- National
- નાના ભાઈએ મોટા ભાઈનું કાસળ કાઢીને ઘરની પાછળ પાંચ ફૂટનો ખાડો ખોદી તેમાં મીઠું નાખી દાટી દીધો
નાના ભાઈએ મોટા ભાઈનું કાસળ કાઢીને ઘરની પાછળ પાંચ ફૂટનો ખાડો ખોદી તેમાં મીઠું નાખી દાટી દીધો
ઝાંસીના નગરા પ્રેમનગર પોલીસ સ્ટેશન વિસ્તારના બિહારીપુરા વિસ્તારમાં થયેલી એક સનસનાટીભરી હત્યાએ સમગ્ર વિસ્તારને હચમચાવી નાખ્યો છે. શરૂઆતમાં ગુમ થયેલા વ્યક્તિનો કેસ માનવામાં આવતો હતો, પરંતુ તે ક્રૂર હત્યા હોવાનું બહાર આવ્યું. નાના ભાઈ પર આરોપ છે કે તેણે ઉગ્ર વાતચીત અને ઝઘડા પછી તેના MBA થયેલા મોટા ભાઈની હત્યા કરી હતી અને પછી પુરાવાનો નાશ કરવા માટે એક સુનિયોજિત કાવતરું ઘડ્યું હતું. પોલીસના જણાવ્યા અનુસાર, મૃતદેહને ઘરની પાછળ ખાડો ખોદીને દાટી દેવામાં આવ્યો હતો, મીઠું નાખીને હત્યાના તમામ સબૂત ભૂંસી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
આ ઘટના એક નિવૃત્ત શિક્ષકના પરિવારમાં બની હતી. પિતાનું 2022માં માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું હતું. પરિવારમાં માતા અને બે પુત્રોનો સમાવેશ થતો હતો. મોટો પુત્ર, 38 વર્ષીય તારિક બેગ, MBA ગ્રેજ્યુએટ હતો અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યો હતો. તેના પિતાના મૃત્યુ પછી, તેને રહેમરાહે નિમણૂક મળવાની હતી, પરંતુ તેણે પટાવાળાનું પદ સ્વીકારવાનો ઇનકાર કર્યો. ત્યાર પછી, નાના ભાઈ, મશરીકને એ જ નોકરી મળી, ત્યાર પછી પરિવારમાં તણાવ ફેલાવાનું ચાલુ થયું હતું.
પોલીસના જણાવ્યા મુજબ, 9 ફેબ્રુઆરીના રોજ, બંને ભાઈઓ જ ઘરે હાજર હતા, જ્યારે તેમની માતા તેના માતાપિતાના ઘરે ગઈ હતી. આ દરમિયાન કોઈ વાત પર વિવાદ થયો, જે ઝડપથી હિંસક લડાઈમાં પરિણમ્યો. એવો આરોપ છે કે નાના ભાઈએ મોટા ભાઈ પર કુહાડી અને છરીથી હુમલો કરીને તેની હત્યા કરી દીધી. ગુના પછી, આરોપીએ લાશનો નિકાલ કરવાની અને તેની ઓળખ છુપાવવાની યોજના બનાવી.
પૂછપરછ દરમિયાન, આરોપીએ ખુલાસો કર્યો કે, તેણે ઘરની પાછળના આંગણામાં લગભગ પાંચ ફૂટ ઊંડો ખાડો ખોદ્યો હતો, લાશને નગ્ન કરીને ત્યાં દાટી દીધી હતી. ખાડાની ઉપર મીઠું છાંટવામાં આવ્યું હતું કારણકે તેનાથી દુર્ગંધ ફેલાતી અટકે, ત્યાર પછી તેના પર ઇંટો નાખવામાં આવી હતી. ત્યારપછી, આખા ઘરમાં લોહીના ડાઘ સાફ કરવામાં આવ્યા હતા. લોહીથી ખરડાયેલા કપડાં વોશિંગ મશીનમાં ધોવામાં આવ્યા હતા, અને હત્યામાં વપરાયેલ કુહાડી, છરી અને પાવડો લગભગ ત્રણ કિલોમીટર દૂર ગટરમાં ફેંકી દેવામાં આવ્યા હતા.
