- Opinion
- દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
(ઉત્કર્ષ પટેલ)
ભારતીય સંસ્કૃતિ અને રાજકારણમાં અયોધ્યાધામ એક અડગ આસ્થાનું કેન્દ્ર રહ્યું છે. પ્રભુ શ્રી રામની જન્મભૂમિ તરીકે જાણીતી આ નગરી માત્ર ધાર્મિક આસ્થાનું કેન્દ્ર નથી પરંતુ તે ધર્મ અને દેશની સેવાની ભાવનાને જોડતો સેતુ પણ છે. શ્રી રામ જન્મભૂમિ આંદોલને આને ચરિતાર્થ કર્યું છે જેમાં લાખો ભક્તોએ સંઘર્ષ કરીને રાષ્ટ્રીય એકતા અને સેવાની ભાવના જગાડી. આ આંદોલને પુરવાર કર્યું છે કે ધર્મ માત્ર વ્યક્તિગત આસ્થા નથી પરંતુ તે રાષ્ટ્રીય પુનરુત્થાનનું માધ્યમ પણ બની શકે છે. જ્યારે લોકો પ્રભુ રામની શરણમાં આવે છે ત્યારે તેમનો ઉદ્ધાર થાય છે આ વાત રાજકારણીઓએ સ્વીકારવી રહી કારણ કે અયોધ્યાધામ તેનું જીવંત ઉદાહરણ છે.

શ્રી રામ જન્મભૂમિ આંદોલનની ભૂમિકા ભારતીય રાજકારણમાં ક્રાંતિકારી રહી છે. 1980ના દાયકામાં શરૂ થયેલ આ આંદોલને હિન્દુ સમાજમાં વૈશ્વિક જાગૃતિ લાવી અને તેને રાષ્ટ્રીય મુદ્દા તરીકે લેવામાં આવ્યું. આ આંદોલને દેશના રાજકીય પક્ષ ભાજપને મજબૂત આધાર આપ્યો જેણે ધર્મને કેન્દ્રમાં રાખ્યું.

ભાજપે આને રાષ્ટ્રીય સેવાના ભાવ સાથે જોડીને વિકાસ અને સાંસ્કૃતિક પુનરુત્થાનનું વચન આપ્યું. પરિણામે PM નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં 2014 અને 2019ની લોકસભા ચૂંટણીઓમાં ભાજપને અભૂતપૂર્વ સફળતા મળી જેમાં શ્રી રામ મંદિરનું વચન મુખ્ય ભૂમિકા ભજવી ગયું. આ આંદોલને ભાજપને મજબૂત જીત અપાવી જેમાં ધાર્મિક રાષ્ટ્રવાદ અને વિકાસનું મિશ્રણ હતું.

બીજી તરફ જોઈએ તો કોંગ્રેસ અને અન્ય વિરોધી પક્ષોની નિષ્ફળતા આ આંદોલનમાં તેમની અસ્પષ્ટ ભૂમિકા જવાબદાર ઠરે છે. કોંગ્રેસે દાયકાઓથી અયોધ્યાધામ શ્રી રામ મંદિર મુદ્દાને અવગણ્યો અથવા વિરોધ કર્યો જેને તેઓ સાંપ્રદાયિક મુદ્દો માનતા હતા. આ વલણથી તેઓ દેશના હિન્દુ બહુમતીની મતદારોની ભાવનાઓથી અલગ થયા અને તેમની રાજકીય પકડ ઢીલી પડી.

કોંગ્રેસની આ અનિર્ણયાત્મકતા તેમની મૂળભૂત નિષ્ફળતા સાબિત થઈ છે જેણે તેમને રાષ્ટ્રીય સ્તરે નિષ્ફળ અને સત્તાવિહોણા બનાવ્યા. અન્ય પક્ષો પણ આ મુદ્દાને નરોવકુંજરોવા કરીને અથવા વિરોધી વલણ અપનાવતા પરિણામે ચૂંટણીઓમાં પરાજય પામ્યા. આની સામે ભાજપે ધર્મને રાજકારણના માધ્યમથી સેવાના અવકાશ સાથે જોડ્યું જેમાં અયોધ્યાધામ મંદિરનું નિર્માણ રાષ્ટ્રીય ગૌરવનું પ્રતીક બન્યું.

અયોધ્યાધામ આજે ધર્મ અને દેશ સેવાની પ્રેરણા બન્યું છે તે બતાવે છે કે જ્યારે રાજકારણ ધાર્મિક ભાવના સાથે જોડાય છે ત્યારે તે રાષ્ટ્રને મજબૂત બનાવે છે. કોંગ્રેસની જેમ ધાર્મિક લાગણીઓની અવગણના નિષ્ફળતા લાવે છે. એટલે આજના અમૃતકાળમાં આખરે તો પ્રભુ રામની શરણમાં જ ઉદ્ધાર છે આ વાત દરેક રાજકીય પક્ષોના રાજકારણીઓને સ્વીકારવી રહી.
(લેખક એક પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ, સમાજસેવક અને khabarchhe.comના સંસ્થાપક છે.)

