- Opinion
- ગુજરાતના કેટલાક ઉદ્યોગપતિઓ રોજ નવી રીલ બનાવી પોતાની જાહોજલાલી વાહવાહીનું સોશિયલ મીડિયા PR કેમ કરતા હ...
ગુજરાતના કેટલાક ઉદ્યોગપતિઓ રોજ નવી રીલ બનાવી પોતાની જાહોજલાલી વાહવાહીનું સોશિયલ મીડિયા PR કેમ કરતા હશે?
પરિશ્રમ પછી સફળતા મળે છે તે સત્ય છે પરંતુ મળેલી સફળતાને પચાવવી અને તેના વૈભવને સુખથી માણવું તે પણ એટલું જ મહત્ત્વનું છે. આજના યુગમાં સુરત અમદાવાદ વડોદરા રાજકોટ મોરબી જેવા શહેરોમાં વસવાટ કરતા મોટા ઉદ્યોગપતિઓ પોતાના વ્યવસાયિક સફળતા પછીના જીવનને માત્ર માણવા સુધી મર્યાદિત રાખતા નથી. તેઓ તેને સોશિયલ મીડિયા પર રોજના વીડિયો, રીલ્સ, પોડકાસ્ટ અને પ્રદર્શની રૂપે પોસ્ટ કરી રહ્યા છે. વૈભવી ઘરો, મોંઘીદાટ ગાડીઓ, વિદેશમાં વેકેશન અને જ્ઞાનની વાતોના નામે આ પ્રકારનું સતત પ્રદર્શન કરવું તેમને અત્યંત પ્રિય બની ગયું છે. પરંતુ આ વલણ વાસ્તવમાં આવશ્યક છે કે માત્ર વ્યક્તિગત અહંકારની તૃપ્તિ?

સફળતા પ્રાપ્ત કર્યા પછી તેને સમાજ સાથે વહેંચવી જરૂરી છે પરંતુ તેનો અર્થ એ નથી કે વ્યક્તિગત વૈભવ અને જીવનશૈલીને રોજરોજ કેમેરા સામે રજૂ કરવી. આ પ્રકારના પ્રદર્શનથી ઉદ્યોગપતિઓને ક્ષણિક વાહવાહી અને પ્રસાર મળે છે પરંતુ તેની લાંબા ગાળાની અસર યુવા પેઢી પર શું પડે છે? યુવાનોને પરિશ્રમ અને મહેનતની પ્રેરણા મળવી જોઈએ પરંતુ જો સોશિયલ મીડિયા પર માત્ર વૈભવી જીવનના દૃશ્યો જ દેખાય તો તેઓ સફળતાના માર્ગને નહીં પણ મોજમજા અને લક્ઝરીને જ પ્રાથમિકતા આપે. પરિણામે યુવા વર્ગમાં ટૂંકા રસ્તે સફળતા મેળવવાની અને તેનો વાહવાહી માટે પ્રદર્શન કરવાની વૃત્તિ વિકસે છે. આ માર્ગદર્શન નથી પરંતુ માત્ર ભ્રમણા છે.
વાસ્તવમાં આવું પ્રદર્શન કરવાની શી જરૂર છે? પોતાના વ્યવસાય અને સેવાકાર્યોને પ્રોત્સાહન આપવા માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ તો કરી શકાય પરંતુ તેને વ્યક્તિગત જાહોજલાલીના પ્રદર્શન માધ્યમમાં ફેરવી દેવું તે અનાવશ્યક છે. સમાજમાં ઘણા એવા ઉદ્યોગપતિઓ પણ છે જેઓ પોતાની સફળતાને નિ:શબ્દ રીતે માણે છે અને તેના દ્વારા અનેકને માર્ગદર્શન આપે છે. તેઓ જાણે છે કે સાચી પ્રેરણા વાતોથી નહીં પરંતુ કાર્યોથી આપી શકાય છે. આજના સમયમાં જ્યારે યુવાનો આર્થિક અસ્થિરતા અને પરિશ્રમના મૂલ્યને સમજવા માટે સંઘર્ષ કરી રહ્યા છે ત્યારે આવું વૈભવી પ્રદર્શન તેમને નિરાશ કરે છે અને ખોટી પ્રેરણા આપે છે.

સફળતા એ વ્યક્તિગત સંતોષની વાત છે. તેને સોશિયલ મીડિયાના લાઈક અને કોમેન્ટ્સ માટે ફેલાવવાની જરૂર નથી. જો ઉદ્યોગપતિઓ ખરેખર યુવા પેઢીને પ્રેરિત કરવા માંગે છે તો તેઓ પોતાના પરિશ્રમ, અસફળતાઓ અને સેવાકાર્યોની વાતો કરે. વૈભવી જીવનનું પ્રદર્શન નહીં પરંતુ વાસ્તવિક મૂલ્યોનું માર્ગદર્શન આપે. આ રીતે જ સમાજમાં સાચી પ્રેરણા ફેલાશે અને સફળતા પચાવવાની કળા પણ વિકસશે. આ વિચાર વર્તમાન સમયનો મુખ્ય પ્રશ્ન છે... શું વાહવાહી માટે વૈભવી જીવનશૈલી નો વારંવાર પ્રચાર કરવો જરૂરી છે કે સાચી સફળતા સરળ સાહજિક રીતે જીવવામાં છે?

