- Sports
- શું ચેન્નાઈ સુપર કિંગ્સ માટે પ્લેઓફના દરવાજા બંધ? જાણો હવે ટોપ 4-માં સ્થાન કેવી રીતે મળશે
શું ચેન્નાઈ સુપર કિંગ્સ માટે પ્લેઓફના દરવાજા બંધ? જાણો હવે ટોપ 4-માં સ્થાન કેવી રીતે મળશે
સળંગ ત્રણ હાર બાદ ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ની હાલત ખરાબ હતી, જેના કારણે કદાચ જ કોઇએ વિચાર્યું હશે કે ટીમ IPL 2026ના પ્લેઓફની દાવેદારી રજૂ કરશે. જોકે, રુતુરાજ ગાયકવાડની આગેવાની હેઠળની ટીમે જોરદાર વાપસી કરી અને રેસમાં પોતાની હાજરી મજબૂતીથી નોંધાવી હતી. છતા તાજેતરની હારથી તેને મોટો ઝટકો લાગ્યો છે, એવો ઝટકો કે જેનાથી ટીમ માટે પ્લેઓફનો રસ્તો હવે લગભગ બંધ થઇ ગયો છે. આનું કારણ એ છે કે તેમની આગામી મેચો માટે નિર્ધારિત બે ટીમો આ સીઝનની શરૂઆતમાં ચેન્નાઈને હરાવી ચૂકી છે.
15 મેના રોજ, ચેન્નાઈએ સીઝનની તેની 12મી મેચ લખનૌ સુપર જાયન્ટ્સ સામે રમી હતી, જે પ્લેઓફની રેસમાંથી પહેલાથી જ બહાર થઈ ગઈ હતી. તેમ છતા લખનૌએ શાનદાર પ્રદર્શન કર્યું અને ચેન્નાઈને 7 વિકેટથી હરાવી. આ મેચ પહેલા, ચેન્નાઈ 11 મેચમાંથી 12 પોઈન્ટ સાથે પાંચમા સ્થાને હતું; જોકે, આ હારથી તેમના નેટ રન રેટ પર અસર પડી, જેના કારણે તે ટેબલમાં વધુ નીચે સરકી ગઇ.
પ્લેઓફમાં પહોંચવું CSK માટે કેમ મુશ્કેલ બન્યું?
જો CSK આ મેચ જીતી હોત, તો ટીમ 14 પોઈન્ટ સાથે ચોથા સ્થાને પહોંચી શકી હોત, જેનાથી પ્લેઓફમાં જવાનો તેમનો માર્ગ ખૂબ સરળ બની ગયો હોત. જોકે, આ હારે તેને નુકસાન પહોંચાડ્યું છે. કારણ કે ટીમ પાસે હવે ફક્ત 2 મેચ બાકી છે. ચેન્નાાઈની આગામી મેચ 18 મેના રોજ સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) સામે છે, ત્યારબાદ 21 મેના રોજ ગુજરાત ટાઇટન્સ (GT) સામે તેની અંતિમ મેચ છે. CSKએ આ બંને મેચ કોઈપણ કિંમતે જીતવી જ પડશે; તેમ છતા પ્લેઓફમાં સ્થાન સુનિશ્ચિત થશે કે નહીં તે અંગે કહેવું મુશ્કેલ છે.
ચેન્નાાઈ માટે મુશ્કેલી એટલે પણ છે કારણ કે તે સીઝનની શરૂઆતમાં આ બંને ટીમો સામે રમી ચૂકી છે. હૈદરાબાદે તેને 10 રનથી હરાવી હતી, જ્યારે ગુજરાતે તેમને 8 વિકેટથી હરાવી હતી. આ બંને ટીમો હાલમાં શાનદાર ફોર્મમાં છે અને હાલમાં ટોપ-3માં છે. આ પરિસ્થિતિને જોતા ચેન્નાાઈ સામેનો પડકાર કોઈ પણ રીતે સરળ નથી. જોકે, SRH સામેની મેચ CSK માટે થોડી વધુ અનુકૂળ સાબિત થઈ શકે છે, કારણ કે તે તેમના હોમ ગ્રાઉન્ડ ચેપોક સ્ટેડિયમમાં રમાવાની છે. તેનાથી વિપરીત, GT સામે તેણે અમદાવાદમાં ટકરાવાનું છે અને આ મેદાનમાં ગુજરાતની ટીમને હરાવવી કદાચ સૌથી મુશ્કેલ કાર્ય છે.
તો પછી ટોપ 4-માં સ્થાન કેવી રીતે મળશે?
જો CSK તેની બાકીની બંને મેચ જીતી જાય છે, તો તેઓ 16 પોઈન્ટ સુધી પહોંચી જશે; આમ છતા રાજસ્થાન રોયલ્સ અને પંજાબ કિંગ્સ તેના માટે ખતરો છે. રાજસ્થાન પહેલાથી જ 11 મેચમાંથી 12 પોઈન્ટ હાંસલ કરી ચૂક્યું છે અને 3 મેચ રમવાની બાકી છે. ચેન્નાાઈ ઇચ્છશે કે રાજસ્થાન બાકીની બધી ત્રણ મેચ હારેઅથવા, ઓછામાં ઓછી તેમાંથી બેમાં હારે. તેવી જ રીતે, પંજાબ કિંગ્સ હાલમાં 12 મેચમાં 13 પોઈન્ટ પર છે. પંજાબ પાસે 2 મેચ બાકી છે એક RCB સામે અને બીજી LSG સામે. જો પંજાબ આમાંથી એક પણ મેચ હારી જાય, તો CSK 16 પોઈન્ટ સાથે સફળતાપૂર્વક આગળના રાઉન્ડમાં આગળ વધશે.

