- National
- સરકારે જેમના ઘરો પર બૂલડોઝર ફેરવી દીધેલું એ તમામ 11 આરોપીઓને કોર્ટે નિર્દોષ જાહેર કર્યા, હવે ઘર કોણ
સરકારે જેમના ઘરો પર બૂલડોઝર ફેરવી દીધેલું એ તમામ 11 આરોપીઓને કોર્ટે નિર્દોષ જાહેર કર્યા, હવે ઘર કોણ આપશે?
મધ્યપ્રદેશના ખરગોન જિલ્લામાં 2022માં રામ નવમી શોભાયાત્રા દરમિયાન હિંસા ફાટી નીકળી હતી. સેશન્સ કોર્ટે 27 જુલાઈ, 2026ના રોજ આ કેસમાં ચુકાદો આપ્યો હતો. કોર્ટે 11 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા. 11માંથી 8 સાક્ષીઓ હિંસામાં સંડોવાયેલા કોઈપણ આરોપીને ઓળખી શક્યા ન હતા. આ ઉપરાંત, લેબોરેટરી રિપોર્ટમાં પણ પેટ્રોલ બોમ્બ અથવા કોઈપણ વિસ્ફોટકના કથિત ઉપયોગના પુરાવા સાબિત થઇ શક્યા ન હતા.
એક લીગલ વેબસાઇટમાં પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ, ખરગોન (મંડલેશ્વર)ના ચોથા વધારાના સેશન્સ જજ મુકેશ નાથે જણાવ્યું હતું કે, ફરિયાદ પક્ષ વાજબી શંકાથી આગળ આરોપીઓનો ગુનો સાબિત કરવામાં નિષ્ફળ ગયો છે. કોર્ટે એ પણ નોંધ્યું હતું કે આ કેસમાં આરોપીઓને 462થી 827 દિવસ સુધીની લાંબી કેદની સજાનો સામનો કરવો પડ્યો હતો. કોર્ટે આરોપીઓને શંકાનો લાભ આપ્યો અને તેમને નિર્દોષ જાહેર કર્યા.
ફરિયાદ પક્ષે દાવો કર્યો હતો કે, 10 એપ્રિલ, 2022ના રોજ, પથ્થરો, તલવારો અને પેટ્રોલ બોમ્બથી સજ્જ ટોળાએ સાંજે 6 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી ખરગોનના ભટવાડી વિસ્તારમાં હિંસા કરી હતી. તેમણે ફરિયાદીઓના ઘરો, વાહનો અને સામાનમાં આગ લગાવી અને તોડફોડ કરી હતી.
ખરગોન હિંસામાં ઇદ્રીસ ખાન નામના એક વ્યક્તિનું મોત થયું હતું. પોલીસે 11 લોકો, ઇબાદત, સાદિક, અબ્દુલ્લા, સાહેબ ઉર્ફે શાહિબ, શેરયાર, ફૈઝલ, આઝમ, શબ્બીર, ઇમરાન, મુસ્તાક અને રઝીક પર રમખાણો, આગચંપી, અતિક્રમણ અને વિસ્ફોટક કાયદા હેઠળ આરોપ મૂક્યા હતા.
https://twitter.com/drnarottammisra/status/1513396634046328834
હિંસાના બીજા દિવસે, વહીવટીતંત્રે બુલડોઝર વડે ઘણા ઘરો તોડી પાડ્યા હતા, અને દાવો કર્યો હતો કે આ ઘર હિંસાના ગુનેગારોના છે. મધ્યપ્રદેશના તત્કાલીન ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ ચેતવણી આપી હતી કે, જે ઘરમાંથી પથ્થરો આવ્યા હતા તેને પથ્થરોના ઢગલામાં ફેરવી દેવામાં આવશે. મીડિયા સૂત્રો સાથે વાત કરતા, નરોત્તમ મિશ્રાએ જણાવ્યું હતું કે, ઘરો અને દુકાનોનું તોડી પાડવાનું કામ અતિક્રમણને કારણે થયું હતું અને તે કાયદાકીય માળખામાં કરવામાં આવી રહ્યું હતું.
અહેવાલ મુજબ, 13માંથી 8 સાક્ષીઓ કોર્ટમાં આરોપીને ઓળખવામાં નિષ્ફળ ગયા. કોર્ટે નોંધ્યું હતું કે, ફરિયાદ પક્ષની દલીલો ઘટનાના 51 દિવસ પછી નોંધાયેલા માત્ર એક સાક્ષીની જુબાની પર આધારિત હતી. આ માટે કોઈ સ્પષ્ટતા આપવામાં આવી ન હતી.
આ ઉપરાંત, આ સાક્ષીનું નામ FIR કે મૂળ ફરિયાદમાં નહોતું. કોર્ટે એ પણ નોંધ્યું હતું કે આરોપીને ઓળખવા માટે કોઈ પરેડ યોજાઈ ન હતી. લેબોરેટરી રિપોર્ટમાં પેટ્રોલ બોમ્બની અંદર કોઈ પેટ્રોલિયમ ઉત્પાદનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તેવું સાબિત થયું ન હતું.
એક વ્યક્તિએ આ ઘટના અંગે રિટ અરજી દાખલ કરી હતી. તેમણે આરોપ લગાવ્યો હતો કે રાજ્ય સરકારે મુસ્લિમ સમુદાય સાથે જોડાયેલા હોવાના બદલામાં તેમની મિલકત તોડી પાડી હતી. આ અરજી હાલમાં હાઈકોર્ટમાં પેન્ડિંગ છે.

