- National
- સરકારે અણ્ણા હજારેને ગિફ્ટમાં ટેન્ક આપી, જેનો ઉપયોગ પાકિસ્તાન સામે યુદ્ધમાં કરાયો હતો
સરકારે અણ્ણા હજારેને ગિફ્ટમાં ટેન્ક આપી, જેનો ઉપયોગ પાકિસ્તાન સામે યુદ્ધમાં કરાયો હતો
ભારતીય સંરક્ષણ મંત્રાલયે સામાજિક કાર્યકર્તા અણ્ણા હજારેને T-55 ટેન્ક ભેટમાં આપી હતી. આ ટેન્કનો ઉપયોગ પાકિસ્તાન સામેના યુદ્ધમાં કરવામાં આવ્યો હતો. અણ્ણા હજારે પણ આ બંને યુદ્ધો દરમિયાન ભારતીય સેનાનો ભાગ હતા.
T-55 ટેન્ક જોઈને યુદ્ધની યાદો તાજી થઈ ગઈ અને તેઓ ભાવુક થઇ ગયા હતા. સામાજિક કાર્યકર્તા અને 2011ના લોકપાલ આંદોલનના નેતા અણ્ણા હજારે 15 જૂને 90 વર્ષના થઈ રહ્યા છે. તેમના માનમાં, ભારત સરકારે તેમને T-55 ટેન્ક ભેટમાં આપી. આ ટેન્ક 11 જૂને અણ્ણાના ગામ રાલેગણ સિદ્ધિમાં આવી. આ ટેન્ક અણ્ણા હજારેના હિન્દુ સેવા ટ્રસ્ટના ગેટ સામે મૂકવામાં આવી છે.
અન્ના હજારેએ ટેન્કને ફૂલમાળા પહેરાવી અને તેને લશ્કરી સલામી આપી. આ ભેટથી અણ્ણા ખૂબ જ ખુશ અને ભાવુક દેખાયા. તેમણે જણાવ્યું હતું કે આ ટેન્ક જ હતી જેણે 1971ના યુદ્ધ દરમિયાન દુશ્મનને ભાગવા માટે મજબૂર કર્યા હતા.
સોવિયેત યુનિયન (હવે રશિયા)એ 1950માં આ ટેન્કનું ઉત્પાદન શરૂ કર્યું. ભારતે 1960માં સોવિયેત યુનિયન પાસેથી તે ખરીદ્યું. આ ટેન્કનો ઉપયોગ 1965 અને 1971ના યુદ્ધોમાં થયો હતો.
જાણીતા સામાજિક કાર્યકર કિશન બાબુરાવ હજારે, જેમને અણ્ણા હજારે તરીકે પણ ઓળખવામાં આવે છે, તેઓ એક સમયે સેનામાં ડ્રાઇવર હતા. 1963માં, અણ્ણા મરાઠા રેજિમેન્ટમાં ડ્રાઇવર તરીકે જોડાયા. તેમની પહેલી પોસ્ટિંગ પંજાબમાં હતી, જ્યાં તેમને ટ્રક ચલાવવાનું કામ સોંપવામાં આવ્યું હતું. 1965ના ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન, અણ્ણા ખેમકરણ સરહદ પર પોસ્ટ કરવામાં આવ્યા હતા. 12 નવેમ્બર, 1965ના રોજ, પાકિસ્તાન દ્વારા તેમની પોસ્ટ પર અચાનક બોમ્બમારો કરવામાં આવ્યો. ભારતીય સૈનિકોએ તેમની પોઝિશન લેવાનો પ્રયાસ કર્યો, પરંતુ બધા પ્રયાસો નિરર્થક સાબિત થયા. અણ્ણા સિવાય બધા શહીદ થયા હતા. અણ્ણા પણ આ હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયા હતા.
આ ઘટના પછી, અણ્ણાએ બીજા 13 વર્ષ સુધી સેનામાં સેવા આપી, જે દરમિયાન તેઓ મુંબઈ અને કાશ્મીરમાં પણ પોસ્ટ કરવામાં આવ્યા. 1975માં, જમ્મુમાં પોસ્ટિંગ દરમિયાન, તેમણે સેનામાં 15 વર્ષ પૂર્ણ કર્યા પછી સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી. સેનામાંથી નિવૃત્તિ લીધા પછી, તેઓ તેમના ગામ ભીંગારી પાછા ફર્યા નહીં, પરંતુ રાલેગણ સિદ્ધિ ગામમાં સ્થાયી થયા. અણ્ણાએ ગેરકાયદેસર દારૂ માટે કુખ્યાત આ ગામને એક મોડેલ ગામ તરીકે સ્થાપિત કર્યું.
પછી ધીમે ધીમે, અણ્ણા સામાજિક કાર્યમાં સક્રિય થયા. તેમણે મહારાષ્ટ્રમાં અનેક કૌભાંડોનો પર્દાફાશ કર્યો, જાહેર આંદોલનોનું આયોજન કર્યું અને માહિતી અધિકારના સમર્થનમાં પણ આગળ આવ્યા. 2011માં, તેમણે લોકપાલ બિલ માટે જાહેર આંદોલનનું નેતૃત્વ પણ કર્યું. તેમને 1990માં પદ્મશ્રી અને 1992માં પદ્મ ભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા.

