આવનારા તથ્યોના આધારે આગળની કાનૂની કાર્યવાહી કરશે. હાલમાં વીડિયોની સત્યતા, તેમાં દેખાઈ રહેલા લોકોની ઓળખ અને કોરા કાગળો પર અંગૂઠાની છાપ લેવડાવવા પાછળનું સાચું કારણ પોલીસ તપાસનો વિષય છે.

