- National
- CJPના ફાઉન્ડરને ડર, USથી દિલ્હી પહોંચતા જ સરકાર તેને તિહાડ ભેગો કરી દેશે, તેના માતા-પિતા પણ...
CJPના ફાઉન્ડરને ડર, USથી દિલ્હી પહોંચતા જ સરકાર તેને તિહાડ ભેગો કરી દેશે, તેના માતા-પિતા પણ...
સોશિયલ મીડિયા પર ધૂમ મચાવનાર 'કોકરોચ જનતા પાર્ટી' (CJP) ના સ્થાપક અભિજીત દીપકેએ આશંકા વ્યક્ત કરી છે કે દિલ્હી પહોંચતાની સાથે જ તેની ધરપકડ થઈ શકે છે. દીપકે હાલમાં અમેરિકામાં છે, જ્યાં તેમણે પબ્લિક રિલેશન્સ (PR) નો અભ્યાસ કર્યો છે. 30 વર્ષીય દીપકેએ ન્યૂઝ પ્લેટફોર્મ 'રેડ માઇક' ને આપેલા ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તેઓ આગામી મહિને ભારત પરત ફરવાનું આયોજન કરી રહ્યો છે.
પત્રકાર સૌરભ શુક્લાને આપેલા ઇન્ટરવ્યુમાં દીપકેએ કહ્યું કે ‘મારો દીક્ષાંત સમારોહ હમણાં જ પૂરો થયો છે. હું આગામી મહિને ભારત પરત આવવાનું વિચારી રહ્યો છું. પરંતુ હાલની સ્થિતિ અને પેટર્ન જોતા મને ખાતરી છે કે હું દિલ્હી એરપોર્ટ પર ઉતરીશ કે તરત જ દિલ્હી પોલીસ મને કસ્ટડીમાં લઈને તિહાર જેલ ભેગો કરી દેશે.’

દીપકેનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે 21 મેના રોજ 'કોકરોચ જનતા પાર્ટી' ના 2 લાખથી વધુ ફોલોઅર્સ ધરાવતા એક્સ (X) હેન્ડલ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો. આ પેજ તેની સ્થાપનાના માત્ર પાંચ દિવસમાં જ ખૂબ લોકપ્રિય થયું હતું. જો કે, આ કાર્યવાહી બાદ આ અભિયાન અંતર્ગત 'કોકરોચ ઇઝ બેક' નામે નવું હેન્ડલ શરૂ કરવામાં આવ્યું છે, જેને માત્ર 24 કલાકમાં અંદાજે 1,44,000 ફોલોઅર્સ મળી ચૂક્યા છે.
CJP અભિયાનની શરૂઆત ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) સૂર્યકાંતની એક કથિત મૌખિક ટિપ્પણીના વિરોધમાં થઈ હતી. આરોપ છે કે તેમણે સુનાવણી દરમિયાન બેરોજગાર ભારતીય યુવાનોને 'કોકરોચ' (વંદા) તરીકે સંબોધ્યા હતા.
જો કે, ચીફ જસ્ટિસે પાછળથી સ્પષ્ટતા કરી હતી કે તેમના નિવેદનને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યું છે. તેમની ટિપ્પણી ખાસ કરીને એવા લોકો માટે હતી જેઓ ‘નકલી અને બોગસ ડિગ્રી’ દ્વારા વકીલાતના વ્યવસાયમાં પ્રવેશી રહ્યા છે. પરંતુ આ સ્પષ્ટતા આવે ત્યાં સુધીમાં, વંદાના પ્રતીક (સિમ્બોલ) સાથે CJP સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ચૂકી હતી.
સોશિયલ મીડિયા પર ડિજિટલ સંગઠન CJP ના આ અસાધારણ ઉછાળોએ તેના સ્થાપકના માતા-પિતાની ચિંતા વધારી દીધી છે. તેઓ સતત ડરમાં જીવી રહ્યા છે કે તેમનો પુત્ર કોઈ મુશ્કેલીમાં મુકાઈ જશે અથવા તેની ધરપકડ થઈ જશે.
