- Entertainment
- સલમાનની ફિલ્મ 'બેટલ ઓફ ગલવાન'નું નામ બદલાયું, ચીન આ ફિલ્મથી નારાજ છે
સલમાનની ફિલ્મ 'બેટલ ઓફ ગલવાન'નું નામ બદલાયું, ચીન આ ફિલ્મથી નારાજ છે
બોલિવુડ સુપરસ્ટાર સલમાન ખાનની બહુપ્રતિક્ષિત ફિલ્મ 'બેટલ ઓફ ગલવાન'ને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. વર્ષ 2020માં ગલવાન ઘાટીમાં ચીન સાથે થયેલા લોહિયાળ સંઘર્ષ પર આધારિત આ ફિલ્મનું નામ હવે બદલીને ‘માતૃભૂમિ: મે વોર રેસ્ટ ઇન પીસ’ (Matrubhumi: May War Rest in Peace) રાખવામાં આવ્યું છે.
સોમવાર, 16 માર્ચ 2026ના રોજ નિર્માતાઓ દ્વારા આ મહત્વની જાહેરાત કરવામાં આવી હતી. આ સાથે ફિલ્મનું નવું પોસ્ટર પણ લોન્ચ કરવામાં આવ્યું છે, જેમાં સલમાન ખાનનો અત્યંત આક્રમક અને શક્તિશાળી લુક જોવા મળી રહ્યો છે. જોકે, નવા પોસ્ટર પરથી રિલીઝ ડેટ ગાયબ હોવાથી ચાહકોમાં ચર્ચા જાગી છે કે શું ફિલ્મ પૂર્વ નિર્ધારિત તારીખ 17 એપ્રિલ 2026ના બદલે આગળ ધકેલાશે?

શા માટે બદલાયું નામ?
અપૂર્વ લાખિયાના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ 2026ની સૌથી ચર્ચિત ફિલ્મોમાંની એક છે. નિર્માતાઓ અનુસાર, નવું ટાઇટલ 'માતૃભૂમિ' સાથે જોડાયેલી ટેગલાઇન ‘મે વોર રેસ્ટ ઇન પીસ’ (યુદ્ધને શાંતિ મળે) આજની દુનિયા માટે એક જરૂરી સંદેશ આપે છે. સલમાન ખાનની વિચારધારા મુજબ, આ ફિલ્મ માત્ર યુદ્ધની વાત નથી કરતી પરંતુ વૈશ્વિક શાંતિની આશા પણ જગાવે છે.

ફિલ્મની વાર્તા અને પાત્રો
આ ફિલ્મ ગલવાન ઘાટીની ઐતિહાસિક ઘટનાથી પ્રેરિત છે. સલમાન ખાન આ ફિલ્મમાં મહાવીર ચક્ર વિજેતા કર્નલ બી. સંતોષ બાબુનું પાત્ર ભજવી રહ્યો છે. આ ફિલ્મમાં તેમની સાથે ચિત્રાંગદા સિંહ પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે.
પહેલું ગીત 'માતૃભૂમિ': ફિલ્મનું પ્રથમ દેશભક્તિ ગીત 24 જાન્યુઆરી 2026ના રોજ રિલીઝ થયું હતું. અરિજિત સિંહ અને શ્રેયા ઘોષાલના અવાજમાં ગવાયેલા આ ગીતને અત્યાર સુધીમાં યુટ્યુબ પર 21.94 મિલિયનથી વધુ વ્યુઝ મળી ચૂક્યા છે.
https://www.instagram.com/p/DV7-qf-CE0h/?utm_source=ig_embed&ig_rid=37692e9d-954f-44b8-aaa4-93e945bff271
ચીનના પેટમાં તેલ રેડાયું!
ગયા વર્ષે 27 ડિસેમ્બરે સલમાન ખાનના જન્મદિવસે જ્યારે ફિલ્મનું ટીઝર રિલીઝ થયું, ત્યારે ચીની મીડિયામાં હડકંપ મચી ગયો હતો. ચીની કોમ્યુનિસ્ટ પાર્ટીના મુખપત્ર 'ગ્લોબલ ટાઈમ્સ' એ આ ફિલ્મ સામે ઝેર ઓકતા લખ્યું હતું કે ભારતીય ફિલ્મ 'બેટલ ઓફ ગલવાન' ઇતિહાસને ફરીથી લખવાની કોશિશ છે. સલમાન ખાન પડદા પર અજેય દેખાવાનો પ્રયાસ કરે છે, પરંતુ તેમની ફિલ્મોના વિઝ્યુઅલ ઇફેક્ટ્સ અવાસ્તવિક હોય છે. આનાથી ચીની સેના (PLA)ના સંકલ્પને કોઈ ફરક પડશે નહીં.

શું હતો ગલવાનનો ઇતિહાસ?
જૂન 2020માં પૂર્વી લદ્દાખમાં 16 બિહાર રેજિમેન્ટ ચીની સેનાની ગતિવિધિઓ પર નજર રાખી રહી હતી. 14 જૂને જ્યારે કર્નલ બી. સંતોષ બાબુના નેતૃત્વમાં ભારતીય સૈનિકો વાતચીત કરવા ગયા ત્યારે હિંસક અથડામણ થઈ હતી. ભારતીય સેનાના જણાવ્યા અનુસાર, જવાબી કાર્યવાહીમાં ભારતીય જવાનોએ ચીનના 40 થી 45 સૈનિકોને ઠાર માર્યા હતા, જોકે ચીને સત્તાવાર રીતે માત્ર 4 સૈનિકોના મોતના જ સ્વીકાર કર્યો હતો.

