- Gujarat
- લોન લેનારના લેણા બાકી હોય તો તેના ગેરન્ટરના બેન્ક એકાઉન્ટને ફ્રીઝ કરવાનો બેન્કને અધિકાર:કોર્ટ
લોન લેનારના લેણા બાકી હોય તો તેના ગેરન્ટરના બેન્ક એકાઉન્ટને ફ્રીઝ કરવાનો બેન્કને અધિકાર:કોર્ટ
બેંકમાંથી લોન લેનાર વ્યકિતના બાકી લેણા નીકળતા હોય તો તેવા લોન લેનાર ગેરેન્ટરના ખાતમાં બાકી પડતી રકમ પર પણ બેન્કના જનરલ લીયનને હક છે અને બેન્ક ગેરેન્ટરનું બેંક એકાઉન્ટ પણ ફ્રીઝ કરી શકે છે. તેવો તેમજ જો સરફેસી એકટ અન્વયેના પ્રોસીડીઝ DRTમાં ચાલતા હોય તો અન્ય કોઈ કોર્ટને તેવો વિવાદ સંબંધિત કેસ ચલાવવાની હકુમત નથી તેવો મહત્વના કાનૂની સિધ્ધાંત સુરત જીલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશને પ્રસ્થાપિત કર્યો છે.
કેસની વિગત મુજબ ફરિયાદી વિરૂધ્ધ બેન્ક ઓફ બરોડા (સામાવાળા) ના કેસની વિગતો એવી છે કે આ કામના ફરિયાદીનું સામાવાળાની બેંકમાં સેવિંગ્સ એકાઉન્ટ ખોલાવેલું છે અને ફરિયાદી આ બેન્ક એકાઉન્ટનું ઓપરેશન કરે છે. ફરિયાદી તેના પતિ સાથે સુરત રહેવા ગયેલ. પરંતુ ફરિયાદીના પતિને અને ફરિયાદીને મતભેદ થતાં હાલ ફરિયાદી તેના માતા પિતાના ત્યાં રહેવા આવેલ છે. ફરિયાદીના એકાઉન્ટમાં રૂા. 5,63,330/- જેટલી રકમ જમા છે અને આ રકમ પૈકીની રકમ રૂા. 5,16,957 અને 58 પૈસા લાઈફ ઇન્સ્યોરન્સના બેન્ક એકાઉન્ટમાં જમા થયેલ છે અને તે રકમ ઉપાડવામાં માંગતા હોય. પરંતુ ફરિયાદીનું એકાઉન્ટ ઓપરેટ કરવા દેવામાં આવતું નથી અને ફ્રીઝ થઈ ગયેલ છે, તેવું જણાવેલ. જેથી ફરિયાદીએ 2018ના રોજ સામાવાળાને નોટીસ આપેલ.
સામાવાળા બેંક તરફે એડવોકેટ શ્રેયસ દેસાઈ હાજર થયેલા, એડવોકેટ શ્રેયસ દેસાઈની રજુઆત એવી હતી કે, સિદ્ધિવિનાયક ફાર્મ ફ્રેશ પ્રાઇવેટ લિમિટેડ કંપની નામની એક કંપનીએ બેન્ક ઓફ બરોડા પાસેથી મેળવેલી લોનમાં આ કામના ફરિયાદી ગેરેન્ટર થયેલા અને 2011ના રોજ બેન્કને જનરલ ગેરંટી એક્ઝીક્યુટ કરી આપેલ. જેમાં ક્લોઝ નંબર આઠમાં લીયનની ટર્મ્સ નક્કી કરવામાં આવેલી છે. ફરિયાદી સિદ્ધિવિનાયક ફાર્મ ફ્રેશ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં ડિરેક્ટર અને ગેરંટર તરીકે પણ છે અને આ કંપની પાસે 2020ના રોજ રૂા. 11.39 કરોડની મોટી રકમ બાકી પડે અને જે અન્વયે સરફેસી એક્ટ અન્વયે પ્રોસીડીંગ્સ DRTમાં દાખલ થઈ ગયેલ છે. પેન્ડિંગ છે તેમજ સીબીઆઈ દ્વારા પણ કાનૂની કાર્યવાહી કરવામાં આવેલી છે અને તેથી BOB એ ફરિયાદીના એકાઉન્ટ ઉપર બેંકનું લીયન માર્ક કરેલું છે. જેથી ફરિયાદીને આ એકાઉન્ટ ઓપરેટ કરવા દેતા નથી. જેથી ફરિયાદીએ ખોટી હકીક્તો જણાવી અને હાલની ખોટી ફરિયાદ કરેલ છે. જેથી ફરિયાદ રદ કરવા રજૂઆત કરેલ.
સામાવાળા બેંકના એડવોકેટ શ્રેયસ દેસાઈએ લેખિત દલીલો સાથે કેટલાક જજમેન્ટો રજુ કરેલા. જેમાં ઠરાવ્યા મુજબ DRT સમક્ષ કોઈ પણ પ્રોસિડીંગ્સ પેડીંગ હોય ત્યારે અન્ય કોઈ કોર્ટ કાર્યવાહી કરવા માટેની સતા નથી અને પ્રોસિડીંગ્સ ચાલે નહી એવું ઠરાવેલું છે.
વધુમાં, એડવોકેટ શ્રેયસ દેસાઇએ જણાવેલ કે કોન્ટ્રાક્ટ એક્ટની કલમ 17ની જોગવાઈઓ જોતા ફરિયાદી અન્ય લોન લેનાર કંપની ગેરેન્ટર બનેલા હતા. અને કંપનીના મોટી રકમના બાકી લેણા ચુકવવાના પેડીંગ હતા. જે હકીક્તમાં ફરિયાદીના એકાઉન્ટમાં જે રકમ છે. તેના પર પણ બેંકનું જનરલ લિયન રહે છે.
સુરત જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશને કરેલ હુકમમાં સામાવાળા બેંકના પક્ષે ફરિયાદીનું રૂા. 5,63,330/- બેલેન્સ ધરાવતું ખાતું ફ્રીઝ કરવામાં સામાવાળા બેંકના પક્ષે કોઇ ખામી ન હોવાનું ઠરાવ્યું હતું.
સુરત જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશને આપેલ હુકમમાં ફરિયાદીએ સત્ય હકીકત છુપાવીને ખોટી હકીકત જણાવીને કમિશન સમક્ષ પ્રોસિડીંગસ કરેલ છે. તેવું માનવાને કારણ રહે છે. એમ પણ જણાવી ફરિયાદ રદ કરવાનો હુકમ કર્યો હતો અને ફરિયાદીને સામાવાળા બેંકને ફરિયાદ ખર્ચના રૂા. 5૦,૦૦૦/- ચુકવવાનો હુકમ પણ કર્યો છે.

