- Gujarat
- આપણે નક્કી કરવાનું છે કે વેપાર બંધ રહે તે વધુ ગંભીર છે કે રસોડું બંધ રહે તેઃ દિલીપ સંઘાણી
આપણે નક્કી કરવાનું છે કે વેપાર બંધ રહે તે વધુ ગંભીર છે કે રસોડું બંધ રહે તેઃ દિલીપ સંઘાણી
હાલમાં ઈરાન અને અમેરિકા-ઈઝરાયેલ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. આજે યુદ્ધને 13 દિવસ થઈ ગયા. 3 દેશોના યુદ્ધ વચ્ચે દુનિયાભરમા ફફડાટ જોવા મળી રહ્યો છે. ક્રૂડ ઓઇલ અને ગેસની અછત વર્તાઇ રહી છે. તેની અસર ગુજરાત સહિત દેશભરમાં જોવા મળી રહી છે. ગુજરાતમાં ઘણા શહેરોમાં ગેસના સિલિન્ડર લેવા માટે લોકો કલાકો સુધી લાઇનમાં ઊભા રહેલા જોવા મળી રહ્યા છે. તો ખાણી-પીણીની દુકાનોને પણ તાળાં મારવાના વારા આવે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. કોમર્શિયલ સિલિન્ડર આપવાના બંધ કરી દેવામાં આવ્યા છે. સરકાર ગેસની કટોકટીને પહોંચી વળવા ને સંગ્રહખોરીને અટકાવવા માટે પગલાં પણ ઉઠાવી રહી છે.
ખાડી દેશોમાં તણાવને કારણે ગેસ સપ્લાય ચેઈન ખોરવાઇ ગઇ છે, જેની સીધી અસર હવે સુરતના ટેક્સટાઈલ ઉદ્યોગ પર જોવા મળી રહી છે. સુરતના વીવિંગ ઉદ્યોગમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની ભારે અછત સર્જાઈ છે. ખાસ કરીને ટ્વિસ્ટેડ યાર્નનો ઉપયોગ કરતા અંદાજે 10,000 જેટલા વીવિંગ યુનિટ્સ આ અછતથી સીધા અસરગ્રસ્ત બન્યા છે. વીવિંગ ઉદ્યોગમાં કાપડના ઉત્પાદન પહેલા યાર્ન (દોરા) પર પ્રક્રિયા કરવી અનિવાર્ય હોય છે.
દક્ષિણ ગુજરાત વીવિંગ ઉદ્યોગના ચેરમેન અને વીવર અગ્રણી અશોક જીરાવાલાના જણાવ્યા અનુસાર, 1200 RPMથી વધુ સ્પીડ ધરાવતા મશીનો પર કાપડ બનાવતા પહેલા યાર્નને હીટ (ગરમી) આપવી પડે છે. આ પ્રોસેસ વગર હાઈ-ક્વોલિટી કાપડ બનાવવું અશક્ય છે. હાલમાં ગેસના અભાવે આ હીટિંગ પ્રક્રિયા ખોરવાઈ છે, જેના કારણે ઉત્પાદન પ્રક્રિયા ધીમી પડી ગઈ છે. સુરતમાં કુલ 55,000 જેટલા વીવિંગ યુનિટ્સ કાર્યરત છે, તેમાંથી તમામમાં વરાળનો ઉપયોગ થતો નથી, પરંતુ અંદાજે 30% યુનિટ્સ એવા છે, જ્યાં ટ્વીસ્ટેડ યાર્ન વપરાય છે અને ત્યાં સ્ટીમ આપવી ફરજિયાત છે. આ ગણતરી મુજબ, લગભગ 10,000 જેટલા એકમો ગેસની અછતને કારણે મોટા પાયે પ્રભાવિત થવાની શક્યતા છે.
તો ગેસની શૉર્ટેજની સમસ્યા પર IFFCO અ NCUIના ચેરમેન દિલીપ સંઘાણીએ મોટું નિવેદન આપ્યું છે. આજે ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (SGCCI) દ્વારા સુરતના સરસાણા સ્થિત પ્લેટિનમ હોલ SIECCમાં 'કોઓપરેટિવ કોન્ક્લેવ 26' કાર્યક્રમનું આયોજન થયું હતું. સહકારી ઇકોસિસ્ટમને વધુ મજબૂત બનાવવાના ઉદ્દેશ્ય સાથે આયોજિત આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે IFFCO અને NCUIના ચેરમેન દિલીપ સંઘાણી ઉપસ્થિત રહ્યા હતા. અહીં ગેસના વિતરણ અંગે સરકારી નીતિની સ્પષ્ટતા કરી હતી.
દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ તેમણે કહ્યું હતું કે, ‘સરકાર પાસે જે સ્ટોક ઉપલબ્ધ છે, તેમાં ઘરેલું ગેસને પ્રથમ પ્રાથમિકતા આપવામાં આવી છે. કોઈપણ સંજોગોમાં લોકોના રસોડામાં રસોઈ ગેસ બંધ ન થવો જોઈએ. હોસ્પિટલો અને જીવનજરૂરી સેવાઓને પહેલા ગેસ મળે તેવા લોકહિતના નિર્ણયો લેવામાં આવ્યા છે. ગેસની આ સમસ્યા સ્થાનિક નથી, પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલી રહેલા યુદ્ધની પરિસ્થિતિને કારણે ઉભી થઈ છે. સમુદ્રી માર્ગો પ્રભાવિત થતા સપ્લાય ચેઈન પર તેની સીધી અસર પડી છે, જેના કારણે માત્ર ગુજરાત જ નહીં, પરંતુ સમગ્ર દેશમાં આ સ્થિતિ જોવા મળી રહી છે.’
કોમર્શિયલ ગેસ સિલિન્ડર અંગે તેમણે જણાવ્યું કે, 'કોમર્શિયલ' શબ્દ જ તેની શ્રેણી સ્પષ્ટ કરે છે. આપણે નક્કી કરવાનું છે કે વેપાર બંધ રહે તે વધુ ગંભીર છે કે રસોડું બંધ રહે તે? સરકારે રસોડાને પ્રાથમિકતા આપી છે જે આવકારદાયક પગલું છે. જ્યાં સુધી યુદ્ધની સ્થિતિ શાંત નહીં થાય ત્યાં સુધી આપણે સહિયારો પુરુષાર્થ કરીને આ પરિસ્થિતિનો સામનો કરવો પડશે.’
બજારમાં ગેસ સિલિન્ડરની અછત વચ્ચે કાળાબજારી અને સંગ્રહખોરીની ફરિયાદો પર સંઘાણીએ કહ્યું કે, ‘સરકાર દ્વારા ગઈકાલે પણ અનેક સ્થળોએ દરોડા પાડીને જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. કાળાબજારી કરનારા તત્વો સામે તંત્ર અત્યંત કડક કાર્યવાહી કરી રહ્યું છે અને કોઈને છોડવામાં નહીં આવે તેવી ખાતરી આપી હતી.’

