- National
- અયોધ્યા શ્રી રામ મંદિરમાં CEO પોસ્ટ માટે ભરતી નીકળી, રામભક્ત વૈષ્ણવને પ્રાથમિકતા, 15 જવાબદારી નીભાવવ...
અયોધ્યા શ્રી રામ મંદિરમાં CEO પોસ્ટ માટે ભરતી નીકળી, રામભક્ત વૈષ્ણવને પ્રાથમિકતા, 15 જવાબદારી નીભાવવી પડશે
અયોધ્યા રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા ટ્રસ્ટના વહીવટને વધુ સુદ્રઢ અને પારદર્શક બનાવવા માટે એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ટ્રસ્ટ દ્વારા મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) ના પદ માટે લાયક અને રસ ધરાવતા ઉમેદવારો પાસેથી સત્તાવાર રીતે અરજીઓ મંગાવવામાં આવી છે. આ ભરતી અંગે જાહેર કરાયેલી સત્તાવાર અધિસૂચના (Notification) મુજબની તમામ વિગતો નીચે પ્રમાણે છે:
પદ અને નોકરીની શરતોની વિગત
- પદનું નામ: મુખ્ય કાર્યકારી અધિકારી (CEO)
- નિમણૂકનું સ્થળ: અયોધ્યા
- સેવા કરારની અવધિ: શરૂઆતમાં 3 વર્ષ માટે (સંતોષકારક કામગીરીના આધારે કરાર લંબાવી શકાશે)
- વેતન અને અન્ય સુવિધાઓ: પરસ્પર ચર્ચા-વિચારણા (Negotiation) દ્વારા નક્કી કરવામાં આવશે.
જરૂરી લાયકાત અને માપદંડો
- શૈક્ષણિક લાયકાત: ન્યૂનતમ સ્નાતક (Graduate)
- વય મર્યાદા: 50 થી 70 વર્ષની વચ્ચે
- ભાષાનું જ્ઞાન: હિન્દી અને અંગ્રેજી ભાષાનું સારું જ્ઞાન હોવું અનિવાર્ય છે.
- ધાર્મિક આસ્થા: ઉમેદવાર સક્રિય હિંદુ હોવા અનિવાર્ય છે, તેમજ 'રામભક્ત વૈષ્ણવ' હોવાને પ્રાધાન્ય આપવામાં આવશે.
- અનુભવ: કોઈ મોટા જાહેર સંગઠન, ટ્રસ્ટ, સરકારી વિભાગ કે કંપનીમાં મેનેજમેન્ટ સ્તરે કાર્ય કરવાનો ઓછામાં ઓછો 20 વર્ષનો અનુભવ હોવો જોઈએ. આ અનુભવ સામાન્ય વહીવટ, નાણાં, એકાઉન્ટ્સ, કર્મચારી બાબતો, જનસંપર્ક, IT, સુરક્ષા અને કાયદાકીય બાબતોના સમન્વય તેમજ માર્ગદર્શનનો હોવો જરૂરી છે.
મુખ્ય વહીવટી અધિકારી તરીકે અથવા મંદિર/હિંદુ ધાર્મિક ટ્રસ્ટના પ્રબંધન (મેનેજમેન્ટ) નો અનુભવ ધરાવતા ઉમેદવારોને વિશેષ પ્રાધાન્ય આપવામાં આવશે. આ પ્રકારનો અનુભવ અને ક્ષમતા ધરાવતા નિવૃત્ત અધિકારીઓ પણ અરજી કરી શકે છે.
CEOની મુખ્ય જવાબદારીઓ અને ફરજો
આ પદ પર નિયુક્ત થનાર અધિકારી સીધા મહામંત્રી પ્રત્યે ઉત્તરદાયી (જવાબદાર) રહેશે. તેમના મુખ્ય કાર્યોની યાદી નીચે મુજબ છે:
1. ટ્રસ્ટના CEO તરીકે તમામ કાયદાકીય, વહીવટી અને નાણાકીય કાર્યોની પૂર્ણાહુતિ કરવી.
2. ટ્રસ્ટના સ્વરૂપ અને કદને અનુરૂપ કાર્ય પ્રણાલી તેમજ પદ્ધતિઓ વિકસાવવી.
3. ટ્રસ્ટના ઉદ્દેશ્યો અને જરૂરિયાત મુજબ સંગઠનનું માળખું તૈયાર કરવું.
4. ટ્રસ્ટના અધિકારીઓ, સેવકો અને કર્મચારીઓના સર્વોચ્ચ કાર્યકારી લીડર તરીકેની જવાબદારી સંભાળવી.
5. ટ્રસ્ટની વર્તમાન પ્રવૃત્તિઓ અને ભાવી વિકાસનું કુશળ સંચાલન કરવું.
6. તમામ કાયદાકીય, નિયામક અને ટ્રસ્ટ ડીડની શરતોનું પાલન સુનિશ્ચિત કરવું.
7. ટ્રસ્ટના નાણાકીય વ્યવહારો, હિસાબો અને માહિતીમાં સંપૂર્ણ પારદર્શિતા અને કુશળતા લાવવી.
8. ટ્રસ્ટની જરૂરિયાત મુજબ સક્ષમ સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરવી અને આ માટે સ્થાનિક, રાજ્ય તેમજ કેન્દ્ર સરકાર સાથે યોગ્ય સમન્વય રાખવો.
9. તમામ ધાર્મિક પૂજા-પાઠ, ઉત્સવો અને અનુષ્ઠાનો નિયમિત તેમજ સુચારુ રીતે ચાલે તેની દેખરેખ રાખવી.
10. મંદિરે આવતા દર્શનાર્થીઓની સુરક્ષા, સુવિધા અને સંતોષની પૂરતી કાળજી લેવી.
11. સમય-સમય પર પધારતા વિશિષ્ટ અતિથિઓ (VIPs) અને અગ્રણી સંતો-મહંતો માટે યોગ્ય વ્યવસ્થા ઊભી કરવી.
12. ટ્રસ્ટ અને મંદિરની પ્રતિષ્ઠામાં ઉત્તરોત્તર વૃદ્ધિ થાય તેમજ સનાતન પરંપરાઓની સ્થાપના અને વિકાસમાં સક્રિય સહભાગિતા સુનિશ્ચિત કરવી.
13. ટ્રસ્ટની મિલકતોની યોગ્ય સુરક્ષા કરવી અને નિયમાનુસાર વિનિવેશ કરવો.
14. ટ્રસ્ટ ડીડમાં દર્શાવેલા ઉદ્દેશ્યોની પ્રાપ્તિ માટે યોજનાઓ બનાવવી અને ટ્રસ્ટી મંડળ તેમજ મહામંત્રીના નિર્દેશન હેઠળ તેનું કુશળ અમલીકરણ કરવું.
15. ન્યાસ (ટ્રસ્ટ) અને મહામંત્રી દ્વારા સમય-સમય પર સોંપવામાં આવતી અન્ય તમામ જવાબદારીઓનું વહન કરવું.

