- Opinion
- ગુજરાત ભાજપ પ્રદેશ ટીમના સદસ્ય રાજુભાઈ આજે પણ સંગઠન માટે બસમાં પ્રવાસ કરે છે
ગુજરાત ભાજપ પ્રદેશ ટીમના સદસ્ય રાજુભાઈ આજે પણ સંગઠન માટે બસમાં પ્રવાસ કરે છે
(ઉત્કર્ષ પટેલ)
ગુજરાત ભાજપ પ્રદેશ સમિતિનું હાલમાં પૂર્ણ ગઠન થયું છે અને દરેક સદસ્યને રાજકીય તેમજ સામાજિક પરિસ્થિતિઓની ખૂબ ઝીણવટભરી ચોકસાઈ કરીને નિયુક્ત કરવામાં આવ્યા છે. રાજુભાઈ પ્રિયદર્શી પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશ વિશ્વકર્માની પ્રદેશ કારોબારીના સદસ્ય છે. અમદાવાદના મધ્યમવર્ગી પરિવારમાં બાળપણ અને અભ્યાસ થયો. શ્રી રામ જન્મભૂમિ આંદોલનથી પ્રેરિત થઈને વર્ષ ૧૯૯૪થી ૨૦૦૮ સુધી વિશ્વ હિન્દુ પરિષદમાં કાર્યકર્તા તરીકે અને પૂર્ણકાલીન કાર્યકર્તા તરીકે સેવા આપી. આ દરમ્યાન તેમણે અનેક યુવા કાર્યકર્તાઓને ધર્મકાર્યમાં જોડ્યા, તેમને ઘડતર આપ્યું અને આજે તે યુવાનો વિવિધ ક્ષેત્રોમાં સમાજસેવા કરી રહ્યા છે. દક્ષિણ ગુજરાતના શહેરો, ગામડાઓ અને વનવાસી ક્ષેત્રના છેવાડાના ગામો સુધી ધર્મજાગરણ માટે અનેક પ્રવાસ કર્યા.

ધર્મકાર્યના બહોળા અનુભવ પછી એક નાનકડા વિરામ બાદ તેઓ ભારતીય જનતા પાર્ટીના સક્રિય કાર્યકર્તા તરીકે સુરત શહેરમાં ફરી સેવારત થયા. દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પક્ષના સંગઠનને મજબૂત કરવા પ્રવાસી કાર્યકર્તા તરીકે જે જવાબદારી સોંપાઈ તે અપેક્ષા કરતાં વધુ સારી રીતે નિભાવી.
સરળ અને સૌમ્ય સ્વભાવના આ વ્યક્તિત્વમાં એક વિશેષ ગુણ છે રાતદિવસ સંગઠન માટે પ્રવાસ કરવાની અને સમયનો સદુપયોગ કરવાની આદત. સંગાથી કાર્યકર્તા હોય કે ન હોય તેઓ હંમેશા સક્રિય રહ્યા. સંગઠનના માનધન અને પ્રવાસ ખર્ચ પર જ જીવન ચલાવ્યું, પરિવારનું વિચાર્યા વિના સેવાના ગુણ માટે જીવન સમર્પિત કર્યું. વર્ષ ૧૯૯૪થી ૨૦૨૬ સુધી આ લેખ વાંચો ત્યારે પણ ગુજરાતની એસ.ટી. નિગમની બસમાં કોઈ સંકોચ વિના હસતા મોઢે સંગઠન માટે પ્રવાસ કરતા રહ્યા છે. પ્રવાસ દરમ્યાન છેવાડાના કાર્યકર્તાને ત્યાં જમવાનું મળે તો ઠીક પરંતુ પહેલા સંગઠને સોંપેલું કામ પૂરું કરવાનો આગ્રહ રાખનારા રહ્યા છે.

જીવનના વર્ષો ધર્મ અને પછી ભાજપના સંગઠન માટે નિ:સ્વાર્થ સમર્પિત કરનાર રાજુભાઈ પ્રિયદર્શી હવે ગુજરાત ભાજપ પ્રદેશ ટીમના સદસ્ય બન્યા છે. જ્યાંજ્યાં તેમણે પ્રવાસી કાર્યકર્તા તરીકે કર્યા કર્યું અને સંપર્ક કર્યો છે ત્યાં કાર્યકર્તાઓમાં અનેરી લાગણી અને ઉત્સાહ છે. રાજનીતિમાં કાર્યકર્તાઓની વાલી જેવી કાળજી લેનાર વ્યક્તિત્વ મળે ત્યારે કાર્યકર્તા બમણા ઉત્સાહથી કાર્ય કરે છે. ભાજપમાં કોઈ કાર્યકર્તા નિરાશ થતો નથી; પક્ષ યોગ્ય સમયે દરેકને તક આપે છે એ આ પ્રદેશ ટીમના સદસ્યોથી સ્પષ્ટ થાય છે. રાજુભાઈ જેવા સમર્પિત કાર્યકર્તાઓની ફોજ સાથે ગુજરાત ભાજપ આવનારી ચૂંટણીઓ લડશે અને વિજયપતાકા લહેરાવશે એમાં કોઈ શંકા નથી.
(લેખક એક પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ, સમાજસેવક અને khabarchhe.comના સંસ્થાપક છે.)

