- National
- સંસદમાં 'વંદે માતરમ' પર ચર્ચા થશે, 10 કલાકનો અપાયો સમય, PM મોદી પણ બોલશે
સંસદમાં 'વંદે માતરમ' પર ચર્ચા થશે, 10 કલાકનો અપાયો સમય, PM મોદી પણ બોલશે
સંસદના ચાલુ શિયાળુ સત્ર દરમિયાન આ સપ્તાહે રાષ્ટ્રીય ગીત 'વંદે માતરમ'ના 150 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે એક વિશેષ ચર્ચાનું આયોજન કરવામાં આવશે. આ ચર્ચા દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ગૃહને સંબોધન કરે તેવી શક્યતા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ચર્ચા ગુરુવાર અથવા શુક્રવારે યોજાઈ શકે છે.
ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં લોકોને એક કરવામાં મહત્વની ભૂમિકા ભજવનાર 'વંદે માતરમ' ગીતની 150મી વર્ષગાંઠ પર યોજાનારી આ વિશેષ ચર્ચામાં ગીતના સાંસ્કૃતિક, ઐતિહાસિક અને રાષ્ટ્રીય મહત્વ પર પ્રકાશ પાડવામાં આવશે.
20 નવેમ્બરના રોજ સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુ દ્વારા બોલાવવામાં આવેલી સર્વપક્ષીય બેઠકમાં અને લોકસભા અને રાજ્યસભાની વ્યાપાર સલાહકાર સમિતિઓ (BACs) ની બેઠકોમાં આ પ્રસ્તાવ પર સંમતિ સધાઈ હતી. શાસક પક્ષોના સભ્યોએ રાજ્યસભામાં પણ તેની જોરદાર હિમાયત કરી હતી. સરકારે તેને રાષ્ટ્રીય એકતાનું પ્રતીક ગણાવીને, તમામ પક્ષોને ભાગ લેવા આમંત્રણ આપ્યું હતું. NDA સભ્યોએ રાજ્યસભામાં વંદે માતરમ પર ચર્ચા માટે પણ જોરદાર હિમાયત કરી હતી.

1950માં વંદે માતરમને ભારતના પ્રજાસત્તાકના રાષ્ટ્રીય ગીત તરીકે અપનાવવામાં આવ્યું હતું. 1870ના દાયકામાં બંકિમચંદ્ર ચેટર્જી દ્વારા તે સંસ્કૃત બંગાળીમાં લખવામાં આવ્યું હતું. આ ગીત બંકિમચંદ્ર ચેટર્જીની બંગાળી નવલકથા આનંદમઠનો ભાગ છે, જે સૌપ્રથમ 1882માં પ્રકાશિત થયું હતું. આ ગીત ભારતીય સ્વતંત્રતા ચળવળ માટે એક મુખ્ય પ્રેરણા બન્યું. ગીતની રચનાની 150મી વર્ષગાંઠ નિમિત્તે, કેન્દ્ર સરકારે એક ખાસ સ્મારક સિક્કો અને ટપાલ ટિકિટ બહાર પાડી. પીએમ મોદીએ તાજેતરમાં 'વંદે માતરમ' ને સ્વતંત્રતા સંગ્રામનો અમર વારસો ગણાવ્યો હતો અને યુવાનોને તે ગાવા અપીલ કરી હતી.
સોમવારથી શરૂ થયેલું સંસદનું શિયાળુ સત્ર 19 ડિસેમ્બર સુધી ચાલશે. સત્રની શરૂઆતમાં વડાપ્રધાન મોદીએ બંને ગૃહોના સભ્યોને અપીલ કરી હતી કે નવા અને યુવા સાંસદોને તેમના મતવિસ્તારના પ્રશ્નો ઉઠાવવા માટે પૂરતી તક આપવામાં આવે. તેમણે કહ્યું કે ઘણા નવા ચૂંટાયેલા અને યુવા સાંસદો ગૃહમાં સ્થાનિક મુદ્દાઓ રજૂ કરવાની પૂરતી તક ન મળવાથી "ખૂબ પરેશાન" છે.
PM મોદીએ કડક શબ્દોમાં કહ્યું હતું કે આપણે સુનિશ્ચિત કરવું જોઈએ કે દરેક પક્ષ અને દરેક નવી પેઢીના સાંસદ તથા પ્રથમ વખત ચૂંટાયેલા સાંસદનો લાભ ગૃહને મળે. આ જગ્યા નાટક કરવા માટે નથી, નાટક (ડ્રામા) માટે બીજી ઘણી જગ્યાઓ છે. અહીં કામ થવું જોઈએ. આ જગ્યા નારેબાજી માટે નથી, આપણે નીતિઓ (Policy) પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.

વડાપ્રધાને તમામ રાજકીય પક્ષોને રચનાત્મક ચર્ચા કરવા અનુરોધ કર્યો હતો અને કહ્યું હતું કે સંસદનું ધ્યાન પરિણામો અને અર્થપૂર્ણ ચર્ચાઓ પર હોવું જોઈએ, નહીં કે વિરોધ પ્રદર્શન પર.
ઉલ્લેખનીય છે કે, સોમવારે વિપક્ષી દળો દ્વારા મતદાર યાદીની 'સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન' (SIR) પ્રક્રિયાને લઈને વિરોધ કરવામાં આવ્યો હતો, જેના કારણે લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી દિવસભર માટે સ્થગિત કરવી પડી હતી.

