- National
- ટ્રેનમાં સૂતો રહ્યો પતિ અને સીટમાંથી ગાયબ થઇ ગઇ હતી પત્ની, 6 દિવસ પછી મળી
ટ્રેનમાં સૂતો રહ્યો પતિ અને સીટમાંથી ગાયબ થઇ ગઇ હતી પત્ની, 6 દિવસ પછી મળી
ઊંડી શ્રદ્ધા અને ભક્તિ સાથે બાબા કેદારનાથના દર્શન કરીને પરત ફરતા પરિણીત કપલની ખુશીઓ એ સમયે દુઃખ અને ચિંતામાં ફેરવાઈ ગઇ, જ્યારે એક મહિલા રહસ્યમય રીતે ચાલતી ટ્રેનમાંથી ગાયબ થઈ ગઈ. દેહરાદૂનથી દિલ્હી જતી મહાનંદા એક્સપ્રેસમાં બનેલી આ ઘટનાએ રેલવે વહીવટ અને તેના સુરક્ષા વ્યવસ્થાને કઠેડામાં ઉભી કરી દીધી હતી.
મૂળ રૂપે કાનપુનરા રહેવાસી મનીષ અગ્રહરી અને તેની પત્ની પ્રજ્ઞા સિંહે થોડા દિવસો અગાઉ પ્રેમ લગ્ન કર્યા હતા. અને આ કપલ નોકરીને કારણે ગ્રેટર નોઇડામાં રહેતું હતું. લગ્ન પછી મનીષ અગ્રહરિ પોતાની પત્ની પ્રજ્ઞા સાથે કેદારનાથની યાત્રા પર ગયો હતો. મનીષના જણાવ્યા મુજબ, દેહરાદૂનથી પરત ફરતી વખતે ટ્રેનમાં ચઢ્યાના થોડા સમય પછી તે થાકને કારણે સૂઈ ગયો હતો. મુઝફ્ફરનગર સ્ટેશન પહોંચતા પહેલા જ્યારે તે જાગ્યો, ત્યારે તેણે જોયું કે તેની પત્ની પ્રજ્ઞા હવે બાજુની સીટ પર નહોતી.
મનીષે આખી ટ્રેનના દરેક ખૂણા-ખૂણાની તપાસ કરી, પરંતુ પ્રજ્ઞાનો કોઈ પત્તો લાગ્યો નહીં. તેણે કહ્યું કે પ્રજ્ઞા પાસે પૈસા કે અન્ય કોઈ સહાયક સાધન નહોતું. જોકે, આ કેસનું સૌથી ચોંકાવનારું અને ચિંતાજનક પાસું પ્રજ્ઞાના મોબાઇલ ફોનમાંથી મળેલું લોકેશન હતું. પ્રજ્ઞાના મોબાઇલ ફોનનું છેલ્લું લોકેશન લક્સર (ઉત્તરાખંડ)માં રેલવે ટ્રેકની બાજુમાં મળી આવ્યું હતું. ત્યારથી તેનો ફોન બંધ આવી રહ્યો હતો, જેના કારણે કોઈ દુર્ઘટના બની હોવાની આશંકા વધી રહી હતી.
મનિષ દ્વારા દાખલ કરાયેલી લેખિત ફરિયાદના આધારે લક્સર પોલીસે ગુમ થયાનો કેસ નોંધ્યો હતો. પોલીસ ટીમ રેલવે ટ્રેક અને આસપાસના વિસ્તારોમાંથી CCTV ફૂટેજ શોધી રહી હતી; જોકે, તપાસમાં એક મોટો અવરોધ એ ઉભો થયો હતો કે આ પ્રદેશમાં ઘણા CCTV કેમેરા ખરાબ હતા, જેના કારણે કડીઓ શોધવાનું મુશ્કેલ બની ગયું હતું.
કેદારનાથ યાત્રાથી પરત ફરતી વખતે નંદા દેવી એક્સપ્રેસ ટ્રેનમાંથી રહસ્યમય સંજોગોમાં ગુમ થયેલી 29 વર્ષીય મહિલા પ્રજ્ઞા સિંહ આખરે બિહારના બેગુસરાયમાં સુરક્ષિત મળી આવી છે. આ કેસમાં હવે એક મોટી અપડેટ સામે આવી છે, લગભગ છ દિવસથી ઉત્તરાખંડ પોલીસ, રેલવે પોલીસ અને અન્ય વિવિધ એજન્સીઓ માટે કોયડો બનીને રહી હતી. પોલીસે પ્રજ્ઞાને શોધી કાઢી છે, તેને કસ્ટડીમાં લીધી છે અને તેના પરિવારના સભ્યોને તેની માહિતી આપી દેવામાં આવી છે. જોકે, આ કેસમાં સૌથી મોટો પ્રશ્ન એ છે કે, પ્રજ્ઞા ટ્રેનમાંથી કેવી રીતે ગાયબ થઈ ગઈ અને તે કેવી રીતે બિહાર પહોંચી? પોલીસ હવે તેના નિવેદનના આધારે સમગ્ર ઘટનાક્રમની કડીઓ જોડવાનો પ્રયાસ કરશે.

