- Politics
- શું રાઘવ ચઢ્ઢા એન્ડ પાર્ટી AAP છોડીને ભેરવાઇ જશે?
શું રાઘવ ચઢ્ઢા એન્ડ પાર્ટી AAP છોડીને ભેરવાઇ જશે?
ભારતની સંસદીય લોકશાહીમાં દળબદલીનો પ્રશ્ન હંમેશાથી સંવેદનશીલ રહ્યો છે. મતદાતાઓ જે મેંડેટ આપે છે, તે વ્યક્તિગત નેતાઓ માટે નથી—તે વિચારધારા અને પક્ષ માટે હોય છે. આવા સમયે જો રાજ્યસભામાંથી કેટલાક સાંસદો સામૂહિક રીતે પક્ષ છોડે અથવા “મર્જર”નો દાવો કરે, તો પ્રશ્ન માત્ર કાયદાનો નહીં, પરંતુ લોકશાહી નૈતિકતાનો પણ બની જાય છે.
કલ્પના કરીએ કે રાજ્યસભાના સભ્યો—રાઘવ ચઢ્ઢા, સંદીપ પાઠક, સ્વાતિ માલીવાલ, હજભજનસિંહ, સંદીપ પાઠક, અશોક મિત્તલ, રાજિન્દર ગુપ્તા, વિક્રમજિતસિંહ સાહનીએ આમ આદમી પાર્ટી છોડી છે તેવી જાણકારી બહાર આવી રહી છે. જેમાં સ્વાતિ માલીવાલ દિલ્હીથી રાજ્યસભામાં ગયા છે અને બાકીના પંજાબથી ગયા છે. આ બધામાં રાઘવ ચઢ્ઢા, સંદીપ પાઠક, અશોક મિત્તલ અને સ્વાતિ માલીવાલે ભાજપમાં જોડાવાની જાહેરાત કરી દીધી છે. બાકીનાએ નથી જોડાવાના એવી કોઇ જાહેરાત કરી નથી. એટલે તે લોકો પણ જોડાઇ જશે તેવું માની શકાય છે. હવે તેઓ એકસાથે મળી કોઈ અન્ય પક્ષમાં જોડાવાનો દાવો કરે—તો શું તે “દળબદલ” ગણાશે કે “મર્જર”? તેમનું રાજ્યસભાનું સભ્યપદ રહેશે કે રદ થશે?
બંધારણ શું કહે છે?
ભારતના બંધારણની 10મી અનુસૂચિ અનુસાર, જો કોઈ પક્ષના ઓછામાં ઓછા 2/3 સભ્યો બીજી પાર્ટીમાં મર્જ થવા માટે સંમત થાય, તો તેમને દળબદલીના કાયદા હેઠળ અયોગ્ય ઠરાવવામાં આવતા નથી. આ જ પ્રાવધાનનો ઉપયોગ કરીને અનેક વખત રાજકીય નેતાઓએ પોતાનું સભ્યપદ બચાવી ચૂક્યા છે.
પરંતુ અહીં એક ખૂબો ઝીણો પરંતુ મહત્વપૂર્ણ મુદ્દો છે—આપણે સંવિધાનના અંગ્રેજી વર્ઝનને માન્ય રાખીએ છીએ. તેમાં લખાયું છે કે “Original Political Party has merged”.એટલે કે મર્જર પાર્ટી સ્તરે થવું જોઈએ. જો પાર્ટીનું મર્જર ન થયું હોય તો માત્ર સભ્યો મર્જર કરી ન શકે. જાણીતા વકીલ અને બંધારણના જાણકાર કપિલ સિબ્બલે પણ દાવો કર્યો છે કે પાર્ટી મર્જર કરે તો જ સભ્યોનું સભ્યપદ જળવાઇ રહે. એકવાર પાર્ટી મર્જર કરે ત્યારબાદ સભ્યોને જે પાર્ટીમાં જવું હોય ત્યાં જઇ શકે. તેમનું સભ્યપદ જતું નથી. બીજી પાર્ટીમાં જનારાનું સભ્યપદ પણ રહે છે. આમ આ તો થઇ બંધારણીય સ્થિતિ. પરંતુ હકીકત કંઇક જુદી જ છે.

પ્રેક્ટિકલ રાજકારણમાં મર્જરનો દાવો સાંસદો અથવા વિધાનસભ્યો દ્વારા જ કરવામાં આવે છે. પાર્ટીઓ ભાગ્યે જ મર્જરનો દાવો કરતી હોય છે. આમાં
આજની રાજનીતિમાં “2/3” માત્ર એક આંકડો નથી—તે એક સ્ટ્રેટેજી બની ગયો છે. એકવાર 2/3 સંખ્યા મેળવી લેવામાં આવે, પછી “મર્જર” જાહેર કરી દેવામાં આવે છે.
સામાન્ય રીતે દલબદલની પ્રક્રિયા આ મુજબ હોય છે. કોઇપણ પક્ષના 66 ચૂંટાયેલા સભ્યો સ્પીકર કે સભાપતિ પાસે યાદી લઇને જાય છે. પહેલા સભાપતિ નક્કી કરે છે કે શું 66 ટકા સભ્યો બીજી પાર્ટીમાં જોડાવા માગે છે કે નહીં. જો તેમ હોય તો સ્વીકારી લેવાય છે. દલબદલ સ્વીકારી લેવાય છે. કારણ કે દળબદલમાં વિપક્ષી સભ્યો સત્તાપક્ષ તરફ જાય છે. સ્પીકર કે સભાપતિ સત્તાપક્ષનો જ હોય છે. એટલે તે સ્વીકારી પણ લે છે. આપણે તે મહારાષ્ટ્રમાં શિવસેના તૂટી ત્યારે જોયું હતું. એકનાથ શિંદેએ શિવસેનાને તોડી હતી.

હવે વિપક્ષ પાસે વિકલ્પ એ હોય છે કે તે કોર્ટમાં જાય. કોર્ટ તો બંધારણ મુજબ જ અર્થઘટન કરતું હોય છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે કોર્ટમાં કેસ એટલો લાંબો ચાલતો હોય છે કે સભ્યોનો સમયકાળ પૂરો થઇ જાય છે. રાઘવ ચઢ્ઢા એન્ડ પાર્ટી 2028 સુધી સભ્ય રહેશે. માત્ર સ્વાતિ માલીવાલ 2030 સુધી રહેશે. આમ જો આમ આદમી પાર્ટી કોર્ટમાં જાય તો પણ તે કેસ એટલો લાંબો ચાલશે કે તેમનો કાર્યકાળ પૂરો થઇ જશે. જો કોર્ટ ઝડપથી નિર્ણય આપે તો કદાચ તેઓ ભેરવાઇ જાય. પરંતુ એવી શક્યતા હાલ તો દેખાતી નથી.
જોકે અહીં સવાલ નૈતિકતાનો છે જે હાલની રાજનીતિમાં લુપ્ત થતી જતી વસ્તુ છે. આ પ્રકારના “ટેકનિકલ મર્જર” લોકશાહીમાં વિશ્વાસને કમજોર કરે છે. મતદાતાઓએ એક પક્ષને મત આપ્યો હોય અને પછી તેમના પ્રતિનિધિઓ કોઈ અન્ય પક્ષમાં જઈને સત્તા સંતુલન બદલે—તો તે જનમંડેટ સાથેનો વિશ્વાસઘાત ગણાય.

