- Politics
- PAASના બળે ચૂંટણી જીતતું AAP હવે ના-પાસ થવા લાગ્યું
PAASના બળે ચૂંટણી જીતતું AAP હવે ના-પાસ થવા લાગ્યું
ગુજરાતના વિપક્ષ કોંગ્રેસ નબળું પડતા આમ આદમી પાર્ટી (AAP)એ આશા જગાવી હતી. લોકોને થયું કે હવે તેમની વાત સરકાર સુધી પહોંચશે. આની શરૂઆત વર્ષ 2021ની સુરત મહાનગરપાલિકાની ચૂંટણીથી થઇ. અને જો વધુ ચોકસાઇથી કહીએ તો સુરતના વરાછા વિસ્તારથી થઇ. વરાછા વિસ્તારમાં પાટીદારોનું પ્રભુત્વ છે. પાટીદાર અનામત આંદોલન સમિતિ (PAAS) ત્યારે પણ સક્રિય હતી. તેના નેતાઓ અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયાના સમર્થનથી કુલ 120માંથી 27 બેઠકો જીતીને આખા દેશમાં ચર્યા જગાવી હતી. પાર્ટીને તો એવી આશા ઊભી થઇ કે તે વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણીમાં પણ સારૂં પ્રદર્શન કરશે. તે થયું પણ ખરૂં અને 5 ધારાસભ્યો જીતીને આવ્યા. પછી પેટા ચૂંટણીમાં ગોપાલ ઇટાલિયા પણ જીત્યા. પરંતુ હવે લાગે છે કે પાર્ટીના વળતા પાણી છે.
હાલમાં જ વિસાવદરના મોટા ખેડૂત નેતા રાજુ કરપડા કે જેમના સહારે બોટાદમાં પાર્ટીએ મોટું ખેડૂત આંદોલન કર્યું હતું તેમણે પાર્ટી છોડી દીધી છે. તેમણે ગોપાલ ઇટાલિયા પણ આરોપ લગાવ્યો છે કે તેઓ આંદોલન પછી જેલમાં હતા ત્યારે કોઇ સપોર્ટ કરતા ન હતા. આ પહેલા પણ પાસના મોટા નેતા અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયા પણ પાર્ટી છોડી ચૂક્યા છે. જેમને ચીફ મિનિસ્ટર પદના દાવેદાર ગણાતા હતા તેવા મોટા પાટીદાર સમાજસેવી મહેશ સવાણી છેડો ફાડી ચૂક્યા છે. આ ઉપરાંત ભૂપત ભાયાણી અને અર્જુન રાઠવા સહિત 30થી 35 સબળ ગણાતા નેતાઓ આપને રામ-રામ કરી ચૂક્યા છે.

હવે ચૂંટાયેલા પ્રતિનિધિઓની વાત કરીએ તો સૂરતમાં 27માંથી 5 તો વર્ષ 2022માં જ રાજીનામુ આપી ચૂક્યા અને પછી બીજા 6 વર્ષ 2023માં પાર્ટી છોડી ગયા. આમ કોર્પોરેટરોએ રાજીનામુ આપવાનો આંકડો 10થી વધુ થઇ ગયો. આમ કુલ 50 જેટલા નેતાઓને પાર્ટીએ નિરાશ કર્યા છે. આ નેતાઓમાંથી મોટાભાગના નેતાઓ પાટીદાર છે. આમ, પાટીદારોને ખભા ઉપર ચૂંટણી જીતતું આપ હવે ધીરે ધીરે પોતાની ચમક ગુમાવી રહ્યું છે.
અગાઉ પણ આપની ટીકાએ બાબતમાં થતી હતી કે તે માત્ર સોશિયલ મીડિયા પર જ અસ્તિત્વ ધરાવે છે. તેની પાસે મજબૂત સંગઠન નથી. પરંતુ હવે તે સાબિત થઇ રહ્યું હોય તેમ લાગે છે. પાસના તાકાતથી ચૂંટણીઓ જીતી તો લીધી જ પરંતુ નેતાઓએ પાર્ટી છોડવા લાગતા હકીકત બહાર આવી ગઇ.

આમ આદમી પાર્ટીએ પોતાનું કામ 5 વર્ષ પહેલા શરૂ કર્યું. ગુજરાતમાં 5 ધારાસભ્યો જીત્યા પછી તે નેશનલ પાર્ટી તરીકેનો દાવો કરવા લાગી. પરંતુ ધીરે ધીરે હવે કબાટમાંથી કંકાલો બહાર આવી રહ્યા છે. નેતાઓ પાર્ટી છોડી રહ્યા છે. જો આપણે પાર્ટીનો દિલ્હીનો ઇતિહાસ જોઇએ તો ત્યાં પણ એવું જ થયું હતું. જ્યારે પાર્ટી બની ત્યારે કુમાર વિશ્વાસ, આશુતોષ સહિતના ખૂબ મોટા નામો પાર્ટીના આદર્શવાદથી અંજાઇને જોડાયા હતા. પાર્ટીએ દિલ્હીમાં શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે સારૂં કામ પણ કર્યું. પરંતુ ધીરે ધીરે તે ચોક્કસ લોકોના સંકજામાં આવી ગઇ. બીજા નેતાઓને લાગવા માંડ્યું કે આદર્શવાદ તો માત્ર લોકોને બતાવવા પૂરતો જ છે. ખરેખર તો અંદર પોલમપોલ જ છે. પાર્ટીની કોઇ ઠોસ વિચારધારા નથી. ગુજરાતમાં પણ કંઇક આવું જ બની રહ્યું છે. આગામી વર્ષ 2027ની ચૂંટણી સુધી ગોપાલ ઇટાલિયા હોય કે ચૈતર વસાવા હોય કે પછી ઇસુદાન ગઢવી હોય. આ બધા લોકો પાર્ટીમાં રહેશે કે નહીં તે કોઇ ચોક્કસ રીતે કહી શકતું નથી.

