- Sports
- 1.36 લાખ કરોડની સંપત્તિના માલિક લગાવશે RCBની ટીમ પર બોલી
1.36 લાખ કરોડની સંપત્તિના માલિક લગાવશે RCBની ટીમ પર બોલી
પ્રખ્યાત ઉદ્યોગપતિ અદાર પૂનાવાલા IPL ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ખરીદી શકે છે. સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના CEOએ RCBમાં સ્પષ્ટપણે પોતાનો રસ દાખવ્યો છે. IPL 2025 બાદ RCBના વેચાણ અંગે અટકળો ચાલી રહી છે. હવે, અદાર પૂનાવાલાની સોશિયલ મીડિયા પોસ્ટથી સ્પષ્ટ થઈ ગયું છે કે, ‘IPLની સૌથી ચર્ચિત ટીમ વેંચાવા જઇ રહી છે.’ RCBએ વર્ષ 2025માં પહેલી વખત IPLની ટ્રોફી જીતી હતી. તેના થોડા દિવસો બાદ, સમાચાર આવ્યા કે RCB ટૂંક સમયમાં વેચાઈ શકે છે. હાલના સમયમાં ફ્રેન્ચાઇઝીની માલિકી દારૂ કંપની ડિયાજિયો પાસે છે.
શું અદાર પૂનાવાલા RCB ખરીદશે?
અદાર પૂનાવાલા RCBના માલિક બનવા માંગે છે. તેઓ આ અગાઉ પણ RCB ખરીદવાની ઇચ્છા વ્યક્ત કરી ચૂક્યા છે. 22 જાન્યુઆરીએ, તેમણે તેના માટે પોતાના ઇરાદા પણ વ્યક્ત કર્યા હતા. પૂનાવાલાએ X પર લખ્યું કે, ‘આગામી થોડા મહિનામાં હું IPLની સૌથી મજબૂત ટીમોમાંથી એક RCB માટે એક મજબૂત અને પ્રતિસ્પર્ધી બોલી લગાવવાનો છું.’
https://twitter.com/adarpoonawalla/status/2014318866147742087?s=20
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 17 વર્ષની લાંબી રાહ જોયા બાદ, 2025માં પહેલી વાર IPLની ટ્રોફી જીતી હતી. ત્યારબાદ, ફ્રેન્ચાઇઝ માલિકોએ તેને વેચવાનો નિર્ણય લીધો. ડિયાજિયો ટીમની મજબૂત ફેન ફોલોઇંગનો લાભ લેવા માંગે છે. RCBની પુરુષ અને મહિલા ટીમોએ ટ્રોફી જીત્યા બાદ, તેની ફેન ફોલોઇંગમાં જોરદાર વધારો થયો છે. ત્યારબાદ જ, ડિયાજિયો RCBમાં પોતાનો હિસ્સો વેચવાનો પ્રયાસ કરી રહી છે.
અહેવાલો અનુસાર, ડિયાજિયો 31 માર્ચ, 2026 સુધીમાં વેચાણ પ્રક્રિયા પૂર્ણ કરવા માંગે છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE)ને મોકલેલા પત્રમાં કંપનીએ જણાવ્યું હતું કે, તે રોયલ ચેલેન્જર્સ સ્પોર્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ (RCSPL)માં પોતાના રોકાણની સ્ટ્રેટેજીક સમીક્ષા કરી રહી છે. આ સમીક્ષા 31 માર્ચ સુધીમાં પૂર્ણ થવાની અપેક્ષા છે. RCSPL, યુનાઇટેડ સ્પિરિટ્સ લિમિટેડની સંપૂર્ણ માલિકીની છે, જે ડિયાજિયોની સહાયક યુનિટ છે.
IPL ટુર્નામેન્ટ 2008માં શરૂ થઈ હતી. ત્યારે, RCB બીજી સૌથી મોંઘી ટીમ હતી. તેને 111.6 મિલિયન ડોલરમાં ખરીદવામાં આવી હતી. ખેલાડીઓની વાત કરવામાં આવે તો, વિરાટ કોહલી ટીમનો સૌથી મોટો ચહેરો રહ્યો છે. તે RCB સાથે તેની પહેલી સીઝનથી જ જોડાયેલો છે.
તેણે લાંબા સમય સુધી ટીમનું નેતૃત્વ પણ કર્યું હતું. RCBમાં રહેતા વિરાટે ઘણા IPL રેકોર્ડ બનાવ્યા છે. તે IPLમાં સૌથી વધુ રન અને સદી ફટકારનારો ખેલાડી છે. ટીમ અને ખેલાડીનો સંબંધ કંઈક એવો થઈ ચૂક્યો છે કે RCBનો અર્થ વિરાટ કોહલી થઈ ગયો છે. કિંગ કોહલી ઘણી વખત કહી ચૂક્યો છે કે જ્યાં સુધી તે IPLમાં રહેશે ત્યાં સુધી તે માત્ર રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે જ રમશે.

