- National
- 2 વર્ષ અગાઉ ગુમ થઈ ગઈ હતી પત્ની, અચાનક કંઈક એવું થયું કે પતિનો પરસેવો છૂટી ગયો
2 વર્ષ અગાઉ ગુમ થઈ ગઈ હતી પત્ની, અચાનક કંઈક એવું થયું કે પતિનો પરસેવો છૂટી ગયો
ઉત્તર પ્રદેશના બસ્તી જિલ્લામાંથી હેરાન કરી દેનારા સમાચાર સામે આવ્યા છે. અહીં પતિએ મહિલાની હત્યાની FIR નોંધાવી હતી. પોલીસ તેને શોધી રહી હતી. જો તેની હત્યા કરવામાં આવી હોય, તો ઓછામાં ઓછા તેના પુરાવા તો મળવા જોઈએ. જોકે, બે વર્ષ સુધી તેનો કોઈ અતોપત્તો ન લાગ્યો. પછી એક દિવસ, કંઈક એવું બન્યું જેણે પોલીસથી લઈને મહિલાના પતિ સુધી બધાને ચોંકાવી દીધા. મહિલાના મોબાઇલ ફોન પર એક OTP આવ્યો, જેનાથી ખબર પડી કે મહિલા તો જીવિત છે.
તે મહિલા ન માત્ર જીવતી મળી, પરંતુ તે બીજા રાજ્યમાં પોતાનું નવું ઘર વસાવી ચૂકી હતી. આ ઘટના કપ્તાનગંજ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના પિલખાવ ગામમાં બની હતી. ગામની રહેવાસી પ્રિયંકાએ 14 મે, 2017ના રોજ સંદીપ સાથે લગ્ન કર્યા હતા. તેમનું લગ્નજીવન 7 વર્ષ સુધી સારું રહ્યું. તેમને એક સુંદર પુત્ર પણ થયો. જોકે, ત્યારબાદ આ દંપતીમાં વારંવાર ઝઘડા થવા લાગ્યા.
અહેવાલો અનુસાર, 1 જુલાઈ, 2024ના રોજ, વિવાદ એટલે હદ સુધી વધ્યો કે પ્રિયંકા ઘરેથી ઘરેણાં લઈને પિયરે જતી રહી. પછી ત્યાંથી, તે પોતાના પુત્રને લઈને આત્મહત્યા કરવાના ઇરાદા સાથે અયોધ્યા પહોંચી ગઈ. સરયુ નદીના કિનારે જ્યારે તે પોતાની જીવન ટૂંકાવવાની હતી, ત્યારે રાજસ્થાનથી યાત્રા માટે આવેલા મંગલચંદ્રએ તેને જોઈ લીધી. તેણે પ્રિયંકાનો જીવ બચાવ્યો. ત્યારબાદ પ્રિયંકાએ આત્મહત્યા કરવાનો ઇરાદો છોડી દીધો અને મંગલચંદ્ર સાથે રાજસ્થાન જતી રહી. ત્યાં, બંને પતિ-પત્ની તરીકે લિવ-ઇનમાં રહેવા લાગ્યા.
બીજી તરફ બસ્તીમાં, પતિ સંદીપ તેની પત્ની અને બાળકના અચાનક ગાયબ થવાથી ખૂબ જ દુઃખી થઈ ગયો. તેણે તેમને શોધ્યા, પરંતુ તેઓ ક્યાંય ન મળ્યા. ત્યારબાદ તેને શંકા ગઈ કે તેના સાસરિયાઓએ ઘરેણાંના લોભમાં પ્રિયંકા અને બાળકની હત્યા કરી હશે અને તેમના મૃતદેહ નદીમાં ફેંકી દીધા હશે. સંદીપે પોલીસને જાણ કરી. જ્યારે પોલીસે સાંભળવાનો ઇનકાર કર્યો, ત્યારે સંદીપ કોર્ટમાં પહોંચ્યો. 4 નવેમ્બર, 2024ના રોજ, કોર્ટના આદેશ પર પ્રિયંકાના માતા-પિતા, પિતરાઈ ભાઈ અને અન્ય એક વ્યક્તિ સામે હત્યાનો કેસ નોંધવામાં આવ્યો.
બે વર્ષ વીતી ગયા. પ્રિયંકા રાજસ્થાનમાં પોતાની ઓળખ બદલવા માંગતી હતી. તે પોતાનો ફોટો અને સરનામું અપડેટ કરવા માટે આધાર સેન્ટર ગઈ હતી. જેવો જ તેણે પોતાનો જૂનો આધાર નંબર નાખ્યો, લિંક કરેલા મોબાઇલ નંબર (જે તેના પહેલા પતિ સંદીપનો હતો) પર એક OTP ગયો. સંદીપે OTP જોયો, ત્યારે તેને મામલો સમજવામાં વાર ન લાગી. તેણે તરત જ પોલીસને જાણ કરી.
પોલીસ, ઇલેક્ટ્રોનિક સર્વેલન્સનો ઉપયોગ કરીને, રાજસ્થાન પહોંચી અને પ્રિયંકાનો કબજો મેળવ્યો. જ્યારે પ્રિયંકાને બસ્તી લાવવામાં આવી, ત્યારે ત્યાંનું દૃશ્ય જોવા લાયક હતું. સંદીપે જેવી જ તેની પત્ની અને પુત્રને જોયા તો તે ભાવુક થઈ ગયો. સંદીપને પ્રિયંકા પર ગુસ્સો પણ આવ્યો. તેણે કહ્યું કે, હું પ્રિયંકાને મારી સાથે રાખવા માંગતો નથી. હું માત્ર મારા પુત્રને મારી સાથે લઈ જવા માંગુ છું. પરંતુ પુત્રએ ન માત્ર સંદીપ સાથે જવાનો ઇનકાર જ કર્યો, પણ તેને પિતા માનવાનો પણ ઇનકાર કરી દીધો.
ASP શ્યામકાંતે જણાવ્યું હતું કે, ‘કોર્ટના આદેશ પર હત્યાની FIR દાખલ કરવાના આદેશ પર ફરિયાદ નોંધાઈ હતી. હવે મહિલા જીવતી મળી આવી છે, એટલે તેનું નિવેદન કોર્ટમાં નોંધવામાં આવ્યું છે. બાળકના કસ્ટડી અંગે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. ટૂંક સમયમાં અંતિમ રિપોર્ટ દાખલ કરવામાં આવશે.

