- National
- બંગાળની કોલેજમાં બેગમાં ભરેલી કરોડોની નોટોને ઉધઈ ખાઈ ગઈ
બંગાળની કોલેજમાં બેગમાં ભરેલી કરોડોની નોટોને ઉધઈ ખાઈ ગઈ
પશ્ચિમ બંગાળમાં, તાજેતરના દિવસોમાં રાજકારણ અને વહીવટ સાથે જોડાયેલા ઘણા ઘટનાક્રમ એક સાથે આવ્યા છે. કોલકાતાની સુરેન્દ્રનાથ કોલેજમાં મોટી માત્રામાં રોકડ રકમ મળી આવવા, નકલી સહીઓના આરોપો, TMC નેતાઓની ગતિવિધિઓ અને ઘણા મહત્ત્વપૂર્ણ રાજીનામાઓએ રાજ્યનું રાજકારણ ગરમાવી દીધું છે. તો, ભૂતપૂર્વ રમતગમત મંત્રી અરૂપ બિસ્વાસને પણ એક વિવાદાસ્પદ કેસના સંદર્ભમાં પોલીસે સમન્સ પાઠવ્યું છે.
સુરેન્દ્રનાથ કોલેજમાંથી રોકડ મળી
સુરેન્દ્રનાથ કોલેજના યુનિયન રૂમમાંથી બે ટ્રોલી બેગમાં ભરેલી ₹500 અને ₹100ની નોટોના બંડલ મળી આવ્યા હતા. એવું કહેવામા આવી રહ્યું છે કે ચલણી નોટોનો એક ભાગ ઉધઈએ ખરાબ કરી દીધો હતો. આ જપ્તી બાદ કોલેજ કેમ્પસમાં ખળભળાટ મચી ગયો હતો.
કોલેજ કેમ્પસમાં એક ઓરડો પણ મળી આવ્યો હતો જેમાં એક પલંગ અને સંપૂર્ણ સુસજ્જ શૌચાલય હતું. એવો આરોપ છે કે આ રૂમ TMCના એક નેતાના અંગત ઉપયોગ માટે બનાવવામાં આવ્યો હતો. આ ઉપરાંત, કોલેજની છત પર દારૂની બોટલો વિખેરાયેલી મળી આવી હતી.
રાજ્ય મંત્રીમંડળની પ્રથમ પૂર્ણ બેઠક અગાઉ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીએ અચાનક દિલ્હીની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન, તેમણે રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન સાથે મુલાકાત કરી હતી, જેથી રાજકીય અટકળોને વેગ મળ્યો છે.
TMCમાં સંભવિત આંતરિક તકરાર અંગે ચર્ચાઓ વચ્ચે રીતબ્રત બેનર્જી અને સંદીપન સાહા ફરી એકવાર ધારાસભ્ય હોસ્ટેલમાં જોવા મળ્યા હતા. આ બાબતે ટિપ્પણી કરતા રીતાબ્રત બેનર્જીએ જણાવ્યું હતું કે, ‘હું કેટલાક લોકોને મળ્યો હતો. અમે મુરી અને ફિશ ફ્રાઈ ખાવા આવ્યા હતા.’
નકલી સહી કેસની તપાસ તેજ
વિરોધ પક્ષના નેતા દ્વારા રજૂ કરાયેલા પ્રસ્તાવ પર નકલી સહીઓ હોવાના આરોપો સામે આવ્યા છે. કેસની તપાસ કરી રહેલી CIDએ 3 TMC ધારાસભ્યોના હસ્તાક્ષરના નમૂના એકત્રિત કરવા માટે કોર્ટની પરવાનગી માંગી છે. નકલી સહી ફક્ત ધારાસભ્યો સુધી મર્યાદિત રહ્યો નથી. એવો આરોપ છે કે કેટલાક અમલદારોની સહીઓ પણ નકલી કરવામાં આવી હતી. વિશ્વજીત દેબ પછી, રિતબ્રત બેનર્જીએ પણ આ પ્રકારના આરોપો લગાવ્યા છે.
TMC નેતાઓના રાજીનામા
કોલકાતા મ્યુનિસિપલ કોર્પોરેશન (KMC)ના મેયર-ઇન-કાઉન્સિલના સભ્ય તારક સિંહે તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તો, TMCના ભૂતપૂર્વ ધારાસભ્ય આશિષ બંદોપાધ્યાયે બીરભૂમ જિલ્લા પ્રમુખ પદ તેમજ કોર કમિટીના સભ્યપદ પરથી રાજીનામું આપી દીધું છે.
'મેસ્સી વિવાદ' કેસમાં પોલીસે ભૂતપૂર્વ રમતગમત મંત્રી અરૂપ બિશ્વાસને સમન્સ પાઠવ્યું છે. તેમને શુક્રવાર સુધીમાં બિધાનનગર દક્ષિણ પોલીસ સ્ટેશનમાં હાજર રહેવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. આ કેસની તપાસ ચાલી રહી છે.

