- National
- જબરું કૌભાંડ: આ રાજ્યની ભાજપ સરકારે એવા મગની ખરીદી કરી, જે ખેડૂતોએ ક્યારેય ઉગાડ્યા જ નથી!
જબરું કૌભાંડ: આ રાજ્યની ભાજપ સરકારે એવા મગની ખરીદી કરી, જે ખેડૂતોએ ક્યારેય ઉગાડ્યા જ નથી!
‘ગજબ હૈ મધ્ય પ્રદેશ, સબસે ગજબ’, મધ્ય પ્રદેશ વિશે આ વાક્યનો ઉપયોગ આમ જ થતો નથી. અહીં એવી અવિશ્વસનીય ઘટનાઓ બનતી રહે છે, જેના પર વિશ્વાસ કરવું મુશ્કેલ છે. તાજેતરનો મામલો મગની દાળનો છે. મધ્ય પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) સરકારે એવા કઠોળ ખરીદ્યા જે ખેડૂતોએ ક્યારેય ઉગાડ્યા નથી. હેરાનીની વાત એ છે કે, ખેડૂતોને ખબર પણ નહોતી કે તેમની ખેતીની જમીન તેમની સંમતિ વિના નોંધાયેલી છે. આ કૌભાંડ બહાર આવ્યું, ત્યારે અધિકારીઓએ આરોપીઓને તેમની નોકરીમાંથી કાઢી મૂક્યા અને તેમની સામે કાનૂની કાર્યવાહી કરવાની તસ્દી પણ લીધી નહીં.
અંગ્રેજી અખબાર ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, મધ્ય પ્રદેશના રાયસેન જિલ્લાના દૂરના વિસ્તારોના ખેડૂતોને જાણવા મળ્યું કે, તેમણે સરકારી રેકોર્ડમાં સરકારને મગ વેચ્યા હતા. જ્યારે તેમણે પોતાના ખેતરોમાં મગ ઉગાડ્યા જ નહોતા અને ન તો તેમને વેચવા માટે નોંધણી કરાવી હતી.
જ્યારે આ મામલો પ્રકાશમાં આવ્યો, ત્યારે ખુલાસો થયો કે મધ્ય પ્રદેશ સરકારને મગના દાળના વેચાણમાં આશરે ₹13.3 લાખનું કૌભાંડ થયું છે. આર્થિક ગુના શાખા (EOW) એ આ રેકોર્ડની તપાસ શરૂ કરી, અને કથિત કૌભાંડ પ્રકાશમાં આવ્યું. રાયસેન જિલ્લામાં ત્રણ સહકારી મંડળીઓમાં સરકારી ખરીદી માટે કમ્પ્યુટર ઓપરેટર તરીકે કામ કરતા ત્રણ વ્યક્તિઓ સામે કેસ નોંધવામાં આવ્યો.
દેહરી કલાના કમ્પ્યુટર ઓપરેટર શ્રીરામ ઠાકુર, કર્મચારી રણજીત ઠાકુર અને ભડકચ્છ કલાના કમ્પ્યુટર ઓપરેટર ગૌરવ ઠાકુર આરોપી છે. તપાસકર્તાઓનો આરોપ છે કે આ ત્રણેયે પહેલા સ્થાનિક બજારમાંથી ઓછી કિંમતે મગ ખરીદ્યા હતા અને પછી તેને ખેડૂતોની પેદાશ હોવાનો દાવો કરીને લઘુત્તમ ટેકાના ભાવ (MSP) પર સરકારી ખરીદી કેન્દ્રો પર વેચ્યા હતા.
મંડળીઓ ખેડૂતોના રેકોર્ડ રાખે છે, જેની તેમની પાસે સરળતાથી પહોંચ હતી. આ કેસ એવા સમયે પ્રકાશમાં આવ્યો છે જ્યારે મધ્ય પ્રદેશ સરકાર મગની સરકારી ખરીદી અને MSP અંગે ખેડૂતોના વિરોધનો સામનો કરી રહી છે.
આ યોજનામાં એવા ખેડૂતોના નામ અને જમીનના રેકોર્ડનો ઉપયોગ કરવામાં આવ્યો હતો જેમણે મગ વેચવા માટે નોંધણી કરાવી નહોતી. આ કથિત કૌભાંડ બાડી તાલુકાની ત્રણ સહકારી મંડળીઓમાં ખરીદીની બે મોસમ દરમિયાન આચરવામાં આવ્યું હતું. તપાસકર્તાઓના જણાવ્યા અનુસાર, આરોપીઓએ આનાથી અંદાજે ₹13.3 લાખ મેળવ્યા હતા.
