- National
- મહારાષ્ટ્રના મંત્રી પંકજા મુંડેની અવગણના કરનાર IAS અધિકારીને સસ્પેન્ડ, જાણો શું છે આખો મામલો
મહારાષ્ટ્રના મંત્રી પંકજા મુંડેની અવગણના કરનાર IAS અધિકારીને સસ્પેન્ડ, જાણો શું છે આખો મામલો
મહારાષ્ટ્રના મંત્રી પંકજા મુંડેની અવગણના કરનાર IAS અધિકારીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે, મુંડે દ્વારા વારંવાર બોલાવવા છતા તેઓ બેઠકમાં હાજર રહ્યા નહોતા. મહારાષ્ટ્ર સરકારે જે અધિકારીને સસ્પેન્ડ કર્યા છે, તેઓ 2011 બેચના IAS અધિકારી અને મહારાષ્ટ્ર પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (MPCB)ના સભ્ય સચિવ એમ. દેવેન્દ્ર સિંહ છે. આનાથી પ્રશ્નો ઊભો થયો છે કે, આખરે IAS અધિકારીએ મંત્રીના આદેશોનું પાલન કેમ ન કર્યું?
26 ફેબ્રુઆરીના રોજ મહારાષ્ટ્ર વિધાનસભામાં IAS અધિકારી એમ. દેવેન્દ્ર સિંહનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. ચંદ્રપુર જિલ્લામાં પ્રદૂષણ અંગેની ચર્ચાનો જવાબ આપવા માટે પર્યાવરણ મંત્રી પંકજા મુંડેને કહેવામાં આવ્યું હતું. મુંડેએ વિધાનસભાને જણાવ્યું હતું કે તેઓ વિગતવાર માહિતી આપી નહીં શકે કારણ કે એમ. દેવેન્દ્ર સિંહ સહિત સંબંધિત અધિકારીઓ તેમણે બોલાવેલી બેઠકમાં હાજર રહ્યા નહોતા.
પંકજા મુંડેએ ગૃહને માહિતી આપી હતી કે વારંવાર યાદ અપાવવા છતા અધિકારી બેઠકમાં હાજર રહ્યા નહોતા અને તેમને તેમની ગેરહાજરી અંગે જાણ કરતો મેસેજ પણ મોકલ્યો હતો. કાર્યકારી અધ્યક્ષ દિલીપ લાન્ડેએ મંત્રીની ફરિયાદની ગંભીર નોંધ લીધી અને અધિકારીની ગેરહાજરીને ‘ઘોર બેદરકારી’ અને ‘વિધાનસભાનું અપમાન’ ગણાવી. તેમણે સરકારને તાત્કાલિક પગલાં લેવાનો નિર્દેશ આપ્યો.
24 કલાકની અંદર રાજ્ય સરકારે અખિલ ભારતીય સેવા (અનુશાસન અને અપીલ) નિયમો, 1969 હેઠળ ઔપચારિક સસ્પેન્શનનો આદેશ જાહેર કરી દીધો. સિંહની સાથે MPCBના સંયુક્ત નિયામક સતીશ પડવાલને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ મુદ્દાએ કારોબારી અને વિધાનસભા વચ્ચે ભારે ચર્ચા જગાવી. સુધીર મુનગંટીવાર (વરિષ્ઠ ભાજપ નેતા)એ અધિકારીના વર્તનને ‘લોકશાહીની ક્રૂર હત્યા’ અને ‘બંધારણનું અપમાન’ ગણાવ્યું હતું. તેમણે તર્ક આપ્યો કે અમલદારોએ સમજવું જોઈએ કે તેઓ ચૂંટાયેલા પ્રતિનિધિઓ પ્રત્યે જવાબદાર છે.
તો, પંકજા મુંડેએ ગૃહમાં નિરાશા વ્યક્ત કરતા કહ્યું કે આવી અવગણના મંત્રીની જનતા પ્રત્યેની જવાબદારીમાં બાધા નાખે છે. એમ. દેવેન્દ્ર સિંહને ઔપચારિક વિભાગીય તપાસ પૂર્ણ થવા સુધી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ દરમિયાન, તેમનું મુખ્યાલય મુંબઈમાં રહેશે અને તેઓ સત્તાવાર મંજૂરી વિના શહેર નહીં છોડી શકે સાથે જ અન્ય કોઈ નોકરીમાં જોડાઇ પણ નહીં શકે.

