- National
- તંત્રએ પત્રકાર અરફાઝ અહમદનું ઘર તોડ્યું, હિન્દુ પાડોશીએ નવું મકાન બનાવવા આપી દીધો પ્લોટ
તંત્રએ પત્રકાર અરફાઝ અહમદનું ઘર તોડ્યું, હિન્દુ પાડોશીએ નવું મકાન બનાવવા આપી દીધો પ્લોટ
જમ્મુમાં એક પત્રકારનું ઘર તોડી પાડવાથી રાજકીય વિવાદ ઉભો થયો છે. NDTVના રિપોર્ટ અનુસાર, પત્રકાર અરફાઝ અહેમદ ડૈંગનો આરોપ છે કે તેમણે સીમા પાર ડ્રગ તસ્કરી જેવા મુદ્દાઓની રિપોર્ટિંગ કરી હતી, જેના કારણે તેમને નિશાન બનાવવામાં આવ્યા. વહીવટીતંત્રનો દાવો છે કે તેમનું ઘર જમ્મુ ડેવલપમેન્ટ ઓથોરિટી (JDA)ની જમીન પર ગેરકાયદેસર રીતે બનાવવામાં આવ્યું હતું. આ દરમિયાન, માનવતાનું ઉદાહરણ ત્યારે જોવા મળ્યું જ્યારે ડૈંગના હિન્દુ પાડોશીએ તેમને ઘર બનાવવા માટે પોતાની જમીનનો ટુકડો આપી દીધો.
ધ ટેલિગ્રાફના અહેવાલ અનુસાર, ડૈંગ ડિજિટલ ચેનલ ‘ન્યૂઝ સેહર ઇન્ડિયા’ ચલાવે છે. ઘટનાસ્થળના વીડિયોમાં ઘરની આસપાસ મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ તૈનાત જોવા મળ્યા, જે ડૈંગને લાઇવ વીડિયો બનાવતા રોકી રહ્યા હતા. તેમણે કહ્યું કે ડિમોલિશન દરમિયાન તેમને અને તેમના બે ભાઈઓને ઇજાગ્રસ્ત કરીને અટકાયતમાં લેવામાં આવ્યા હતા. ડૈંગનો આરોપ છે કે આ કાર્યવાહી કોઈ નોટિસ વિના કરવામાં આવી હતી.
https://twitter.com/drshamamohd/status/1994414193731383454?s=20
પત્રકાર અરફાઝ અહેમદ ડૈંગનું ઘર મોટી પોલીસ ફોર્સની હાજરીમાં તોડી પાડવામાં આવ્યું હતું. અધિકારીઓનું કહેવું છે કે ઘર JDAની જમીન પર ગેરકાયદેસર રીતે બનાવવામાં આવ્યું હતું. જ્યારે ડૈંગે પત્રકારોને જણાવ્યું હતું કે તોડી પાડવામાં આવેલું ઘર 40 વર્ષ અગાઉ બનાવવામાં આવ્યું હતું અને તેના પિતા તેના માલિક હતા. ધ હિન્દુ સાથે વાત કરતા ડૈંગે કહ્યું કે, પહેલાં મારું ઘર બઠિંડીમાં તોડી પાડવામાં આવ્યું. મેં હિંમત રાખી અને માતા-પિતાના ઘરે શિફ્ટ થઈ ગયો. હવે આ ઘર પણ તોડી પાડવામાં આવ્યું છે. આ ઘર 40 વર્ષથી વધુ જૂનું હતું. માત્ર મારું ઘર જ કેમ? શું આખા જમ્મુ શહેરમાં મારું જ ઘર ગેરકાયદેસર હતું?
https://twitter.com/Mithileshdhar/status/1994249931066859945?s=20
તેઓ પત્રકારો અને સામાજિક કાર્યકરોને પાઠ ભણાવવા માગે છે જેઓ પોતાનું કામ પ્રામાણિકપણે કરવા માગે છે. જો તમે ચાપલૂસ છો, તો તમે સુરક્ષિત છો, પરંતુ જો તમે સત્ય ઉજાગર કરશો, તો તમારી સાથે પણ એવું જ થશે.’ ઇન્ડિયા ટૂડેના અહેવાલ મુજબ, સ્થાનિકોએ દાવો કર્યો હતો કે ડૈંગ છેલ્લા 4 દાયકાથી આ વિસ્તારમાં રહેતો હતો અને તેને કોઈ નોટિસ આપ્યા વિના કાઢી મૂકવામાં આવ્યો.