બોસ્ટન યુનિવર્સિટીના વિદ્યાર્થી દીપકે દ્વારા માત્ર એક અઠવાડિયા પહેલા શરૂ કરાયેલા આ સંગઠને ઇન્સ્ટાગ્રામ પર 2 કરોડથી વધુ ફોલોઅર્સ મેળવી લીધા છે. આ આંકડો દેશના મુખ્ય રાજકીય પક્ષો ભાજપ (BJP) અને કોંગ્રેસના ફોલોઅર્સ કરતાં પણ વધુ છે.
મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાં રહેતા અભિજીતના માતા-પિતા ભગવાન દીપકે અને અનિતા દીપકેએ 21 મેના રોજ એક મરાઠી ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં જણાવ્યું કે તેઓ તેમના પુત્રના રાજકારણમાં પ્રવેશવાથી બિલકુલ ખુશ નથી. દીકરાના આ પગલા વિશે જાણ્યા પછી તેમની રાતોની ઊંઘ હરામ થઈ ગઈ છે.
પિતા ભગવાન દીપકેએ જણાવ્યું કે ‘આજકાલના રાજકારણને જોતા ડર લાગવો સ્વાભાવિક છે, ભલે તેના ગમે તેટલા ફોલોઅર્સ હોય. તેણે પોતે જ એક ઇન્ટરવ્યુમાં ભારત પરત ફર્યા બાદ ધરપકડ થવાનો ડર વ્યક્ત કર્યો છે. અમે અખબારોમાં આવી ઘટનાઓ વિશે વાંચતા રહીએ છીએ.’

જ્યારે અભિજીતની માતા અનિતાએ ઈચ્છા વ્યક્ત કરી કે તેમનો પુત્ર રાજકારણથી દૂર રહે અને નોકરી મેળવવા પર ધ્યાન કેન્દ્રિત કરે. તેમણે કહ્યું, ‘અમે બસ એટલું જ ઈચ્છીએ છીએ કે તે સુરક્ષિત ઘરે પાછો આવી જાય. તે રાજકારણમાં રહેશે કે નહીં તે તેનો નિર્ણય હશે, પરંતુ અમે નથી ઈચ્છતા કે તે આ રસ્તે આગળ વધે. મને ખબર નથી કે તે અમારું સાંભળશે કે નહીં, પરંતુ હું આમાં તેને સાથ નહીં આપું. મને તેની ખૂબ ચિંતા થાય છે.’
ગુરુવારે એક ટ્વિટમાં પોતે દલિત હોવાનો ખુલાસો કર્યા બાદ અભિજીત દીપકેને સોશિયલ મીડિયા પર જાતિવાદી ટિપ્પણીઓનો પણ સામનો કરવો પડી રહ્યો છે.
એક તરફ જ્યાં CJP ને વ્યાપક જનસમર્થન મળી રહ્યું છે, ત્યાં બીજી તરફ સોશિયલ મીડિયા પર કેટલાક યુઝર્સે સવાલ ઉઠાવ્યા છે કે શું આ માત્ર એક કટાક્ષ (સેટાયર) બનીને રહેશે કે પછી ભવિષ્યમાં કોઈ વાસ્તવિક રાજકીય પક્ષ બનશે? ‘શટ અપ કાઉન્સેલ’ નામના સોશિયલ મીડિયા હેન્ડલ દ્વારા દલિત મુદ્દાઓ પર CJP ના વલણ અંગે પણ સવાલો ઉઠાવવામાં આવ્યા હતા.
સોશિયલ મીડિયા પર સતત સક્રિય રહેતા અને પોસ્ટ્સ તેમજ રીલ્સના જવાબો આપતા દીપકેએ આ સવાલના એક કલાક પછી જ જવાબ આપતા લખ્યું, ‘હું પોતે એક દલિત છું. આશા રાખું છું કે આનાથી તમારા બધા સવાલોના જવાબ મળી ગયા હશે.’

