- National
- ઈરાન મામલે ભારતનું મૌન કાયરતા નથી: શશી થરૂરનું કોંગ્રેસથી વિપરીત વલણ
ઈરાન મામલે ભારતનું મૌન કાયરતા નથી: શશી થરૂરનું કોંગ્રેસથી વિપરીત વલણ
કોંગ્રેસ સાંસદ શશી થરૂરે એક વાર ફરી પોતાની પાર્ટીથી વિપરીત વલણ અપનાવ્યું છે. અમેરિકા ઇઝરાયલ અને ઇરાન વચ્ચે ચાલતા સંઘર્ષમાં દેશની મોદી સરકારના મૌનને થરૂરે સમર્થન આપ્યું છે. આ વખતે થરૂરે કહ્યું કે આ મૌન કાયરતા નથી પરંતુ જવાબદાર કૂટનીતિ છે. થરૂરે સ્પષ્ટ કર્યું કે ઇરાન વિષયમાં ભારતનું મૌન યુદ્ધનું સમર્થન નથી પરંતુ રાષ્ટ્ર હિત પ્રત્યેની સભાનતા છે.
જ્યારે કોંગ્રેસ પાર્ટી સરકારના આ મૌનને લઈને સતત પ્રશ્નો ઉઠાવી રહી છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીએ કહ્યું હતું કે ખામેનેઈની ટાર્ગેટેડ હત્યા પર સરકારનું મૌન તટસ્થતા નથી પરંતુ ‘કર્તવ્યહીનતા’ છે. આનાથી ભારતની વિદેશ નીતિની વિશ્વસનીયતા પર સવાલ ઉઠે છે. સોનિયા ગાંધી આને ભારતની વિદેશ નીતિ માટે મોટો ફટકો ગણાવ્યો. તે જ રીતે લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે એકપક્ષીય સૈન્ય કાર્યવાહીની નિંદા કરવાના મુદ્દે ભારતનું વલણ ‘નૈતિક રીતે સ્પષ્ટ’ હોવું જોઈએ. ગાંધીએ સરકારને આ વિષયમાં વધુ સક્રિય બનવાની અપીલ કરી.

પરંતુ શશી થરૂર આ મુદ્દે પાર્ટી લાઇનથી અલગ પડ્યા છે. તેમણે કહ્યું કે આવી જટિલ આંતરરાષ્ટ્રીય સ્થિતિમાં ભારતે પોતાના રાષ્ટ્રીય હિતોને પ્રાથમિકતા આપવી જોઈએ. ભારતના ઇરાન સાથે ઊર્જા સંબંધો છે જ્યારે ઇઝરાયલ સાથે સુરક્ષા અને ટેક્નોલોજીના સંબંધો મજબૂત છે. આવી સ્થિતિમાં કોઈ એક પક્ષને સપોર્ટ કરવાથી રાષ્ટ્રીય હિતોને નુકસાન થઈ શકે છે. થરૂરના મતે આ મૌન વાસ્તવમાં સંતુલિત વિદેશનીતિનું પ્રતીક છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે આ કાયરતા નથી પરંતુ વ્યૂહાત્મક કૂટનીતિ છે.
આ વિષય વૈશ્વિક રાજકારણમાં નવું સમીકરણ લાવી રહ્યો છે. અમેરિકા અને ઇઝરાયલની સામે ઇરાનના પગલાંઓથી મધ્ય પૂર્વમાં ચિંતાના વાદળો છવાયા છે. ભારતે હંમેશા આવા સંઘર્ષોમાં તટસ્થતા જાળવી છે. મોદી સરકારની આ નીતિને થરૂરે ‘સમજદારી’ ગણાવી છે. થરૂરે કહ્યું કે વિદેશનીતિમાં લાગણીઓ કરતાં વાસ્તવિકતા મહત્વની છે. જો ભારતે કોઈ એક પક્ષની નિંદા કરી તો તેના આર્થિક અને વ્યૂહાત્મક હિતોને અસર થશે. ઇરાનમાંથી તેલ આયાત અને ઇઝરાયલ સાથે સંરક્ષણ સહયોગને જોતાં આ ચુપ્પી જરૂરી છે.

કોંગ્રેસ પાર્ટીના અન્ય નેતાઓ આને સરકારની નબળાઈ ગણાવે છે પરંતુ થરૂર માને છે કે આ નીતિ ભારતને વધુ મજબૂત બનાવે છે. તેમણે અગાઉ પણ વિદેશ નીતિના મુદ્દાઓ પર પાર્ટીથી અલગ અભિપ્રાય આપ્યા છે. આ વખતે તેમનું વલણ ફરી ચર્ચામાં છે. વિશ્લેષકો કહે છે કે થરૂરનું આ નિવેદન કોંગ્રેસમાં આંતરિક મતભેદને સપાટી પર મૂકે છે.
સારાંશરૂપે કહી શકાય કે ભારતીય વિદેશ નીતિ હંમેશા "વસુધૈવ કુટુમ્બકમ" ના સિદ્ધાંત પર આધારિત રહી છે. વિપરીત સમય સંકોગોમાં પણ ભારતે તટસ્થતા જાળવીને વિશ્વમાં પોતાની છબી મજબૂત કરી છે. જો આપણે રાષ્ટ્રીય હિતોને પ્રાથમિકતા આપીશું તો જ વિશ્વમાં ભારતનું સ્થાન વધુ મજબૂત રહેશે. વિદેશ નીતિમાં એકતા જરૂરી છે પરંતુ વ્યૂહરચના વધુ મહત્વની છે.

