- National
- E20 પેટ્રોલથી ખરાબ થઇ કાર, માલિકના પક્ષમાં પહેલો કેસ; કંપનીને નવી કાર આપવા કોર્ટનો આદેશ
E20 પેટ્રોલથી ખરાબ થઇ કાર, માલિકના પક્ષમાં પહેલો કેસ; કંપનીને નવી કાર આપવા કોર્ટનો આદેશ
ભારતમાં E20 ઇંધણ અંગે ચાલી રહેલી બહેસ વચ્ચે કોર્ટે એક કેસમાં પહેલી વખત આદેશ આપ્યો છે. છત્તીસગઢના રાયપુરમાં એક ગ્રાહક કોર્ડે વાહન માલિકની તરફેણમાં ચૂકાદો આપ્યો છે. માલિકે આરોપ લગાવ્યો હતો કે E20 ઇંધણથી તેના વાહનને ખૂબ નુકસાન થયું છે; વારંવાર સમારકામ કરાવવા છતા તેને કોઈ રાહત મળી નથી, ફક્ત ખર્ચ જ વધ્યો છે.
ગ્રાહકે દાવો કર્યો હતો કે E20 પેટ્રોલનો ઉપયોગ શરૂ કર્યા પછી તેની કારનું એન્જિન ખરાબ થવા લાગ્યું. એન્જિનનું પ્રદર્શન બગડ્યું, અને મિસફાયરિંગ અને માઇલેજમાં પણ ઘટાડો જોવા મળ્યો. સમારકામ માટે કારને વારંવાર સર્વિસ સેન્ટર પર લઈ જવા છતા સમસ્યાઓ થતી રહી, જેના કારણે ગ્રાહકનો ખર્ચ વધ્યો.
આ કેસનું મુખ્ય કેન્દ્ર એક પ્રશ્ન પર આધારિત હતો કે, શું E20 પેટ્રોલને કારણે વાહનોમાં ખામી સર્જાઇ રહી છે? કાર ઉત્પાદક કંપની અને ડીલરે દાવો કર્યો હતો કે વાહનનું મોડેલ E20 ઇંધણ સાથે સરળતાથી ચાલી શકે છે. ડીલરે વધુમાં દલીલ કરી હતી કે આ સમસ્યાઓ માલિકની ભૂલ છે, અને ખામીઓ માટે સારી રીતે મેન્ટેનેન્સ ન કરવા અને સામાન્ય ઘસારો હોવાને કારણે વાહનમાં ખરાબી આવી. જોકે, ફરિયાદીએ જણાવ્યું હતું કે 2024માં ખરીદેલી કાર અત્યાર સુધી સારી રીતે ચાલી રહી હતી, પરંતુ E20 પેટ્રોલ ભરાવ્યા બાદ તેમાં સતત સમસ્યાઓ આવવા લાગી.
કાર માલિકે પ્રખ્યાત ઉત્પાદક મારુતિ સુઝુકી ઇન્ડિયા લિમિટેડ સામે કેસ દાખલ કર્યો હતો. કોર્ટે સુનાવણી બાદ કંપનીને ફરિયાદીને 45 દિવસની અંદર આ જ મોડેલની કાર આપવોનો નિર્દેશ આપ્યો હતો. આ ગાડી E20 ઇંધણ સાથે સુસંગત હોવી જોઈએ. જો કંપની આમ કરવામાં નિષ્ફળ જાય, તો તેણે કારની સંપૂર્ણ કિંમત વાહન માલિકને પરત કરવી પડશે. આ રકમ ₹20.50 લાખ હશે. આટલું જ નહીં કોર્ટે ફરિયાદીને થયેલી માનસિક હેરાનગતિ માટે વળતર તરીકે ₹1 લાખ અને કેસના ખર્ચ માટે ₹10,000 ચૂકવવાનો આદેશ આપ્યો છે.
ફરિયાદીએ ગ્રાહક કોર્ટ સમક્ષ એ વાતના પુરાવા રજૂ કર્યા કે વાહનના એન્જિનમાં E20 ઇંધણ જમા થયેલું મળી આવ્યું હતું. કારનું સમારકામ એક વર્કશોપમાં કરવામાં આવ્યું હતું, પરંતુ થોડા દિવસો પછી ઇંધણ ટાંકીમાં સફેદ, ચીકણું પ્રવાહી મળી આવ્યું. એન્જિનમાં થયેલું નુકસાન વધતું ગયું. ગ્રાહક કોર્ટે આ માટે કાર કંપનીને જવાબદાર ઠેરવી.

