- Gujarat
- સુભાષ બ્રિજના સ્પાન તોડી પડાશે, 1 એપ્રિલ-15 જૂન સુધીમાં વાસણા બેરેજ ખાલી કરવાની અપાઇ મંજૂરી
સુભાષ બ્રિજના સ્પાન તોડી પડાશે, 1 એપ્રિલ-15 જૂન સુધીમાં વાસણા બેરેજ ખાલી કરવાની અપાઇ મંજૂરી
અમદાવાદના મહત્ત્વપૂર્ણ પુલોથીનો એક સુભાષ બ્રિજના જૂના ભાગને તોડીને નવો બનાવવાની કામગીરી શરૂ થઈ ગઇ છે. બ્રિજના કેટલાક સ્પાન તોડી નવો અને વધુ મજબૂત બ્રિજ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ માટે અમદાવાદ મ્યુનિશિપલ કોર્પોરેશન દ્વારા લગભગ 235 કરોડ રૂપિયાના ખર્ચે નવા બ્રિજનું નિર્માણ થવાનું છે. હાલ બ્રિજ તોડવા અને નવા બ્રિજ માટે જરૂરી કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.
દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ, અઢી મહિનામાં સુભાષ બ્રિજના તમામ ઉપરના સ્ટ્રક્ચરને તોડી પાડવા આવશે, તે માટે આગામી 1 એપ્રિલથી 15 જૂન સુધી સાબરમતી નદીમાં પાણી બંધ રાખવામાં આવશે. જેના માટે ડિમોલિશન ડિઝાઇન પણ મંજૂરી માટે મોકલવામાં આવી છે. ત્યારબાદ એપ્રિલ 2026થી સ્ટ્રક્ચર તોડવા માટેની કામગીરી શરૂ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે સાબરમતી નદી ખાલી કરવા સંબંધિત સિંચાઈ વિભાગનો પત્ર સામે આવ્યો છે.
પત્રમાં જણાવવામાં આવ્યું છે કે, અમદાવાદ શહેરની મધ્યમાંથી પસાર થતી સાબરમતી નદી પર વર્ષ 1976માં નિર્મિત વાસણા બેરેજ એ પૂર નિયંત્રણ અને જળ વ્યવસ્થાપન માટેનું અત્યંત મહત્ત્વનું માળખું છે. ચાલુ વર્ષે ડેમ સેફ્ટી અંતર્ગત કરવામાં આવેલા પ્રી મોનસૂન ઇન્સ્પેક્શન દરમિયાન નિષ્ણાંતો દ્વારા બેરેજની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તેના કુલ 30 ગેટ પૈકી 18 નંગ નવા ગેટ્સ બેસાડવા તેમજ અન્ય ગેટ્સમાં જરૂર રિપેરિંગ કરવાની ભલામણ કરવામાં આવી છે.
બેરેજની લાંબા ગાળાની મજબૂતી અને સુરક્ષા જાળવી રાખવા માટે આ કામગીરી તાત્કાલિક ધોરણે હાથ ધરાવી અનિવાર્ય હોવાથી સરકારશ્રી દ્વારા તારીખ 1 એપ્રિલથી 15 જૂન 2026 સુધીના સમયગાળા દરમિયાન વાસણા બેરેજ ખાલી કરવાની મંજૂરી આપવામાં આવી છે.
આ મહત્ત્વપૂર્ણ રિપેરિંગની કામગીરીને સુચારું રીતે પૂર્ણ કરવા માટે જરૂરિયાત મુજબ ફતેવાદી નહેર તેમજ બેરેજમાં હેઠવાસમાં પાણી છોડીને બેરેજ ખાલી કરવામાં આવશે. જેના પરિણામે નિર્ધારિત સમયગાળા દરમિયાન નદીમાં પાણી ઉપલબ્ધ રહેશે નહીં.
આથી બેરેજની ઉપરવાસ તેમજ હેઠવાસમાં આવેલ સાબરમતી નદીના પાણી પર નિર્ભર તમામ સંલગ્ન સરકારી વિભાગો, ખાનગી કંપનીઓ તેમજ અન્ય સંસ્થાઓને નમ્ર વિનંતી કરવામાં આવે છે કે આ કામગીરીની ગંભીરતાને ધ્યાનમાં લઈને આગમચેતીના પગલાં રૂપે 1 એપ્રિલ 2026 થી 15 જૂન 2026 સુધીના સમયગાળા દરમિયાન પાણીની વૈકલ્પિક વ્યવસ્થા આપની કક્ષાએથી સ્વખર્ચે અને સ્વ આયોજનથી અગાઉથી કરી લેવી. બેરેજની સુરક્ષા અને જાહેર હિતમાં લેવાયેલા આ નિર્ણયમાં આપનો સકારાત્મક સહકાર અપેક્ષિત છે.