પોલીસના જણાવ્યા મુજબ, આરોપી મૃતકનો મોબાઇલ ફોન પણ જંગલમાં લઈ ગયો હતો અને ડિજિટલ પુરાવાનો નાશ કરવા માટે તેને બાળી નાખ્યો હતો. ત્યાર પછી શંકા વધતા કપડાં પણ સળગાવી દેવામાં આવ્યા. હત્યા પછી બીજા દિવસે જ્યારે માતાએ ફોન કર્યો ત્યારે મોટા દીકરાનો મોબાઇલ ફોન બંધ હોવાની જાણ થઇ. આરોપીએ તેને કહ્યું કે તેનો દીકરો ક્યાંક ચાલ્યો ગયો છે. આ રીતે, પરિવારને ચાર દિવસ સુધી ગેરમાર્ગે દોરવામાં આવ્યો, અને હત્યાની વાત છુપાવવામાં આવી.
15 ફેબ્રુઆરીએ પોલીસ સ્ટેશનમાં ગુમ થયેલ વ્યક્તિનો રિપોર્ટ દાખલ કરવામાં આવ્યો. આરોપીનું વર્તન શંકાસ્પદ લાગતાં, મૃતકના મામા, મોહમ્મદ સલીમે પડોશમાં CCTV ફૂટેજ તપાસવાનું શરૂ કર્યું. આ સમય દરમિયાન, આરોપીએ કથિત રીતે તેમને કહ્યું હતું કે તે સરકારી કર્મચારી હોવાથી તેનું નામ FIRમાં ન લખે. આ નિવેદનથી પરિવારની શંકાઓને વધુ વેગ મળ્યો, અને પોલીસે કડક પૂછપરછ શરૂ કરી.
19 ફેબ્રુઆરીએ, પોલીસે આરોપીને પૂછપરછ માટે બોલાવ્યો. શરૂઆતમાં, તે પોલીસને ગેરમાર્ગે દોરતો રહ્યો, પરંતુ મોડી રાત્રે, જ્યારે પોલીસે વરિષ્ઠ પોલીસ અધિક્ષક અને મેજિસ્ટ્રેટની હાજરીમાં પોતાનું દબાણ વધાર્યું, ત્યારે આરોપી તૂટી પડ્યો. તેમણે ઘરની પાછળ દાટી દીધેલા મૃતદેહનું સ્થાન જાહેર કર્યું. પોલીસે સ્થળ પર ખોદકામ કરીને મૃતદેહ કબજે કર્યો, જેનાથી હત્યાની પુષ્ટિ થઈ.
મૃતકના મામાએ આરોપ લગાવ્યો છે કે ઘટના પછી, આરોપીના સાસરિયાઓએ ઘરને તાળું મારી દીધું અને ભાગી ગયા. તેમને આરોપીની પત્ની અને તેના ભાઈ પર પણ કાવતરામાં સામેલ હોવાની શંકા છે. પોલીસ આ પાસાની પણ તપાસ કરી રહી છે. સૂત્રો સૂચવે છે કે, પરિવાર કરોડોની મિલકત ધરાવતો હતો, અને મિલકતના વિવાદને સંભવિત કારણ માનવામાં આવી રહ્યું છે. જોકે, પોલીસ કહે છે કે તપાસ પૂર્ણ થાય તે પહેલાં કોઈ નિષ્કર્ષ કાઢવો બહુ જલ્દી ગણાશે.
આ હત્યા પછી સમગ્ર વિસ્તારમાં સન્નાટો ફેલાઈ ગયો છે. એક સમયે સામાન્ય પારિવારિક જીવન જીવતું ઘર હવે શોક અને પોલીસની હાજરીથી ભરેલું છે. આરોપી પોલીસ કસ્ટડીમાં છે અને તેની સતત પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસ દરેક પાસાની તપાસ કરી રહી છે, ખાસ કરીને મિલકતના વિવાદ અને કૌટુંબિક તણાવની.
આ કેસ સંબંધોમાં છુપાયેલા તણાવ અને સંભવિત લાલચનું ગંભીર ચિત્ર સામે લાવે છે. પોલીસ કહે છે કે, તપાસ ચાલુ છે અને પુરાવાના આધારે આગળ કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. સમગ્ર શહેર હવે તપાસમાંથી શું નવા ખુલાસા બહાર આવે છે તેના પર નજર રાખી રહ્યું છે.