આ સમગ્ર ઘટના વચ્ચે માનવતાનું એક સુંદર ઉદાહરણ જોવા મળ્યું. હિન્દુ પાડોશી કુલદીપ કુમારે પત્રકાર ડૈંગને પોતાનું ઘર ફરીથી બનાવવા માટે જમીન આપવાની રજૂઆત કરી. તેમણે પોતાની પુત્રી તાન્યા સાથે મળીને જમ્મુના ટ્રાન્સપોર્ટ નગર વિસ્તારમાં ‘પાંચ મરલા’નો પ્લોટ આપવાનો નિર્ણય લીધો. કુલદીપ કુમારે કહ્યું કે, ‘હું મારી પુત્રી દ્વારા આ જમીન આપી રહ્યો છું, જેથી મારો ભાઈ પોતાનું ઘર ફરીથી બનાવી શકે.’ તેમણે બાંધકામમાં શક્ય તમામ સહાય પૂરી પાડવાનું વચન પણ આપ્યું. તેમણે ભાવુક થઈને કહ્યું કે, તેઓ પોતાના ભાઈને ક્યારેય એકલો નહીં છોડે.
જમ્મુમાં થયેલી તોડફોડથી રાજકીય વિવાદ ઊભો થયો છે. વિવિધ પક્ષોના નેતાઓએ ઘટનાસ્થળ પર પહોંચ્યા, અસરગ્રસ્ત પરિવારો સાથે મુલાકાત કરી અને અધિકારીઓ પર નિશાન બનાવીને કાર્યવાહી કરવાનો આરોપ લગાવ્યો. જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ કહ્યું કે પત્રકારના ઘરનું તોડી પાડવું એ ચૂંટાયેલી સરકારને બદનામ કરવાનું કાવતરું છે. તેમનો આરોપ છે કે ઉપરાજ્યપાલ દ્વારા લગાવવામાં આવેલા અધિકારીઓએ સરકારની મંજૂરી વિના આ કાર્યવાહી કરી.
તેમણે કહ્યું કે કોઈ પણ સરકારી જમીન પર દબાણને સમર્થન આપતું નથી, પરંતુ JDA કોઈનું ઘર પોતાની મરજીથી તોડી નહીં શકે. ઓમર અબ્દુલ્લાએ એમ પણ કહ્યું કે એક ખાસ સમુદાયને નિશાન બનાવવામાં આવી રહ્યો છે અને તેમણે જમ્મુમાં તમામ ગેરકાયદેસર અતિક્રમણની યાદી માગી છે.
ભાજપના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ રવિન્દર રૈનાએ પણ આ કાર્યવાહીને ‘પસંદગીયુક્ત’ ગણાવી અને લોકોને મદદનો ભરોસો આપ્યો. તેમણે કહ્યું કે વડાપ્રધાન ગરીબોને ઘર આપવામાં વિશ્વાસ રાખે છે, તોડવામાં નહીં. ઉપરાજ્યાપાલે તેનો આદેશ આપ્યો નહોતો, તો પ્રશ્ન એ ઊભો થાય છે કે આ કાર્યવાહી કોના આદેશથી કરવામાં આવી. જમ્મુ-કાશ્મીર કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ રમણ ભલ્લા પણ ઘટનાસ્થળે પહોંચ્યા અને JDAની કાર્યવાહીની નિંદા કરી.

