- Politics
- કોંગ્રેસ ઉમેદવાર મીનાક્ષી નટરાજનને 'સુપ્રીમ'નો ઝટકો, કોર્ટે કહ્યું- અમે ચૂંટણી પ્રક્રિયામાં દખલગીરી
કોંગ્રેસ ઉમેદવાર મીનાક્ષી નટરાજનને 'સુપ્રીમ'નો ઝટકો, કોર્ટે કહ્યું- અમે ચૂંટણી પ્રક્રિયામાં દખલગીરી ન કરી શકીએ
રાજ્યસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ નેતા મીનાક્ષી નટરાજનને સુપ્રીમ કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે શુક્રવારે આ મામલે સુનાવણી કરતા મીનાક્ષી નટરાજનની અરજીને ફગાવી દીધી છે અને સ્પષ્ટ કર્યું છે કે અદાલત ચૂંટણી પ્રક્રિયામાં દખલ ન કરી શકે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે, એકવાર ચૂંટણી પ્રક્રિયા શરૂ થઈ ગયા પછી ન્યાયિક હસ્તક્ષેપની મર્યાદાઓ નક્કી હોય છે અને આ તબક્કે કોર્ટ દરમિયાનગીરી કરી શકે નહીં. સુપ્રીમ કોર્ટના આ ચુકાદાથી ચૂંટણી પ્રક્રિયા ચાલુ રાખવાનો માર્ગ સાફ થઈ ગયો છે.
સુપ્રીમ કોર્ટે આદેશ સંભળાવતા કહ્યું કે અમે તમામ દલીલો પર ધ્યાન આપ્યું છે. અરજીકર્તા તરફથી જણાવવામાં આવ્યું હતું કે, રિટર્નિંગ ઓફિસરે એવો આદેશ આપ્યો છે કે અરજીકર્તાએ અધૂરું ફોર્મ ભર્યું છે અને પોતાની સામે ચાલી રહેલા ફરિયાદ કેસની વિગતો આપી નથી. આદેશમાં એવું પણ કહેવાયું છે કે અરજીકર્તાએ આ મામલે લેખિત દલીલો રજૂ કરી હતી, તેથી તેમને કેસની પૂરી જાણકારી હતી.
અરજીકર્તાએ ROના આદેશ વિરુદ્ધ ચૂંટણી પંચનો સંપર્ક કર્યો હતો. પરંતુ લેખિત અરજી આપવા છતાં અને 10 જૂનના રોજ સમગ્ર ચૂંટણી પંચ સમક્ષ રૂબરૂ હાજર રહીને દલીલો રજૂ કરવા છતાં પંચ દ્વારા કોઈ આદેશ પસાર કરવામાં આવ્યો નહોતો.
અરજીકર્તા તરફથી શરૂઆતમાં જ કહેવામાં આવ્યું હતું કે બંધારણની કલમ 329(b) હેઠળનો પ્રતિબંધ અહીં લાગુ પડતો નથી, કારણ કે તેઓ ચૂંટણી પ્રક્રિયાને નિષ્પક્ષ અને પારદર્શી રીતે પૂરી કરાવવા માંગે છે. અરજી કરવાનો હેતુ ચૂંટણીમાં અવરોધ ઊભો કરવાનો નથી. આ કેસમાં પીપલ્સ રિપ્રેઝન્ટેશન એક્ટની કલમ 33A નો પણ ઉલ્લેખ કરાયો છે, જે અંતર્ગત કાયદામાં એવા પડતર કેસની માહિતી આપવી જરૂરી છે જેમાં 2 વર્ષથી વધુની સજાની જોગવાઈ હોય અને આરોપો નક્કી થઈ ચૂક્યા હોય. અરજીકર્તાની દલીલ હતી કે આ કેસમાં હજુ આરોપો નક્કી થવાના બાકી છે અને કોર્ટે તેની નોંધ પણ લીધી નથી, તેથી નામાંકન રદ કરવું એ સ્પષ્ટપણે ગેરકાનૂની અને મનસ્વી છે.
