- Politics
- જયરામ રમેશે રાજનાથ સિંહને સરદાર પટેલની દીકરીની ડાયરી કેમ આપી? બોલ્યા- ‘જરૂર વાંચજો..’
જયરામ રમેશે રાજનાથ સિંહને સરદાર પટેલની દીકરીની ડાયરી કેમ આપી? બોલ્યા- ‘જરૂર વાંચજો..’
ગુરુવાર, 11 ડિસેમ્બરના રોજ રક્ષા મંત્રી રાજનાથ સિંહ સંસદ ભવનના પરિસરમાં તેમની કારમાંથી બહાર નીકળ્યા જ હતા કે જયરામ રમેશ બેગ લઈને તેમની પાસે આવી પહોંચ્યા. જયરામ રાજ્યસભાના સાંસદ છે અને કોંગ્રેસના કમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટના પ્રભારી મહાસચિવ છે. જયરામને જોતા જ રાજનાથ સિંહ અટકી ગયા. જયરામે તેમની બેગમાંથી કેટલાક સ્ટેપલ પાનાં કાઢ્યા અને રાજનાથ સિંહને કહ્યું- ‘હું મણિબેન પટેલની ડાયરી લાવ્યો છું.’ રક્ષા મંત્રીએ કાગળ લેવા માટે હાથ લંબાવ્યો ત્યારે જયરામે કહ્યું કે, ‘ગુજરાતીમાં છે.’ રાજનાથે જવાબ આપ્યો, ‘તે ગુજરાતીમાં છે, અમારી પાસે અંગ્રેજીમાં છે.’
આટલું કહીને રાજનાથ પાનાં લીધા વિના જવા લાગ્યા. ત્યારે જયરામે કહેવું પડ્યું- ‘આ તમે રાખી લો.’ રાજનાથે મણિબેન પટેલની ડાયરીની ફોટોકોપી ઉદારતાથી સ્વીકારી લીધી. પરંતુ જ્યારે તેઓ તેને લઈને અંદર જઇ રહ્યા હતા પાછળથી જયરામે કહ્યું- ‘અને વંચાજો પ્લીઝ.’ મણિબેન પટેલ દેશના પ્રથમ ગૃહમંત્રી વલ્લભભાઈ પટેલના પુત્રી હતા. તેમણે તેમના પિતાની રાજકીય સફર એક ડાયરીમાં નોંધી હતી, જે પછીથી પ્રકાશિત થઈ હતી. આ પુસ્તકનું નામ છે- ‘ઇનસાઇડ સ્ટોરી ઓફ સરદાર પટેલ: ધ ડાયરી ઓફ મણિબેન પટેલ.’
https://twitter.com/Jairam_Ramesh/status/1997199415069888578?s=20
જયરામે મણિબેનની ડાયરી રાજનાથ સિંહને કેમ આપી?
આ વિવાદ 2 ડિસેમ્બરે શરૂ થયો હતો. રાજનાથ સિંહ વડોદરાના એક ગામમાં એક સભાને સંબોધિત કરી રહ્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યું કે, ‘દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુ સરકારી પૈસાથી બાબરી મસ્જિદ બનાવવા માગતા હતા. સરદાર વલ્લભભાઈ પટેલે આનો વિરોધ કર્યો અને નેહરુને આમ કરતા રોકી દીધા. વાત જવાહરલાલ નેહરુની છબીની હતી, ત્યારે કોંગ્રેસે તરત જ જવાબદારી સંભાળી. કોંગ્રેસે રાજનાથ સિંહના દાવાને ‘જૂઠાણું અને વોટ્સએપ યુનિવર્સિટીની કહાની’ ગણાવી અને કહ્યું કે રક્ષા મંત્રીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગે ન ચાલવું જોઈએ.
તો, ભાજપે વલ્લભભાઈ પટેલની પુત્રી દ્વારા લખાયેલ પુસ્તકનો ઉલ્લેખ કરીને રાજનાથ સિંહના દાવાઓનો બચાવ કર્યો હતો. ભાજપના રાજ્યસભા સાંસદ અને રાષ્ટ્રીય પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીએ પાર્ટી મુખ્યાલયમાં એક પત્રકાર પરિષદ દરમિયાન જણાવ્યું હતું કે રાજનાથ સિંહે જે કહ્યું તે ‘ઇનસાઇડ સ્ટોરી ઓફ સરદાર પટેલ: ડાયરી ઓફ મણિબેન પટેલ’ પર આધારિત હતું. મીડિયાના પ્રશ્નોના જવાબ આપતા સુધાંશુએ આ નિવેદન આપ્યું હતું.
ત્યારબાદ કોંગ્રેસે 6 ડિસેમ્બરે મણિબેન પટેલના પુસ્તકમાંથી કેટલાક પાનાં શેર કર્યા, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે રાજનાથ સિંહ જૂઠાણું ફેલાવી રહ્યા છે અને તેમણે માફી માંગવી જોઈએ. જયરામ રમેશે આરોપ લગાવ્યો કે રક્ષા મંત્રી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેના તેમના સંબંધો સુધારવા માટે આ જુઠ્ઠાણા ફેલાવી રહ્યા છે.
તેમણે X પર લખ્યું કે, CA આર.એસ પટેલ ‘આરેશ’ દ્વારા લખાયેલ અને સરદાર પટેલ વલ્લભભાઈ પટેલ મેમોરિયલ સોસાયટી દ્વારા પ્રકાશિત પુસ્તક ‘સમર્પિત પડછાયો સરદારનો’ જુઓ. તેના પાનાં નંબર 212-213 પર ગુજરાતીમાં લખેલી મણિબેનની મૂળ ડાયરીની એન્ટ્રી આપવામાં આવી છે. મૂળ ડાયરીમાં જે લખ્યું છે અને રાજનાથ સિંહ અને તેમના સહયોગીઓ જે ફેલાવી રહ્યા છે તેમાં ખૂબ મોટું અંતર છે. રક્ષા મંત્રીએ એ ખોટી વાતો માટે માફી માંગવી જોઇયે, જે ફક્ત વડાપ્રધાન સાથેના સંબંધો સારા કરવા માટે ફેલાવી રહ્યા છે. જયરામ રમેશ રાજનાથ સિંહ માટે આ જ ડાયરીના પાનાં લઈ આવ્યા હતા.

