- Opinion
- બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
(ઉત્કર્ષ પટેલ)
જાન્યુઆરી 22, 2015માં PM નરેન્દ્ર મોદીએ પાનીપતથી શરૂ કરેલી 'બેટી બચાઓ, બેટી પઢાઓ' યોજના આજે 11 વર્ષ પૂર્ણ કરી રહી છે. આ યોજનાનું મૂળ ગુજરાતમાં જ હતું જ્યાં PM મોદીના ગુજરાતના મુખ્યમંત્રીના કાર્યકાળ દરમિયાન દીકરીઓની સુરક્ષા અને શિક્ષણ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. આજે ગુજરાતની દીકરીઓ આ યોજનાની સફળતાની સાક્ષી છે. દીકરીઓ માટેનો દૃષ્ટિકોણ બદલાયો છે, દીકરીઓના સપના સશક્ત થયા છે અને તેઓ આત્મનિર્ભર બની રહી છે.
ગુજરાતમાં આ યોજનાની અસર અદ્ભુત રહી છે. છેલ્લા એક દાયકામાં દીકરીઓના જન્મદરમાં સુધારો જોવા મળ્યો છે. રાજકોટ, અમદાવાદ, સુરત જેવા મોટા જિલ્લાઓમાં જાગૃતિ અભિયાનો, રેલીઓ, ફિલ્મો દ્વારા અને સમાજ સાથે સીધી વાતચીત દ્વારા સ્ત્રી ભ્રૂણહત્યા પર અંકુશ મેળવવામાં આવ્યો છે. રાજ્યના 8 ક્રિટિકલ જિલ્લાઓમાં હજારો લોકો સુધી પહોંચીને આ અભિયાન ચલાવવામાં આવ્યું જેના પરિણામે લોકોની માનસિકતામાં સકારાત્મક ફેરફાર આવ્યો છે.

શિક્ષણના ક્ષેત્રે પણ ગુજરાતની દીકરીઓએ અદ્ભુત પ્રગતિ કરી છે. શાળામાં નોંધણી લગભગ પૂર્ણ સ્તરે પહોંચી ગઈ છે અને ડ્રોપઆઉટ દરમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. મહિલા સાક્ષરતા દરમાં વધારો થયો છે અને દીકરીઓ હવે ઉચ્ચ શિક્ષણ, વ્યવસાયિક અભ્યાસક્રમો અને ટેકનિકલ ક્ષેત્રોમાં પણ આગળ વધી રહી છે. રમતગમત, વિજ્ઞાન, ઉદ્યોગસાહસિકતા અને સરકારી નોકરીઓમાં ગુજરાતની દીકરીઓનું યોગદાન વધી રહ્યું છે.
આ યોજના માત્ર આંકડાઓમાં જ નહીં પરંતુ વ્યક્તિગત જીવનમાં પરિવર્તન લાવી રહી છે. અમદાવાદ, વડોદરા કે સુરતની અનેક દીકરીઓએ આ યોજનાના લાભથી શિક્ષણ મેળવીને આજે પોતાના પગ પર ઊભી થઈ છે. કોઈ એક દીકરી નાના ગામમાંથી શરૂ કરીને આજે સફળ ઉદ્યોગપતિ બની છે તો કોઈ રમતમાં રાષ્ટ્રીય સ્તરે પ્રતિનિધિત્વ કરી રહી છે. આવા અનેકો સફળ કિસ્સાઓ ગુજરાતના દરેક ખૂણે જીવંત છે.

આ 11 વર્ષમાં સમાજનો દૃષ્ટિકોણ બદલાયો છે. દીકરીઓને હવે બોજ નહીં પરંતુ પરિવાર અને દેશની માતૃશક્તિ માનવામાં આવે છે. તેમના સપના મોટા થયા છે અને તેઓ આત્મનિર્ભર બનીને નવું ભારત ઘડી રહી છે. ગુજરાતની દીકરીઓ આજે રાષ્ટ્રનું ગૌરવ છે. જો આપણે સૌ મળીને આ અભિયાનને આગળ વધારીએ તો ભવિષ્ય વધુ ઉજ્જવળ બનશે. દીકરીઓનું સશક્તિકરણ એટલે રાષ્ટ્રનું સાચું સશક્તિકરણ છે.
(લેખક એક પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ, સમાજસેવક અને khabarchhe.comના સંસ્થાપક છે.)