કોર્ટ સમક્ષ એમ. એસ. ગિલ (1975) અને અશોક કુમાર (2004) ના કેસોના આધારે એવી પણ દલીલ કરવામાં આવી હતી કે, બંધારણ ચૂંટણી સંબંધિત વિવાદો પર વિચાર કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ નથી લગાવતું, જ્યારે અરજીમાં માગવામાં આવેલી રાહત ચૂંટણીમાં અવરોધ ઊભો કરવા માટે નહીં પરંતુ તેને સુચારુ રીતે ચાલુ રાખવા માટે હોય.
બીજી તરફ, ચૂંટણી પંચ તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ દામા શેષાદ્રી નાયડુ, મુકુલ રોહતગી અને મધ્ય પ્રદેશ સરકાર વતી સોલિસિટર જનરલ (SG) તુષાર મહેતાએ આ અરજીની માંગણીઓનો વિરોધ કરવાની સાથે તે સુનાવણીને યોગ્ય ન હોવાની દલીલ કરી હતી.
તેમણે દલીલ કરી કે, ચૂંટણી લડવાનો અધિકાર એ એક વૈધાનિક અધિકાર છે અને ભારતના બંધારણની કલમ 32 હેઠળ આ અરજી દાખલ ન કરી શકાય કારણ કે કોઈ મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન થયું નથી. તેમણે સ્પષ્ટ કર્યું કે આ કાયદો સુસ્થાપિત છે કે જ્યારે ચૂંટણીમાં કોઈ પ્રસ્તાવિત ઉમેદવારનું નામાંકન ગમે તે આધાર પર રદ કરવામાં આવે, ત્યારે એકમાત્ર ઉપાય ચૂંટણી અરજી દાખલ કરવાનો જ રહે છે. હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટ કલમ 226 કે કલમ 32 હેઠળ આ તબક્કે આ બાબત પર વિચાર ન કરી શકે.
કોર્ટે જણાવ્યું કે ફોર્મ 26 હેઠળ માહિતી આપવાની જરૂરિયાત કાનૂની જોગવાઈ અને 'ચૂંટણી સંચાલન નિયમો 1961' ના નિયમ 4A હેઠળ દર્શાવવામાં આવી છે. આ નિયમ કહે છે કે ઉમેદવાર અથવા પ્રસ્તાવકે ઉમેદવાર દ્વારા સોગંદનામું (ફોર્મ 26 હેઠળ) પણ જમા કરાવવું પડશે. ફોર્મ ૨૬ માં અલગ-અલગ પ્રકારની માહિતી હોય છે જે ઉમેદવારે જાહેર કરવી અનિવાર્ય છે.
મધ્ય પ્રદેશમાં રાજ્યસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ માટે આ એક મોટો રાજકીય ફટકો છે. પાર્ટીના સત્તાવાર ઉમેદવાર મીનાક્ષી નટરાજનનું ફોર્મ ચકાસણી (સ્ક્રૂટની) દરમિયાન રદ કરવામાં આવ્યું હતું. આ સાથે જ રાજ્યની ત્રીજી રાજ્યસભા બેઠક માટેનો મુકાબલો હવે સમાપ્ત થઈ ગયો છે અને ભાજપના ઉમેદવાર મહેશ કેવટ બિનહરીફ ચૂંટાઈ આવે તે નક્કી થઈ ગયું છે.
ભાજપે કોંગ્રેસ ઉમેદવાર પર ચૂંટણી એફિડેવિટમાં ગુનાહિત કેસ છુપાવવાનો આરોપ લગાવ્યો હતો. તપાસમાં સામે આવ્યું કે તેમણે પોતાના સોગંદનામામાં એક અદાલતી ફરિયાદનો ઉલ્લેખ કર્યો નહોતો, જેના કારણે તેમનું ફોર્મ અધૂરું ગણીને રદ કરવામાં આવ્યું હતું. વિધાનસભાના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, ભાજપના ઉમેદવાર મહેશ કેવટે આ અંગે ચૂંટણી અધિકારી સમક્ષ ફરિયાદ નોંધાવી હતી, જેમાં આરોપ હતો કે નટરાજન દ્વારા તેલંગાણામાં તેમની સામે નોંધાયેલા એક કોર્ટ કેસની માહિતી જાણીજોઈને છુપાવવામાં આવી હતી.