કૃષિ ઉત્પાદન બજાર સમિતિના સચિવ રીતુ ગઢવાલે તપાસકર્તાઓને જણાવ્યું હતું કે, જરૂરી નથી કે ખેડૂતો તેમની પેદાશ સરકારને જ વેંચે. તેમની પાસે બજારમાં સીધી રીતે તેમનો પાક વેચવાનો વિકલ્પ પણ છે.
કૌભાંડ કેવી રીતે ખુલ્યું?
સરકારી ખરીદી પ્રણાલીના નિયમિત નિરીક્ષણ દરમિયાન આ કૌભાંડ પ્રકાશમાં આવ્યું નહોતું. એક ખેડૂતે જોયું કે તેના નામે એવા દસ્તાવેજો તૈયાર કરવામાં આવ્યા હતા જેના પર તેણે ક્યારેય સહી કરી નહોતી, ત્યારે આ વાત પ્રકાશમાં આવી. બાડી તાલુકાનો રહેવાસી રાજીવ પટેલે મે 2025માં આર્થિક ગુના શાખા (EOW)માં ફરિયાદ નોંધાવી હતી. તેમણે આરોપ લગાવ્યો હતો કે રણજીત ઠાકુર અને દેહરી કાલા, ભદ્રક કાલા અને ગુગલવાડામાં સહકારી મંડળીઓના અન્ય કર્મચારીઓએ જમીન માલિકોની સંમતિ વિના તેમની જમીનની નોંધણી કરાવી હતી.
જ્યારે તપાસકર્તાઓએ એવા ખેડૂતો પાસેથી માહિતી લીધી, જેમના નામ રેકોર્ડ પર હતા, ત્યારે તેમાંથી ઘણાએ એક જેવા નિવેદનો આપ્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે તેમની અથવા તેમના પરિવારની ખેતીની જમીન કિસાન સંહિતા હેઠળ ખોટી રીતે નોંધણી કરાઈ હતી.
EOWની કાર્યવાહી પહેલાં, સહકારી વિભાગે બે વાર આ આરોપોની તપાસ કરી હતી. બંને તપાસમાં EOWની જેમ જ તારણો બહાર આવ્યા હતા. જોકે, તે સમયે કોઈ પોલીસ કેસ દાખલ કરવામાં આવ્યો નહોતો.
રાયસેનમાં સહકારી મંડળીઓના ડેપ્યુટી કમિશનરના આદેશ પર ઓક્ટોબર 2025માં પ્રથમ તપાસ હાથ ધરવામાં આવી હતી. વરિષ્ઠ સહકારી નિરીક્ષક એ.પી. સિંહે તપાસ હાથ ધરી હતી. તપાસમાં જાણવા મળ્યું કે શ્રીરામ ઠાકુરે ખેડૂતોની જમીન સંબંધિત સિકમી/કોલનામા રેકોર્ડ તેમના ખાતામાં મેન્યુઅલી ઉમેર્યા હતા, જે નિયમોની વિરુદ્ધ હતું. ત્યારબાદ, વિભાગે તેમને નોકરીમાંથી કાઢી મૂક્યો.
મે 2026 માં, રાજીવ પટેલે બીજી ફરિયાદ દાખલ કરી, જેના કારણે બીજી તપાસ શરૂ થઈ. ઓડિટ અધિકારી અશોક શર્માએ શોધી કાઢ્યું કે ભદ્રકચ્છ કલાના સંચાલક ગૌરવ ઠાકુર અને દેહરી કલાના કર્મચારી રણજીત ઠાકુર દોષિત હતા કારણ કે તેમના નામે ગેરકાયદેસર રીતે નોંધણી કરવામાં આવી હતી. બંનેને વિભાગ દ્વારા બરતરફ કરી દેવામાં આવ્યા હતા.
બંને તપાસમાં આરોપીઓ સામે કાનૂની કાર્યવાહીની ભલામણ કરવામાં આવી હતી. જોકે, કોઈ કાનૂની કાર્યવાહી કરવામાં આવી નહોતી. આરોપ છે કે બરતરફી માત્ર એક ઔપચારિકતા હતી. કોઈ કાનૂની કાર્યવાહીનો પ્રયાસ કરવામાં આવ્યો નહોતો, જેનાથી સહકારી વિભાગમાં કર્મચારીઓ અને અધિકારીઓ વચ્ચેની મિલીભગતનો પર્દાફાશ થઈ શકે.

