- Opinion
- એક માત્ર ગોપાલ ઈટાલિયા પર ટક્યું ગુજરાત AAP નું સૌરાષ્ટ્રનું રાજકારણ. હવે શું થશે AAP નું?
એક માત્ર ગોપાલ ઈટાલિયા પર ટક્યું ગુજરાત AAP નું સૌરાષ્ટ્રનું રાજકારણ. હવે શું થશે AAP નું?
ગુજરાતના રાજકીય સમીકરણોમાં આમ આદમી પાર્ટીની હાલત વિચાર માંગી લેનારી જણાઈ રહી છે. સૌરાષ્ટ્રમાં પાર્ટીનું અસ્તિત્વ મોટે ભાગે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા પર ટકેલું છે. 2025ની વિસાવદર પેટાચૂંટણીમાં ગોપાલ ઈટાલિયાએ ભાજપના કિરીટ પટેલને 17,554 મતોના અંતરથી હરાવીને જીત મેળવી હતી. આ જીતથી AAPને થોડી રાહત મળી હતી પરંતુ સૌરાષ્ટ્રમાં તેમનું રાજકારણ હજુ પણ ઈટાલિયાના વ્યક્તિગત પ્રયાસો પર આધારિત છે.

ગોપાલ ઈટાલિયા પૂર્વ પોલીસ કર્મચારી અને વકીલ છે. AAPના ગુજરાત પ્રદેશના પૂર્વ અધ્યક્ષ રહી ચૂક્યા છે. હાલ તેઓ પાર્ટીના રાષ્ટ્રીય સંયુક્ત સચિવ છે. તે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર ખૂબ સક્રિય છે જ્યાં તે ભાજપ સરકારના ભ્રષ્ટાચાર અને વહીવટી નિષ્ફળતાઓને ઉજાગર કરે છે. તેઓ અધિકારીઓની ગેરવર્તણૂક અને સામાન્ય જનતાની સમસ્યાઓ વિશે પણ વાત કરે છે. ઈટાલિયાની સોશિયલ મીડિયા પ્રવૃત્તિઓથી પાર્ટીની નોંધ તો જાળવાઈ રહે છે પરંતુ ગુજરાતના મતદારોને પ્રભાવિત કરવા માટે તે પૂરતી નથી. ગુજરાતની રાજકીય તાસીર એવી છે કે સભાઓ કે સોશિયલ મીડિયા કેમ્પેઈનથી મતદારો ઢળતા નથી. અહીં મજબૂત સંગઠન અને સ્થાનિક મુદ્દાઓ પર આધારિત કામગીરી કરવી પડે છે.

11 ફેબ્રુઆરી 2026ના રોજ AAPના ખેડૂત સંગઠનના રાજ્ય અધ્યક્ષ રાજુ કરપડાએ રાજીનામું આપ્યું છે. તેમણે ગોપાલ ઈટાલિયા પર આરોપ મૂક્યો કે જેલમાં તેમને મદદ ન કરી અને હવે તેઓ ભાજપમાં જોડાઈ શકે છે. આ ઘટના સૌરાષ્ટ્રમાં AAP માટે મોટો ફટકો છે કારણ કે કરપડા ત્યાંના મુખ્ય નેતા હતા. આ પ્રકારના આંતરિક વિવાદ અને નેતાઓના વિખવાદથી પાર્ટીની પકડ વધુ ઢીલી પડી રહી છે.
જો વર્તમાન સ્થિતિ ચાલુ રહેશે તો ગુજરાતમાં AAPનું અસ્તિત્વ જોખમમાં મુકાઈ શકે છે. કોંગ્રેસ પણ અહીં નબળી પડી છે પરંતુ AAP તેનાથી પણ વધુ નબળી સ્થિતિમાં આવી શકે છે. પાર્ટીને સફળતા માટે મજબૂત સ્થાનિક નેતૃત્વ, આંતરિક એકતા અને જમીની કામગીરીની જરૂર છે. ગોપાલ ઈટાલિયા જેવા નેતાઓના પ્રયાસો સારા છે પરંતુ તેને વ્યાપક સમર્થન નથી. આવનારી સ્થાનિકસ્વરાજ અને વિધાનસભા ચૂંટણીઓમાં AAP કેવું પ્રદર્શન કરશે તે જોવું રહ્યું. જો તેઓ સમયવર્તે સાવધાની નહીં દાખવે તો પાર્ટીનું ગુજરાતમાં અસ્તિત્વ પૂર્ણતાના આરે આવી શકે છે.

