- Entertainment
- મુકેશ ખન્ના 67 વર્ષની ઉંમરે લગ્ન કરશે, જાણો તેઓ અત્યાર સુધી કુંવારા કેમ રહ્યા?
મુકેશ ખન્ના 67 વર્ષની ઉંમરે લગ્ન કરશે, જાણો તેઓ અત્યાર સુધી કુંવારા કેમ રહ્યા?
મુકેશ ખન્નાને ફિલ્મ ઉદ્યોગના સૌથી પ્રખ્યાત અભિનેતાઓમાંના એક માનવામાં આવે છે. તે 'શક્તિમાન' અને 'ભીષ્મ પિતામહ'માં તેની આઇકોનિક ભૂમિકાઓ માટે જાણીતા છે. મુકેશ ખન્ના ઘણીવાર તેની સ્પષ્ટવક્તા શૈલી અને નિવેદનો માટે હેડલાઇન્સમાં છવાયેલા રહે છે. પરંતુ શું તમે જાણો છો કે, ચાહકોના પ્રિય 'શક્તિમાન' 67 વર્ષની ઉંમરે પણ કુંવારા છે? પરંતુ તેમણે હવે તેમના લગ્ન અને જીવનસાથી અંગે પોતાનું મૌન તોડ્યું છે. મુકેશ ખન્નાએ તે કેવા પ્રકારનો જીવનસાથી ઇચ્છે છે તે પણ બતાવ્યું હતું.
મીડિયા સૂત્રો સાથેની વાતચીતમાં, મુકેશ ખન્નાએ અત્યાર સુધી લગ્ન ન કરવાનું કારણ બતાવ્યું. અભિનેતાએ મર્દાનગીને લઈને બનેલી સામાજિક ધારણાઓની પણ વાત કરી હતી. તેણે કહ્યું કે અફેર રાખવાથી માણસની મર્દાનગી સાબિત નથી થતી. તેમણે ફિલ્મ નિર્માતા રવિ ચોપરાની એ જૂની કહેવત કહી હતી, જેમાં ફિલ્મ નિર્માતાનું માનવું હતું કે, 'મર્દ માણસ તે હોય છે જેના અફેર હોય છે.'
જોકે, મુકેશ ખન્નાએ કહ્યું કે તે આ વાતથી બિલકુલ સંમત નથી. અભિનેતાએ કહ્યું, 'તેઓના ગ્રુપમાં તમામના અફેર હતા. ફક્ત મારુ કોઈ અફેર ન હતું. મારું માનવું છે કે તમારી મર્દાનગી સાબિત કરવા માટે 10 ગર્લફ્રેન્ડ હોવી જરૂરી નથી. તે બીજી ઘણી રીતે સાબિત કરી શકાય છે.'
મુકેશ ખન્નાએ એમ પણ કહ્યું કે, તેમના વિચારોને ઘણીવાર ખોટા માની લેવામાં આવે છે, ખાસ કરીને ત્યારે કે જ્યારે સ્ત્રીઓની વાત આવે છે. તેમણે કહ્યું, 'હું સ્ત્રીઓની વિરુદ્ધ નથી, હકીકતમાં, હું મહિલાઓનો ખૂબ આદર કરું છું.'
અભિનેતાએ વૈવાહિક વફાદારી પર પોતાનો અભિપ્રાય આપ્યો હતો. આ ઉપરાંત તેમણે સમાજના બેવડા ધોરણો પર પણ પ્રશ્ન ઉઠાવ્યો. તેમણે કહ્યું, 'લોકો કહે છે કે સ્ત્રીએ પતિવ્રતા હોવું જોઈએ. પરંતુ શું કોઈએ એવું કહ્યું છે કે માણસે પણ 'પત્નીવ્રતા' હોવું જોઈએ? હું તો કહું છું કે, જો તમે પરિણીત છો, તો તમે કમિટેડ છો. બે આત્માઓનું મિલન થયું છે. પરંતુ લોકો તેવું માનતા નથી... તેઓ કહે છે, 'હું મારી પત્નીને પ્રેમ કરું છું,' છતાં પણ બહાર બીજી સાથે ચક્કર ચલાવે છે. આ જીવનસાથી સાથે વિશ્વાસઘાત છે.'
મુકેશ ખન્ના હજુ પણ કુંવારા છે. પરંતુ અભિનેતાએ કહ્યું કે, તેમને લગ્નમાં ઊંડો વિશ્વાસ છે. આ અંગે પોતાનો અભિપ્રાય વ્યક્ત કરતાં તેમણે કહ્યું, 'લોકો માને છે કે જો તમે લગ્ન નથી કરતા તો તમે લગ્નમાં વિશ્વાસ નથી રાખતા. પરંતુ આ સંપૂર્ણપણે ખોટું છે. હું મોટાભાગના લોકો કરતાં પણ વધુ લગ્ન સંસ્થામાં માનું છું. મારું માનવું છે કે લગ્ન નસીબથી થતા હોય છે. પત્ની કંઈ એમ જ નથી મળી જતી, તે નસીબમાં લખાયેલી હોય છે.'
આધ્યાત્મિક ગ્રંથોનો ઉલ્લેખ કરતા, અભિનેતાએ આગળ કહ્યું કે તેમનું માનવું છે કે લગ્ન એક ઊંડો, કર્મ સાથે જોડાયેલું બંધન છે. અભિનેતાએ કહ્યું, 'શાસ્ત્રો અનુસાર, પત્ની તમારા પાછલા જન્મનું 'પ્રારબ્ધ' હોય છે. તે તમારા કર્મને સુધારવા માટે તમારા જીવનમાં આવે છે. તમારા અફેર ઘણા હોઈ શકે છે, પરંતુ પત્ની ફક્ત એક જ હોય છે. લગ્ન એ બે આત્માઓનું મિલન છે.'
પ્રેમ વિશે, મુકેશ ખન્નાએ કહ્યું, 'પ્રેમ ફક્ત એક જ વાર થાય છે. બાકીનું બધું ફક્ત આકર્ષણ હોય છે.' તેમણે વધુમાં ઉમેર્યું કે, આજકાલ લોકો છોડીને સરળતાથી 'આગળ વધી' જતા હોય છે, જેનાથી પ્રેમનો અર્થ ઓછો થઇ જાય છે. અભિનેતાએ કહ્યું, 'જો તમે એક વ્યક્તિને 'આઈ લવ યુ' કહો છો અને પછી બીજા વ્યક્તિ પાસે ચાલ્યા જાવ છો, તો તે ઘણી ખોટી વાત છે.'
પોતાના અંગત જીવન અને લગ્ન વિશે બોલતા, મુકેશ ખન્નાએ કહ્યું કે, બધું ભાગ્ય પર આધારિત હોય છે. જો લગ્ન થવાના જ હોત, તો તે અત્યાર સુધીમાં થઈ ગયા હોત. મારા નસીબમાં જે મહિલા સાથે લગ્ન કરવાના લખાયેલા હશે, તે ક્યાંકને ક્યાંક તો હશે જ. જ્યારે નસીબ અમને સાથે લાવશે, ત્યારે તે થઇ જશે. ઉંમર સાથે કોઈ લેવાદેવા નથી.'