ઉલ્લેખનીય છે કે, અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડતા સુભાષ બ્રિજનો સ્પાન બેસી જવાની ઘટના બાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સુભાષ બ્રિજને તોડીને નવો બનાવવા તેમજ પહોળો કરવા માટે ટેન્ડર પ્રક્રિયા કરી હતી. તાજેતરમાં જ શાસક પક્ષ ભાજપની છેલ્લી સ્ટેન્ડિંગ કમિટીમાં 235 કરોડ રૂપિયાના ખર્ચે બ્રિજ બનાવવા માટેની મંજૂરી આપવામાં આવી હતી. આગામી જાન્યુઆરી 2027 સુધીમાં સુભાષ બ્રિજ શરૂ કરવાનો હોવાના કારણે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.
સુભાષ બ્રિજ કલેકટર ઓફિસ તરફના છેડા પાસે બ્રિજ અને ડિમોલિશન કરવા માટે તેના અલગ અલગ ટેસ્ટની શરૂઆત થઈ ચૂકી છે. સૌપ્રથમ જમીન તપાસ એટલે કે સોઇલ ટેસ્ટિંગ કરવાની જરૂરિયાત હોવાના પગલે તેની કામગીરી કરવામાં આવી રહી છે. સ્ટ્રક્ચર ડિઝાઇન કરવાની હોવાના કારણે તેના જમીનની માપણી શરૂ કરવામાં આવી છે. નવા પાયા કેટલા ઊંડા બનાવવા પડશે અને બ્રિજનો લોડ કેટલો રાખવાનો વગેરે અંગે ટેસ્ટિંગ કામગીરી શરૂ થઈ ચૂકી છે.
સુભાષ બ્રિજના વચ્ચેના 6 જેટલા સ્પાન તોડીને નવા બનાવવાના છે. સ્ટ્રક્ચર ડિમોલિશન માટેની મેથડ પણ તૈયાર કરવામાં આવી છે. બ્રિજ વર્ષો જૂનો છે અને બેલેન્સ કેન્ટી લીવરથી બનાવવામાં આવ્યો છે જેથી કયો ભાગ કેવી રીતે તોડવો તેના માટેની એક મેથડ તૈયાર કરવા માટેની પ્રક્રિયા પણ કરી દેવામાં આવી છે. SVNIT સુરત અથવા IIT પાસે તેની મેથડ તૈયાર કરાવી કન્સલ્ટન્ટને મોકલી ડિઝાઇન ઉતારવાની કામગીરી પણ એપ્રિલ મહિનાથી શરૂ કરવામાં આવે તેવી શક્યતા છે.
બ્રિજ પ્રોજેક્ટ વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ, વાસણા બેરેજના દરવાજા નવા નાખવાના તેમજ રીપેરિંગની કામગીરી દરમિયાન સાબરમતી નદી ખાલી કરવાની હોવાથી આ અઢી મહિનાના સમયગાળા દરમિયાન મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સુભાષ બ્રિજના 6 જેટલા સ્ટ્રક્ચર તોડવાની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવશે. બ્રિજનો તૂટેલો ભાગ નદીમાં પડતો હોવાથી સાબરમતી નદીમાં પાણી હોય ત્યારે કામગીરી ન કરી શકાય જેથી નદી ખાલી હોવાનો ફાયદો લઈને આ સમયગાળા દરમિયાન સ્ટ્રક્ચરને તોડવા માટેની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવશે. નદીમાં પાણી ચાલુ હશે ત્યારે સ્ટ્રક્ચર બનાવવા માટેની કામગીરી થઈ શકે છે. જેથી ડિમોલિશનની કામગીરી 3 મહિનામાં જ પૂર્ણ કરી દેવામાં આવશે.
નવો બ્રિજ બનાવવા માટે જમીનની ક્ષમતા તપાસવા માટે સોઇલ ટેસ્ટિંગ શરૂ કરવામાં આવ્યું છે. તેમાં નવા પાયા કેટલા ઊંડા બનાવવા પડશે, બ્રિજ પર કેટલો ભાર રહેશે અને સ્ટ્રક્ચર કેવી રીતે તૈયાર કરવું તેની માહિતી એકત્ર કરવામાં આવી રહી છે. મ્યુનિસિપલ કોર્પોરેશનનો લક્ષ્ય છે કે નવો સુભાષ બ્રિજ જાન્યુઆરી 2027 સુધીમાં તૈયાર થઈ જાય.

